TOP NEWS: ગુજરાતમાં કમોસમી વરસાદમાં પાક નિષ્ફળ જતાં મહિલા ખેડૂતની આત્મહત્યા

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર અરવલ્લી જિલ્લામાં પાક નિષ્ફળ જતાં એક મહિલા ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે.

મોડાસા જિલ્લાના મોદારસુંબા ગામમાં રહેતાં 57 વર્ષનાં મંજુલા પરમારે કમોસમી વરસાદમાં પાકને ભારે નુકસાન જતાં આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે મંજુલાબહેને તેમના ખેતરમાં અડદ અને મગફળી વાવી હતી. જોકે, હાલમાં જ થઈ રહેલા કમોસમી વરસાદને કારણે આ પાક નાશ પામ્યો હતો. પાકના ભારે નુકસાનના કારણે તેમણે આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસે વધુમાં કહ્યું, "તેમના દીકરા મહેન્દ્રસિંહના કહેવા પ્રમાણે તેમનાં વિધવા માતા પોતાના દીકરાનાં પહેલાં લગ્ન નિષ્ફળ જતાં બીજાં લગ્ન માટે રૂપિયાની બચત કરતાં હતાં."

ગુજરાતમાં ક્યાર અને ત્યાર બાદ મહા વાવાઝોડાને કારણે હાલ કમોસમી વરસાદ થઈ રહ્યો છે.

સામાન્ય કૅન્સરમાં ગુજરાત દેશમાં પ્રથમક્રમે

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ દેશભરમાં ગુજરાત સામાન્ય કૅન્સરના નોંધાયેલા કેસમાં પ્રથમ ક્રમે છે.

2017ના વર્ષમાં ગુજરાતમાં 3,939 કેસ નોંધાયા છે, જ્યારે 2018માં 72,169 કેસનો વધારો જોવા મળ્યો છે. આમ 68,230 નવા કેસ નોંધાયા છે.

ક્લિનિકની મુલાકાત લેતી વ્યક્તિઓમાં માત્ર 24 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ગુજરાત ઉપરાંત કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગણા અને પશ્ચિમ બંગાળમાં પણ મોટા પ્રમાણમાં વધારો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે આ તમામ ડૅટા નેશનલ હેલ્થ પ્રોફાઇલ, 2019ને આધારે ટાંકવામાં આવ્યો છે.

દિલ્હીમાં આજથી શરૂ થશે ઓડ-ઇવન

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ અનુસાર દિલ્હીમાં આજથી ઑડ-ઇવન નીતિને લાગુ કરવામાં આવશે.

દિલ્હીના રસ્તાઓ પર જે ગાડીઓની નંબર પ્લેટનો છેલ્લો અક્ષર ઑડ છે. તેવી જ ગાડીઓ રસ્તા પર દોડશે.

દિલ્હીમાં વધતાં જતાં પ્રદૂષણને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સિસ્ટમ 4 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી લાગુ રહેશે. જે નિયમનો ભંગ કરશે તેને 4000 રૂપિયાનો દંડ થશે.

રવિવારે દિલ્હીનો એવરેજ એક્યૂઆઈ 494 રહ્યો હતો. જે સેન્ટ્રલ પૉલ્યુશન કંટ્રોલ બોર્ડે નક્કી કરેલા સૌથી વધુ રીડિંગ 500થી માત્ર 6 અંક જ ઓછો હતો.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવા અંગે સસ્પેન્સ યથાવત્

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ભારતીય જનતા પાર્ટીની આગામી રણનીતિ શું હશે એ આજે (4 નવેમ્બર) નક્કી થઈ શકે છે.

મહારાષ્ટ્રમાં ગત પાંચ વર્ષ સુધી મુખ્ય મંત્રી રહેલા દેવેન્દ્ર ફડણવીસ પાર્ટી અધ્યક્ષ અમિત શાહને મળશે.

હાલમાં યોજાયેલી ચૂંટણી પછી મુખ્ય મંત્રીપદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હોવાથી સરકાર બની રહી નથી.

ભાજપની પાસે 105 સીટ છે જ્યારે શિવસેનાની પાસે 65. શિવસેનાએ એ પણ સંકેત આપ્યો છે કે તે રાજ્યમાં સરકાર બનાવવા માટે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી સાથે હાથ મિલાવી શકે છે.

રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રમુખ શરદ પવાર સોમવારે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળવાના છે.મહારાષ્ટ્રમાં સરકાર બનાવા અંગે સસ્પેન્સ યથાવત્

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો