You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાલઘર હત્યાકાંડ : જે ગામમાં સાધુઓની હત્યા થઈ ત્યાં મુસલમાનોની વસતી કેટલી? - ફૅક્ટ ચેક
- લેેખક, કીર્તિ દુબે
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
મહારાષ્ટ્રના પાલઘરમાં ગઢચિંચલે ગામમાં 16 એપ્રિલે સાધુઓની મૉબલિન્ચિંગનો વીડિયો ખૂબ વાઇરલ થયો હતો. સાથે જ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
ગુરુવારે રાત્રે ભીડે ત્રણ લોકોની માર મારીને હત્યા કરી હતી જેમાં બે સાધુઓની ઓળખ 70 વર્ષના મહારાજ કલ્પવૃક્ષગિરી, 35 વર્ષ સુશીલ ગિરી મહારાજ અને એક ડ્રાઇવર નીલેશ તેલગાના નામે થઈ હતી.
પાલઘર પોલીસે આ કેસમાં 110 લોકોની ધરપકડ કરી છે જેમાં નવ લોકો સગીર વયનાં છે. આ કેસમાં બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
આ ઘટનાના વીડિયોના કેટલાક નાના-નાના ભાગ વાઇરલ થયા છે. જેમાં સાધુ રોતા-રોતા હાથ જોડીને ભીડ સામે કરગરી રહ્યા છે પરંતુ ભીડમાં સામેલ લોકો જેમના હાથમાં ડંડા છે તેઓ હુમલો કરી રહ્યા છે.
આ વીડિયોમાં પોલીસ પણ દેખાઈ રહી છે જે સાધુઓને બાચવવાનો પ્રયત્ન કરતી નથી દેખાતી.
બીબીસીએ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આખરે આ ગામમાં રહે છે કોણ?
સમજો, કેવું છે ગઢચિંચલે ગામ?
2011ની વસતીગણતરી મુજબ ગઢચિંચલે ગામમાં 248 પરિવારો રહે છે અને કુલ વસતી 1208 છે.
ચૂંટણી સર્વે કરનાર મુંબઈની એક સંસ્થા પોલડાયરીએ ગઢચિંચલે ગામની વસતી અને અહીંના સામાજિક પાસાઓનું અધ્યયન કર્યું છે. જે પ્રમાણે ગામમાં 1198 લોકો આદિવાસી છે અને માત્ર એક પરિવાર પછાત જ્ઞાતિનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
56 ટકા વસતી કોકણાં આદિવાસી સમુદાયની, 34 ટકા વરલી આદિવાસી સમુદાયની, 6 ટકા કતકારી આદિવાસી સમુદાયની અને 4 ટકા વસતી મલ્હાર આદિવાસી સમુદાયની છે.
પોલડાયરીએ 2019ની લોકસભા ચૂંટણી સમયે જે આંકડા બહાર પાડ્યા હતા તે પ્રમાણે આ ગામમાં મુસ્લિમ સમુદાયની વસતી નથી રહેતી.
ઘટનાને સાંપ્રદાયિક એંગલ કેવી રીતે અપાયો?
રવિવારે આ ઘટનાનો 45 સેકન્ડનો એક વીડિયો સંખ્યાબંધ વખત શૅર કરવામાં આવ્યો અને દાવો કરવામાં આવ્યો કે 43મી સેકંડે ભડકેલી ભીડ કહી રહી છે, "માર શોએબ માર".
સુદર્શન ન્યૂઝના સંપાદક સુરેશ ચવ્હાણકે અને ફિલ્મકાર અશોક પંડિત જેવા અનેક લોકોએ દાવો કર્યો કે વીડિયોમાં 'શોએબ'નામ બોલવામાં આવી રહ્યું છે.
ફૅક્ટ ચેકિંગ વેબસાઇટ ઑલ્ટ ન્યૂઝના રિપોર્ટ મુજબ 43મી સેકંડે સાધુઓને મારતી ભીડમાંથી કોઈએ બૂમ પાડી "ઓય બસ, ઓય બસ", જેને સોશિયલ મીડિયા પર લોકો "માર શોએબ માર" કહી રહ્યા છે.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
તે રાતે શું થયું હતું ?
સોમવારે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ વીડિયો પર એક નિવેદન આપ્યું જેમાં તેમણે કહ્યું કે આ સાંપ્રદાયિક હિંસાનો કેસ નથી. આ ગામમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અફવા ફેલાઈ હતી કે કેટલાક લોકો બાળકોને ચોરીને તેમની કિડની કાઢી લે છે.
મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે મુજબ બે સાધુ ગાડીમાં એક અંતિમ સંસ્કાર ક્રિયામાં ભાગ લેવા માટે સુરત જઈ રહ્યા હતા પરંતુ લૉકડાઉનને કારણે તેમને કેન્દ્ર શાસિત રાજ્ય દાદરા નગર હવેલીના સેલ્વાસમાં રોકી દેવામાં આવ્યા.
આ જગ્યા ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પાસે આવેલી છે. જ્યારે તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે ગઢચિંચલે ગામના લોકોને તેઓ બાળકચોર હોવાની શંકા જતા ગાડી રોકાવવામાં આવી.
ત્યાર પછી ભીડનાં ભયંકર સ્વરૂપનો વીડિયો દેશની સામે છે. આ હિંસામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં. જોકે, હવે આ બાબતને સાંપ્રદાયિક હિંસાની સાથે જોડવા માટે અનેક વીડિયો અને દાવાનો સહારો લેવામાં આવી રહ્યો છે, જે આધારહીન સાબિત થઈ રહ્યું છે.
મહારાષ્ટ્ર સરકારે પાલઘર કેસની તપાસ હવે રાજ્યની સીઆઈડીને સોંપી દીધી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો