ગુજરાતમાં મજૂર કાયદામાં ફેરફાર સામે RSS પ્રેરિત યુનિયનની આંદોલનની ચીમકી - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા ભારતીય મજૂર સંઘે રદ કરેલા મજૂર કાયદાનો વિરોધ કર્યો છે.

ધ હિન્દુના અહેવાલ પ્રમાણે, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાત સરકારો દ્વારા મજૂર કાયદામાં જે ફેરફાર કર્યા છે તેના વિરોધમાં ભારતીય મજૂર સંઘે રાષ્ટ્રવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ તમામ રાજ્યોમાં ભાજપશાસિત છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘની મજૂર પાંખ ઇન્ટરનેશનલ લેબર ઑર્ગનાઇઝેશને પણ ભારતને મજૂરોના અધિકારો સબબ ચેતવણી આપી છે અને કહ્યું છે કે કાયદામાં કોઈ પણ ફેરફારો મજૂરોની સહમતી વિના ન થવા જોઈએ.

બીએમએસએ એક નિવેદનમાં જણાવ્યું છે કે બુધવારે તેમના રાષ્ટ્રીય પદાધિકારીઓની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી, જેમાં તાજેતરમાં જે મજૂર કાયદાને પાછા ખેંચાયા છે તેની "નિંદા" કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા અને ઓડિશા સહિતના અન્ય રાજ્યો કાં તો તેનો અમલ કરી ચૂક્યાં છે અથવા તો દૈનિક કામના કલાકો 8થી વધારીને 12 કલાક કરવાની યોજના બનાવી રહ્યા છે.

મહામારી અને લૉકડાઉનમાં પ્રવાસીઓ મજૂરોની દુર્દશાનો ઉલ્લેખ કરીને બીએમએસે કહ્યું કે "ખાસ કરીને ઘણાં રાજ્યોએ કરેલા પ્રવાસી શ્રમ અધિનિયમના વ્યાપક ઉલ્લંઘનને લીધે જ આ મુદ્દો વણસ્યો છે."

પ્રવાસી મજૂરોનું વિરોધ-પ્રદર્શન

મધ્ય પ્રદેશ-મહારાષ્ટ્ર સરહદ પર પ્રવાસીઓ મજૂરોએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

મધ્ય પ્રદેશની સીમા પર હજારોની સંખ્યામાં મજૂરો જઈ રહ્યા છે. સૌથી વધુ મજૂરો સેંધવાની સીમા બિજાસન ઘાટ પર છે.

અહીં રોજના પાંચથી છ હજાર મજૂરો પહોંચી રહ્યા છે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે અહીં સેંકડો પ્રવાસી મજૂરોએ ભોજન ન મળતાં પથ્થરમારો કર્યો હતો.

શ્રમિકોએ સરકાર પર આરોપ લગાવ્યો કે સરકારે તેમના ભોજન અને પરિવહનની કોઈ વ્યવસ્થા કરી નથી.

બીજી તરફ સરકાર અનુસાર, આ શ્રમિકો માટે ભોજન, ચિકિત્સા પરીક્ષણ બાદ નિઃશુલ્ક બસના માધ્યમથી દેવાસ ટ્રાન્ઝિટ પર પહોંચાડવામાં આવી રહ્યા છે. અને ત્યાંથી સાગર, છતરપુર, ગુના અને શિવપુર બસોથી મોકલાઈ રહ્યા છે.

હાઈકોર્ટના આદેશ બાદ દિલ્હી-હરિયાણા સીમા પરના પ્રતિબંધ દૂર થશે

દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સાથે પોતાની સીમા પર લાદેલા પ્રતિબંધોને દૂર કરવા હરિયાણા સરકારને આદેશ આપ્યો છે.

હરિયાણા સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે ડૉક્ટરો, નર્સો, પોલીસકર્મીઓ અને અન્ય જરૂરી

સેવાઓ સાથે સંકળાયેલા લોકોને અવરજવરની પરવાનગી હશે.

અન્ય લોકોને પણ અરજી કરતાં 30 મિનિટમાં ઈ-પાસ મળશે અને સામાનની આપૂર્તિ ફરીથી શરૂ થશે.

તો હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે બુધવારે ઘોષણા કરી કે રાજ્યમાં પ્રયોગના આધારે સાર્વજનિક પરિવહન શરૂ કરાશે અને શુક્રવારથી પસંદગીના માર્ગો પર સીમિત સંખ્યામાં બસો ચાલશે.

તેઓએ કહ્યું હતું કે કેન્દ્રે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન સંબંધિત દિશાનિર્દેશોમાં પણ સંશોધન કર્યું હતું, આથી રાજ્ય સરકાર પોતાની આર્થિક ગતિવિધિઓને વધારવા માટે જિલ્લા વાર નીતિ તૈયાર કરશે.

રાજકોટમાં 1,000 ઔદ્યોગિક એકમો થરૂ થશે

લૉકડાઉનને કારણે બંધ પડેલા એકમો ફરીથી ધમધમવા લાગશે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, રાજ્ય સરકારના આદેશ મુજબ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રે ગુરુવારથી રાજકોટ મહાનગરપાલિકાના અધિકાર ક્ષેત્રમાં

આવતાં ઔદ્યોગિક એકમોને શરૂ કરવાની મંજૂરી આપી છે.

કોવિડ-19ની મહામારીને કારણે 53 દિવસ પછી આ અંદાજે 1000 ઔદ્યોગિક એકમોને ફરીથી શરૂ કરાશે.

જોકે ઔદ્યોગિક એકમોના માલિકોનું કહેવું છે કે મજૂરો અને મૂડીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટનાં કલેક્ટર રેમ્યા મોહને ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે શહેરના અંદાજે 10,000 એકમોમાંથી 1000ને શરૂ કરવાની મજૂરી આપી છે.

કલેક્ટરે જણાવ્યું હતું કે, 12 નોંધણી કેન્દ્રો પર લાંબી કતારો જોવા મળી હતી. આથી પરમિટ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે અમે આ કેન્દ્રો પર નિયુક્ત

અધિકારીઓની સંખ્યા બમણી કરવાનું નક્કી કર્યું છે. આ કેન્દ્રો પર અધિકારીઓ અરજી ચકાસીને ઔદ્યોગિક એકમોને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો