કોરોના વાઇરસ : આજથી દેશમાં શું-શું ખૂલશે અને શું-શું બંધ રહેશે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

કેન્દ્રીય ગૃહમંત્રીએ કોરોના વાઇરસની મહામારી દરમિયાન 20 એપ્રિલે અપાઈ રહેલી છૂટછાટના સંબધમાં રાજ્યોને મહત્ત્વપૂર્ણ બિંદુ પર ચર્ચા કરીને સ્થિતિને નિયંત્રણમાં રાખવાના નિર્દેશ આપ્યા છે.

ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે એવાં ક્ષેત્રો કે જે હૉટસ્પૉટ, ક્લસ્ટર, કન્ટેન્મૅન્ટ ઝોનમાં સામેલ નથી કરાયાં, ત્યાં અમુક ગતિવિધિઓની છૂટ આપવામાં આવશે.

જોકે, આ છૂટ કન્ટેન્મૅટ ઝોનમાં નહીં અપાય.

સરકારી નિવેદનમાં જણાવાયું છે કે 'એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે આ છૂટ માત્ર વાસ્તવિક પરિસ્થિતિ કે યોગ્ય આંકલન કરાયા બાદ જ આપવામાં આવે.'

સરકારે ગ્રામ્ય અર્થતંત્રને બળ આપવા માટે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આથિક છૂટછાટની મંજૂરી આપી છે.

સરકારે રાજ્ય સરકારને એવું પણ જણાવ્યું છે કે ઔદ્યોગિક એકમો અને ઔદ્યોગિક પરિસરોના સંચાલન પર વિશેષ ધ્યાન આપવામાં આવે. ખાસ કરીને એવા એકમોના સંચાલન પર ધ્યાન આપવાનું છે કે જેના પરિસરમાં જ શ્રમિકોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોય.

કેન્દ્ર સરકારે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલે આપેલા પોતાના ભાષણમાં કહ્યું હતું કે 20 એપ્રિલે અમુક શરતો સાથે લૉકડાઉનથી કેટલાક વિસ્તારોને છૂટ આપવામાં આવશે.

સરકારે આ સંબંધમાં 15 એપ્રિલે દિશાનિર્દેશ પણ જાહેર કર્યા હતા અને એ ગતિવિધિઓનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેમાં છૂટ આપવાની વાત હતી.

હવે સરકારે કહ્યું છે કે આ ઢીલ 20 એપ્રિલની મધરાતથી લાગુ થશે.

20 એપ્રિલે આ બાબતોમાં છૂટછાટ

- ખેતી, હૉર્ટિકલ્ચર, ખેતી સંબંધિત કાર્ય શરૂ કરવાની મંજૂરી અપાશે.

- તમામ આરોગ્યસેવા ચાલુ રહેશે. આમાં 'આયુષ' સંબંધિત સેવાઓ પણ સામેલ છે.

- મનરેગા વર્કરોને કામ કરવાની છૂટ આપવામાં આવશે. જોકે, તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનું સખતાઈથી પાલન કરવાનું રહેશે.

- દવા બનાવતી કંપનીઓ અને મેડિકલનો સામાન બનાવતાં કારખાનાં ખોલી શકાશે.

- ચા, કૉફી અને રબર પ્લાન્ટેશનમાં મહત્તમ 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની મંજૂરી.

- તેલ અને ગૅસનાં ક્ષેત્રોનાં તમામ કાર્યો ચાલુ રહેશે.

- પોસ્ટલસેવા ચાલુ રહેશે અને પોસ્ટઑફિસ પણ.

- ગૌશાળા અને પશુના શૅલ્ટર હોમ ખૂલશે.

- જરૂરી વસ્તુઓનો પુરવઠો ચાલુ રખાશે.

- નિર્માણકાર્યોને મંજૂરી.

- હાઈવે પરના ઢાબા, ટ્રક-રિપેરિંગની દુકાનો, સરકાર સંબંધિત કૉલસેન્ટરો ખોલી શકાશે.

- ઇલેક્ટ્રિશિયન, આઈટી રિપેરિંગ, મોટર મિકૅનિક, કૉર્પોરેટર અને આ પ્રકારના રોજગારનાં કાર્યાને છૂટ

- જોકે, આ તમામ છૂટછાટ કોરોના વાઇરસના હૉટસ્પૉટ અને કન્ટેન્મૅન્ટ ઝોનમાં રહેતા લોકોને આપવામાં નહીં આવે.

- ગ્રામીણ વિસ્તારના ઉદ્યોગ-ધંધાને ખોલવાની મંજૂરી હશે. જોકે, આ માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું આકરું પાલન કરવાનું રહેશે.

- આ દરમિયાન કોઈ પણ રાજ્યને કેન્દ્રની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવાની મંજૂરી નહીં અપાય. અલબત્ત, રાજ્ય અને કેન્દ્ર સરકાર ઇચ્છે તો પોતાની સ્થાનિક જરૂરિયાતો અનુસાર લૉકડાઉનને વધુ આકરું બનાવી શકે છે.

- કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તમામ કચેરીઓ ખુલ્લી રહેશે.

- જાહેર સ્થળોએ માસ્ક પહેરવો કે કોઈ પણ પ્રકારે ચહેરો ઢાંકવો ફરજિયાત કરી દેવાયું છે.

- પીડીએસ, ફળ-શાકભાજી, રૅશન, દૂધ, માંસ, માછલીની દુકાનો ખુલ્લી રહેશે.

- બૅન્ક અને એટીએમ ખુલ્લાં રહેશે.

- શૅરબજાર ખુલ્લાં રહેશે.

શું બંધ રહેશે?

રેલવે, મેટ્રો, માર્ગ અને હવાઈ મુસાફરીને ત્રણ મે સુધી બંધ રાખવાનો આદેશ છે.

શૉપિંગ મૉલ, સિનેમાઘર, ઑડિટોરિયમ, ખેલસંકુલ, સ્વિમિંગ-પૂલ, મનોરંજન પાર્ક, જિમ, રેસ્ટોરાં વગેરે બંધ રહેશે.

શાળા, કૉલેજ અને તમામ શૈક્ષણિક સંસ્થાનો ત્રણ મે સુધી બંધ રહેશે. જોકે, આ સંસ્થાનોએ એકૅડેમિક સેશનને જાળવવું પડશે.

આ માટે ઑનલાઇન વર્ગોની મદદ લઈ શકાશે. આ માટે દૂરદર્શન કે અન્ય શૈક્ષણિક સંસ્થાનોની પણ મદદ લઈ શકાશે.

મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ અને અન્ય કોઈ પણ ધાર્મિકસ્થળ સંપૂર્ણ રીતે બંધ રહેશે અને કોઈ પણ પ્રકારનાં ધાર્મિક આયોજનને પરવાનગી નહીં અપાય.

લગ્નપ્રસંગ, જાહેર કાર્યક્રમો, સામાજિક ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સેમિનાર, રાજકીય કાર્યક્રમ, કૉન્ફરન્સ, રમતગમતનાં આયોજનને પરવાનગી નહીં હોય.

અંતિમવિધિમાં 20થી વધુ લોકોને સામેલ થવાની પરવાનગી નહીં અપાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો