અમેરિકાના પ્રતિબંધો અને ઘર્ષણની સ્થિતિ પછી ઈરાન નરમ પડ્યું, વાતચીત કરવા રાજી

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની પરમાણુ કરારને બચાવવા માટે યૂરોપના દેશો સાથે વાતચીત કરવા તૈયાર થઈ ગયા છે.

2015માં પરમાણું કરાર તોડવાની સ્થિતિ ઊભી કરનાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૅક્રોંએ શનિવારે રુહાની સાથે ફોન પર વાત કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે ઈરાન સાથેનો પરમાણુ કરાર તોડી નાંખ્યો છે અને તેના પર પ્રતિબંધો લાદી દીધા છે.

ઈરાને પણ તેના જવાબમાં મેં મહિનામાં યૂરેનિયમનું ઉત્પાદન વધારી દીધું હતું જેનો તે રિએક્ટરના ઇંધણ તરીકે ઉપયોગ કરશે.

બજેટમાં મધ્યમ વર્ગની ઉપેક્ષા નહીં- નિર્મલા સીતારમ

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું કે બજેટમાં મધ્યમ વર્ગની અવગણના થઈ નથી.

તેમણે કહ્યું કે પ્રાથમિક માળખા અને સસ્તા મકાનનો જે પ્રસ્તાવ બજેટમાં રજૂ થયો છે, તેનાથી મધ્યમ વર્ગને મદદ મળશે.

જ્યારે કર વધારવા અંગે તેમણે કહ્યું કે તેમને અમીરોને દંડવાનો નિર્ણય માનવાને બદલે પોતાની જવાબદારી ગણીને લેવામાં આવેલું પગલું માનવું જોઈએ.

જ્યારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારા અંગે તેમણે કહ્યું કે તેને હું મધ્યમ વર્ગ પર બોજો નહીં પણ સાર્વજનિક વાહન વ્યવહારની સુવિધાઓને સુધારવાનું રોકાણ માનું છું.

મોદીએ લોકોને કવિતા સંભળાવી

વડા પ્રધાન મોદીએ શનિવારે પોતાના મત વિસ્તાર વારાણસીમાં ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રવ્યાપી સભ્યપદ અભિયાનનો પ્રારંભ કર્યો હતો.

તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે પાંચ ટ્રિલિયનની ઇકૉનૉમી દેશ કેવી રીતે મેળવી શકે તે દિશા અમે નક્કી કરી લીધી છે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ આ સંદર્ભે પીએમ મોદીએ પોતાના કાવ્ય સંગ્રહ સાક્ષી ભાવમાંથી એક કવિતા વાંચી હતી.

બીજી તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેલંગણાાંથી ભાજપના રાષ્ટ્રવ્યાપી સભ્યપદ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

અમદાવાદ બાદ હવે જયપુરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો

દર વર્ષે યુનેસ્કો દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવે છે જેમાં અમૂલ્ય વૈશ્વિક મૂલ્યો ધરાવતાં ઐતિહાસિક સ્થળોને હેરિટેજની યાદીમાં સમાવવા પર ચર્ચા કરવામાં આવે છે.

10 જુલાઈ સુધી ચાલનારી બાકુ ખાતેની આ મિટિંગમાં દુનિયાનાં કેટલાંક સ્થળોને હેરિટેજ સાઇટની યાદીમાં સમાવવામાં આવ્યાં છે.

તેમાં રાજસ્થાનનું જયપુર શહેર અમદાવાદ બાદ દેશનું બીજું હેરિટેજ સિટી બની ગયું છે.

ગુલાબી નગરી તરીકે ઓળખાતા જયપુરમાં આજે પણ ઈ.સ. 1727ના વખતની ઇમારતો સુંદર રીતે જળવાયેલી જોઈ શકાય છે.

આ સાથે જ મ્યાનમારના બાગાનના બૌદ્ધ મંદિરો, લાઓસમાં વિશાળકાય બરણીઓ ધરાવતું ઝિએંગખોંગ, તેમજ જાપાનની ત્રીજીથી છઠ્ઠી સદીમાં બનેલી ઓસાકાની કબરોને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો