Top News: 72 ટકા પોલીસકર્મીઓ પર હોય છે પોલિટિકલ પ્રેશર, દરેક બીજી મુસ્લિમ વ્યકિતને માને છે ગુનેગાર

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ જણાવે છે વગ ધરાવતી વ્યકિત સામેલ હોય એવા કેસની તપાસમાં 72 ટકા પોલીસકર્મીઓ રાજકીય દબાણ અનુભવે છે.

ગઈ કાલે નવી દિલ્હીમાં ભારતમાં પોલિસિંગ અને તેમની પરિસ્થિતિ અંગે એક સરવેનો અહેવાલ એનજીઓ કૉમન કૉઝ અને લોકનીતિ દ્વારા પ્રકાશિત થયો હતો તેને ટાંકીને અખબાર આ જણાવે છે.

આ અહેવાલ મુજબ 50 ટકા પોલીસકર્મીઓ માને છે કે દરેક બીજી મુસ્લિમ વ્યકિત ગુનેગાર હોય છે.

આ સરવેમાં 20 રાજ્યોના 11,834 પોલીસ અધિકારીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

અહેવાલ જણાવે છે કે પોલીસકર્મીઓ 11થી 18 કલાક કામ કરે છે.

સરવે મુજબ 35 ટકા પોલીસકર્મીઓ માને છે કે ગૌહત્યાના કેસમાં ટોળાનો ન્યાય યાને કે મૉબ લિન્ચિંગ વાજબી છે. 43 ટકા પોલીસકર્મીઓ એવું માને છે કે બળાત્કારના કેસમાં ટોળું કોઈને દંડિત કરે તો તે સ્વાભાવિક છે.

સરકાર ટ્રેનોમાં ભાડું ઘટાડશે

જાગરણનો અહેવાલ જણાવે છે કે સરકાર ટ્રેનોમાં ખાલી બેઠકો ભરવા માટે ભાડું ઘટાડવાની યોજના લાવશે.

વરિષ્ઠ અધિકારીને નામ વગર ટાંકીને અહેવાલ કહે છે કે રેલવે શતાબ્દી, તેજસ અને ગતિમાન એક્સપ્રેસ સહિતની ટ્રેનોમાં 25 ટકા રાહતની યોજના રજૂ કરશે.

અહેવાલ જણાવે છે કે જે ટ્રેનોમાં ગત વર્ષે 50 ટકા જેટલી બેઠકો ખાલી રહી હતી તેમાં આવી યોજના લાગુ કરવામાં આવશે.

આ માટે માર્ગદર્શિકા નિયત કરવામાં આવી રહી હોવાનો અને 30 સપ્ટેમ્બર સુધી ટ્રેનોની યાદી નક્કી કરવાની હોવાની માહિતી પણ અહેવાલ આપે છે.

છત્તીસગઢમાં 10 ટકા આર્થિક અનામત

છત્તીસગઢની કૉંગ્રેસની સરકારે શિક્ષણ અને સરકારી નોકરીમાં આર્થિક ધોરણે 10 ટકા અનામતને મંજૂરી આપી છે.

કેન્દ્ર સરકારે આર્થિક ધોરણે અનામત શરૂ કર્યા પછી છત્તીસગઢમાં આની માગણી વિપક્ષ ભાજપ દ્વારા કરવામાં આવતી હતી.

મુખ્યમંત્રી ભુપેશ બાઘેલના વડપણ હેઠળની કૅબિનેટે આ અનામતને મંજૂરી આપી છે. કૅબિનેટે ઓ.બી.સી. (અન્ય પછાત વર્ગ) અને એસ.સી. (અનુસૂચિત જાતિ)ની અનામતની ટકાવારીમાં વધારો કરવાનો પણ નિર્ણય લીધો છે.

પાકિસ્તાન ફરી બંધ કરશે એર સ્પેસ

પાકિસ્તાનના વિજ્ઞાન અને તકનિકી મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું છે કે તેઓ તેમનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણ રીતે ભારત માટે બંધ કરવા અંગે વિચારી રહ્યા છે.

એમણે એમ પણ કહ્યું કે અફઘાનિસ્તાન સાથે વેપાર માટે ભારત પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરે છે અને તેના ઉપર પણ પાબંદી લાગી શકે છે.

એમનું કહેવું છે કે આ અંગે કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે અને જલ્દી તેને લાગુ કરાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો