કોરોના વાઇરસ અપડેટ : ગુજરાતમાં 2600થી વધારે પૉઝિટિવ કેસ, મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમે

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારત સરકારના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા અનુસાર દેશમાં કોરોના વાઇરસનો ચેપ 21,700 લોકોને લાગ્યો છે.

પૉઝિટિવ કેસોની યાદીમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજ્ય બાદ બીજા ક્રમે છે.

બીજી બાજુ, ચેપગ્રસ્તની સંખ્યામાં દિલ્હીને પાછળ છોડીને ગુજરાત દેશભરમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ગુજરાતમાં કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 2,,624 થઈ ગઈ છે. જ્યારે દિલ્હીમાં આ આંકડો 2,156 પર છે.

મૃત્યુની બાબતમાં પણ ગુજરાત દિલ્હી કરતાં આગળ નીકળી ગયું છે. ગુજરાતમાં કોરોના વાઇરસને લીધે 124 લોકોના જીવ ગયા છે.

કોરોના વાઇરસને લીધે થનારાં મૃત્યુની બાબતમાં મધ્યપ્રદેશ પણ બહુ આગળ છે. અહીં કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 1,592 છે. જ્યારે અત્યાર સુધી અહીં 80 લોકોનાં મૃત્યુ થયાં છે.

બુધવારે સવારે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના સચિવ જયંતી રવિએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે મંગળવાર સાંજ પછીની સ્થિતિ અંગે ચિતાર આપ્યો હતો.

  • ગુજરાતમાં કોરોનાના 94 નવા કેસ, કુલ આંક 2272 પર પહોંચ્યો
  • ગુજરાતમાં વધુ પાંચ દરદીનાં મરણ સાથે મૃત્યુનો કુલ આંક 95 પર પહોંચ્યો
  • ગુજરાતમાં કોરોનાના ઍક્ટિવ 2033 કેસ, જેમાંથી 13 પેશન્ટ વૅન્ટિલેટર પર
  • અમદાવાદમાં કુલ 1434 કેસ, સુરતમાં (364), વડોદરામાં (207) અને રાજકોટમાં 41 કેસ નોંધાયા
  • ગુજરાતની સરકારી હૉસ્પિટલમાં 1061 અને ખાનગી સંસ્થાઓમાં લગભગ 1700 વૅન્ટિલેટર ઉપલબ્ધ

હાર્દિક પટેલનો ગુજરાત સરકાર પર આરોપ

કૉંગ્રેસના નેતા અને પાટીદાર આગેવાન હાર્દિક પટેલે કોરોના વાઇરસ વિરુદ્ધની લડાઈમાં ગુજરાત સરકાર પાસે કોઈ યોજના ન હોવાનો આરોપ લગાવ્યો છે. હાર્દિક પટેલ ટ્વીટ કરીને જણાવ્યું, "ગુજરાત સરકારે કોરોના વાઇરસના દરદીઓ માટે ખાનગી હૉસ્પિટલોના દરવાજા ખોલ્યા છે. જોકે, ખાનગી હૉસ્પિટલો મન પડે એવી ફી (એક દિવસના પચાસ હજાર) માગી રહી છે. ગુજરાત સરકાર પોતાની જવાબદારીથી ભાગી રહી છે અને કોરોના વાઇરસ વિરુદ્ધ લડવા તેની પાસે એક પણ યોજના નથી. ગુજરાત મૉડલનો પર્દાફાશ થઈ ગયો છે."

''N-99 માસ્કનું ફૅબ્રિક આખા ભારતમાં ફક્ત અમદાવાદમાં બને છે''

N-95 માસ્કનું નામ તો તમે કદાચ સાંભળ્યું હશે પરંતુ એનાથી પણ વધુ ફિલ્ટર ગુણવત્તા ધરાવતા માસ્ક N-99 ગણાય છે.

N-99 માસ્કનું જે ફૅબ્રિક છે જેને તકનીકી ભાષામાં ફિલ્ટર મીડિયા કહેવામાં આવે અને તે અમદાવાદમાં તૈયાર થાય છે.

અમદાવાદ ટેક્સ્ટાઇલ્સ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઍસોસિયેશન, જે ATIRA તરીકે ઓળખાય છે તે દરરોજ 15,000 જેટલા N-99 માસ્ક તૈયાર થઈ શકે એટલું ફૅબ્રિક બનાવે છે.

અટિરાએ અત્યાર સુધી 5,60,000 માસ્ક બની શકે એટલું ફૅબ્રિક તૈયાર કરીને મોકલ્યું છે.

આ વિશે બીબીસી ગુજરાતીએ અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઍસોસિયેશન (ATIRA)ના નાયબ નિયામક દિપાલી પ્લાવત સાથે વાત કરી હતી.

દિપાલી પ્લાવતે જણાવ્યું કે "હાલ અમારી ફિલ્ટર મીડિયા ઉત્પાદન ક્ષમતા રોજની 15,000 માસ્ક જેટલી છે. કોરોનાને પગલે માસ્કની જે માગ ઊભી થઈ છે એ જોતાં અમે રાતદિવસ ચોવીસ કલાક કામ કરી રહ્યાં છીએ. અમારો ઇરાદો દરરોજ 30,000 માસ્કનું જે ફિલ્ટર ફૅબ્રિક છે તે ઉત્પાદન કરવાની છે. અમે એ ટાર્ગેટ તરફ પહોંચી રહ્યા છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો