કોરોના વાઇરસ : રાજકોટના જંગલેશ્વરમાં રાત્રે 12 વાગ્યાથી કર્ફ્યૂ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે રાત્રે 12 વાગ્યેથી કર્ફ્યૂ લાદવામાં આવશે.

અશ્વિનીકુમારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "આ વિસ્તારમાં લૉકડાઉનનો કડક અમલ કરવો જરૂરી હોવાથી રાજકોટ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સાથે મુખ્ય મંત્રીએ ચર્ચા કરીને આ નિર્ણય લીધો છે. કર્ફ્યૂનો અમલ આજે રાત્રે 12 વાગ્યાથી થશે.

ગુજરાતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા 1021 પર પહોંચી છે.

ગુજરાતમાં છેલ્લા 18 કલાકમાં 2 લોકોનાં મૃત્યુ પણ થયાં છે.

અમદાવાદની સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ હોમ ક્વોરૅન્ટીનમાં, દીકરાનો રિપોર્ટ પૉઝિટિવ

અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ગુણવંત રાઠોડ હૉમ ક્વોરૅન્ટીન થયા છે.

તેમના દીકરો પણ ડૉકટર છે અને તેમનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાથી ડૉ. ગુણવંત રાઠોડ હોમ ક્વોરૅન્ટીન થયા છે.

બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં ડૉ. ગુણવંત રાઠોડે કહ્યું હતું કે, તેઓ હોમ ક્વોરૅન્ટીન થયા છે.

તેમના દીકરાનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત તેમની દીકરામાં પણ કોરોનાના પૉઝિટીવના લક્ષણો

જણાયાં છે.

તબલીગી જમાતના મૌલાના સાદ કાંધલવી સામે મની લૉન્ડરિંગનો કેસ

ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ તબલીગી જમાતના નેતા મૌલાના સાદ કાંધલવી અને તેની કમિટી સામે મની લૉન્ડરિંગનો કેસ દાખલ કર્યો હોવાનો એક અહેવાલ એનડીટીવીએ પ્રકાશિત કર્યો છે.

અહેવાલ મુજબ ઇડીએ દિલ્હી પોલીસની એફઆઈઆરના આધારે કેસ દાખલ કર્યો છે.

મૌલાના સાદ પર મોટા પ્રમાણમાં દેશ અને વિદેશથી ફંડિગ લેવાનો અને હવાલા દ્વારા પૈસા એકઠા કરવાનો આરોપ લાગ્યો છે.

આ ઉપરાંત દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પણ ફંડિગ અને પૈસાને લઈને તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકઝમાં તબલીગી જમાત સાથે સંબંધિત મોટા પ્રમાણમાં કેસો સામે આવ્યા હતા અને તે દેશનું કોરોનાનું સૌપ્રથમ સૌથી હૉટસ્પૉટ બન્યું હતું.

દેશના અનેક રાજ્યોમાં આવેલાં જમાતીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાંથી અનેક લોકો કોરોના વાઇરસથી સંક્રમિત મળ્યા હતા.

લૉકડાઉનમાં કૉલિંગ અને ડેટા મફત કરવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન

લૉકડાઉન દરમિયાન કોલિંગ તથા ડેટાની સુવિધાને ફ્રી કરવા સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી

અમદાવાદ મિરરમાં છપાયેલાં અહેવાલ અનુસાર સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરીને કેન્દ્ર સરકારને નિર્દેશ આપી અનલિમિટેડ કૉલ, ડેટા અને ડીટીએચની સુવિધાને લૉકડાઉન દરમિયાન મફત કરવાની માગ કરવામાં આવી છે.

જાહેરહિતની અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, વપરાશકર્તાને મનોવૈજ્ઞાનિક રાહત આપવા માટે આમ કરવામાં આવે.

આ ઉપરાંત લૉકડાઉન દરમિયાન ઘરમાં રહેલાં ઉપરાંત ક્વોરૅન્ટીનમાં રહેલાં લોકોના મનોવૈજ્ઞાનિક તણાવને ઘટાડવા માટે સ્વાસ્થય મંત્રાલય યોગ્ય પગલાં ભરે તેવી માગણી પણ કરવામાં આવી છે.

જાહેરહિતની અરજી દાખલ કરનાર મનોહર પ્રતાપે કહ્યું છે કે ફોન, વીડિયો કૉલિંગ અને બીજા ડિજિટલ મીડિયાથી સામાજિક ચર્ચા કરવાથી અને ડીટીએચ પ્લેટફોર્મ પર ટીવી ચેનલ વગેરે જોવાથી, ઉપરાંત વીડિયો સ્ટ્રીમિંગ વેબસાઇટ પરના વીડિયો વગેરેથી લૉકડાઉનના સમયમાં વધેલાં 'મનોવૈજ્ઞાનિક તણાવને ઘટાડી શકાય' છે.

આસામે ચીનથી 50 હજાર પીપીઈ કિટ મંગાવી

દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે અને ચીનથી પીપીઈ તથા રૅપિડ ટેસ્ટિંગ કિટનો જથ્થાની તંગી છે ત્યારે ચીનથી 50 હજાર પીપીઈ કિટ મંગાવનારું આસામ પ્રથમ રાજ્ય બન્યું છે.

ચીનથી એક વિશેષ વિમાન દ્વારા 50 હજાર પીપીઈ યાને કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમૅન્ટ બ્લૂડાર્ટ કાર્ગો કંપનીના વિમાન દ્વારા ગુવાહાટીના ગોપીનાથ બોરદોલોઈ ઍરપૉર્ટ પર પહોંચી છે.

આસામના આરોગ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ બ્લૂડાર્ટ વિમાન સાથેની તસવીર ટ્વીટ કરીને આની જાણકારી આપી.

એમણે કહ્યું કે, ખુશ થવાનું એક વધારે કારણ. જીવનને પ્રથમ લક્ષ્ય માનીને અમે ચીનના ગુઆંગજોથી 50 હજાર પીપીઈ કિટ આયાત કરીને ખુશ છીએ. આ આપણા ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ માટે મોટું આશ્વાસન છે.

દેશમાં કોરોના વાઇરસની મહામારીને પગલે અનેક રાજ્યો પીપીઈ કિટની તંગીનો સામનો કરી રહ્યા છે. દેશમાં અનેક સ્થળોએ મેડિકલ સ્ટાફને પણ સંક્રમણની ઘટનાઓ બની છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસ કોવિડ-19ની મહામારી અગાઉ આસામ પાસે ફક્ત 10 પીપીઈ કિટ હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો