You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મળી રાહત, ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
કૅબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ કરવાના ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખને સ્ટે મળવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે સત્યમેવ જયતે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું સત્યમેવ જયતે. તેમણે લખ્યું સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મોહન એમ શાંતનાગોદર અને આર સુભાષ રેડ્ડીની બેન્ચે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે.
વરિષ્ઠ વકીલો હરિશ સાલવે અને એન કે કૉલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના પક્ષમાં સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી ત્યારે કૉંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબલે સુપ્રીમ કોર્ટમાં પ્રતિનિધિત્વ કર્યું હતું.
12 મેના દિવસે ગુજરાત હાઈકોર્ટે ધોળકા વિધાનસભા બેઠક પરની ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણીને રદ કરવાનો નિર્ણય આપ્યો હતો.
2017માં ધોળકા વિધાનસભા બેઠક પરથી ચુડાસમા 327 રનની નજીવી સરસાઈથી જીત્યા હતા.
એ જીતને કૉંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે પડકારી હતી અને મતગણતરીમાં ગેરરીતિનો આરોપ મૂક્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કેસમાં કૉંગ્રેસના ઉમેદવારે કહ્યું હતું કે મતગણતરીમાં છેતરપિંડી કરવામાં આવી અને 429 બૅલેટ પેપરના મતને ધ્યાનમાં ન લેવામાં આવ્યા. આ દલીલ ગુજરાત હાઈકોર્ટે માન્ય રાખી હતી.
ગુજરાત હાઈકોર્ટે ધોળકા બેઠકની ચૂંટણી રદ કરતા ભૂપેન્દ્ર ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
તેની સામે કૉંગ્રેસના અશ્વિન રાઠોડે તરફથી કેવિયટ પિટિશન દાખલ કરી હતી.
ગુજરાત હાઈકોર્ટે 73 વખત સુનાવણી કર્યા બાદ તે વખતના ચૂંટણી અધિકારી ધવલ જાનીનું ક્રૉસ ઍક્ઝામિનેશન કર્યું અને એ પછી ચૂંટણીને રદ ઠેરવતો ચુકાદો આપ્યો હતો.
ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે, "ધોળકા બેઠક પર 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના તત્કાલીન ઉમેદવારે મતગણતરીમાં ગેરરીતિ વર્તાઈ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, તે અંગે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે આપેલો સ્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપ તથા રાજ્ય સરકાર માટે રાહતના સમાચાર છે."
327 મતની જીત
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તરફે ત્રણ વકીલોની ટીમ કામ કરી રહી હતી અને હાલ સ્ટે મળ્યો છે.
જનસંઘના સમયથી ભાજપ સાથે જોડાયેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વ્યવસાયે વકીલ હતા. મૂળ ધોળકાના ભૂપેન્દ્રસિંહે અમદાવાદની લૉઅર કોર્ટમાં વર્ષો સુધી વકીલાત કરી હતી.
ભાજપના ચુસ્ત કાર્યકર તરીકે 1980 અને 85ની બે ચૂંટણી લડ્યા હતા, પરંતુ દલિત, મુસ્લિમ અને ક્ષત્રિયોનો પ્રભાવ ધરાવતી આ બેઠક પરથી હાર્યા હતા.
ત્યાર બાદ 1990ની ચૂંટણીમાં જીત્યા ત્યારે ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલની સંયુક્ત સરકારમાં પહેલી વાર મંત્રી બન્યા હતા.
1995માં ફરી જીત્યા હતા અને કેશુભાઈની સરકારમાં મંત્રી હતા, પરંતુ આ સમયે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો અને હજૂરિયા-ખજૂરિયા પ્રકરણ થયું.
શંકરસિંહ વાઘેલા રાજકીય ગુરૂ હોવા છતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપ છોડીને નહોતા ગયા. 1998ની ચૂંટણીમાં એમણે પરાજયનો સામનો કર્યો.
જોકે, 2002માં ફરી ચૂંટાયા અને મોદી સરકારમાં ફરીથી મંત્રી બન્યા હતા. 2007માં ચૂંટણી હારી ગયા અને અને 2012ની ચૂંટણીમાં ફરીથી જીત્યા.
2017ની ચૂંટણીમાં એમના મતવિસ્તારમાં થયેલા દલિત આંદોલનોને કારણે માત્ર 327 મતથી જીત્યા હતા, જે જીતને ગુજરાત હાઈકોર્ટે ગેરકાયદે ઠેરવી હતી અને હવે કેસ સુપ્રીમ કોર્ટમાં છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો