CAA, NRC : અમદાવાદ શહેરમાં 9 ફેબ્રુઆરી સુધી કલમ 144 લાગુ- TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેરની હદમાં 26 જાન્યુઆરી સવારે 6 વાગ્યાથી 9 ફેબ્રુઆરી મધ્યરાત્રિ સુધી કલમ 144 લાગુ કરી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે નાગરિકતા સંશોધન કાયદો, એનઆરસીની વિરુદ્ધમાં દેખાવોની શક્યતા જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જાહેરનામામાં કહેવાયું કે થોડા સમય પહેલાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીને લઈને વિરોધપ્રદર્શન થયું હતું, જેમાં એનએસયુઆઈ અને એબીવીપીના સભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું.

જાહેરાનામાનો ભંગ કરનારા કોઈ પણ વ્યક્તિ કે સમૂહ સામે કલમ 188 અને 135 અંતર્ગત ફરિયાદ કરાશે એમ કહેવાયું છે.

આ જાહેરનામા અનુસાર આ આદેશ સરકારી ડ્યૂટી, અંતિમયાત્રા, હોમગાર્ડ ટ્યૂટી અને લગ્નના વરઘોડા પર લાગુ નહીં થાય.

યુરોપિયન સંસદમાં સીએએ પર ચર્ચા થશે

યુરોપિયન સંસદમાં યુનાઇટેડ લેફ્ટ અને નૉર્ડિક ગ્રીન લેફ્ટ (જેયુઈ અને એનજીએલ) સમૂહે ભારતના વિવાદાસ્પદ બનેલા નાગરિકતા સંશોધન કાયદા પર ચર્ચા માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે.

આ પ્રસ્તાવમા કહેવામાં આવ્યું છે કે "નાગરિકતા સંશોધન કાયદો ભારતમાં નાગરિકત્વ નક્કી કરવાની પ્રક્રિયામાં ખતરનાક બદલાવ છે. આનાથી એક એવો સંઘર્ષ શરૂ થશે કે જેનાથી તમામ લોકો દેશવિહીન બની જશે અને તે એક મોટી માનવીય દુર્ઘટનાને જન્મ આપશે."

યુરોપિયન સંસદમાં 29 જાન્યુઆરીએ આ પ્રસ્તાવ પર ચર્ચા થશે અને 30 તારીખે તેના પર મતદાન થશે.

જોકે ભારતના વિદેશ મંત્રાલયે હજી આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી.

ગુજરાતમાં વરસાદની આગાહી

ગુજરાતમાં 27-28 જાન્યુઆરીએ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ અમદાવાદ હવામાન વિભાગના જયંતા સરકારના હવાલાથી લખ્યું કે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં સર્જાયેલા ચક્રવાતી સરક્યુલેશનને કારણે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર જિલ્લામાં વરસાદની સંભાવના છે.

તેમજ વડોદરામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.

તો સ્કાઇમેટ વેધર ડોટ કોમના અહેવાલ અનુસાર 27થી 29 જાન્યુઆરી વચ્ચે દિલ્હી અને આસપાસના ક્ષેત્રમાં પણ હળવા વરસાદની શક્યતા છે.

ચંદ્રશેખર આઝાદની ફરી અટકાયત

ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર આઝાદને રવિવારે હૈદરાબાદ પોલીસે અટકાયતમાં લીધા છે.

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ અનુસાર ચંદ્રશેખર નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના વિરુદ્ધમાં થઈ રહેલા વિરોધપ્રદર્શનમાં સામેલ થવા હૈદરાબાદ પહોંચ્યા હતા.

જ્યાં હૈદરાબાદ પોલીસે તેમની અટકાયત કરી હતી.

એવા પણ સમાચાર મળ્યા હતા કે પ્રદર્શનકારીઓને રેલી યોજવા માટે પોલીસની મંજૂરી નહોતી મળી.

ચંદ્રશેખરના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર પણ રવિવારે બે પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે "હૈદરાબાદ પોલીસે ચંદ્રશેખર આઝાદની ધરપકડ કરી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો