અનુચ્છેદ 370 : કાશ્મીર મામલે સુપ્રીમ કૉર્ટે કેન્દ્ર સરકારને 28 દિવસનો સમય આપ્યો

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે અનુચ્છેદ 370 હઠાવવા બાબતે અને કાશ્મીર સાથે જોડાયેલી અન્ય અરજીઓ પર જવાબ આપવા માટે કેન્દ્ર સરકારને 28 દિવસનો સમય આપ્યો છે.

જસ્ટિસ એનવી રમણના વડપણવાળી બંધારણીય બેન્ચે અરજદારોને પણ કહ્યું કે તેમણે કેન્દ્રના જવાબ બાદ એક અઠવાડિયાની અંદર જ પોતાનો પક્ષ કોર્ટ સમક્ષ રજૂ કરવો.

સુપ્રીમ કોર્ટમાં જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર અનુચ્છેદ 370ને હઠાવવાને પડકાર આપવા, પ્રેસની સ્વતંત્રતા, સંચાર સુવિધાઓ પર પ્રતિબંધ, લૉકડાઉનની વૈધતા અને અવરજવર પર પ્રતિબંધો અને માનવાધિકારોના કથિત ઉલ્લંઘન સાથે જોડાયેલી ઘણી અરજીઓ કરાઈ હતી.

સુપ્રીમ કોર્ટ પહેલી સુનાવણીમાં આ અંગે કોઈ જ આદેશ આપ્યો નહોતો અને આ વિશેને દલીલો તરત સાંભળવાનો પણ ઇનકાર કરી દીધો. કોર્ટ કહ્યું કે, "જો નિર્ણય તમારા પક્ષમાં આવશે તો દરેક પરિસ્થિતિ પૂર્વવત બનાવી દેવાશે."

કોર્ટ એ પણ કહ્યું કે તે આ અંગે હવે કોઈ અન્ય અરજીનો સ્વીકાર નહીં કરે.

જોકે, અરજદારોએ કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયાંનો સમય આપ્યાનો વિરોધ કર્યો અને કહ્યું કે આવું કરવાથી અરજી દાખલ કરવાનો ઉદ્દેશ જ નિરર્થક બની જશે.

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર અધિકારિકપણે 31 ઑક્ટોબર, 2019થી અસ્તિત્વમાં આવશે. બંને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે સંપતિઓના વિભાજન માટે ત્રણ સભ્યોની સમિતિ રચાઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો