પ્રિયંકા ગાંધીએ મુઝફ્ફરનગરમાં દુકાનો પર નામ લખવાના આદેશને પાછો લેવાની માગ કરી- ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ યુપીમાં મુઝફ્ફરનગરમાં કાવડ રૂટ પર ખાણીપીણીની દુકાનો પર નામ લખવાને લઈને આપવામાં આવેલા નિર્દેશને પાછો લેવાની માગ કરી છે.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, "આપણું બંધારણ દરેક નાગરિકને ગૅરન્ટી આપે છે કે તેમની સાથે જાતિ, ધર્મ, ભાષા અથવા કોઈ અન્ય આધાર પર ભેદભાવ નહીં થાય.."

"ઉત્તર પ્રદેશમાં રેકડી, અને દુકાનો પર તેમના માલિકોનાં નામનું બોર્ડ લગાવવાનો વિભાજનકારી આદેશ આપણા બંધારણ, આપણી લોકશાહી અને આપણી સંયુક્ત વિરાસત પર હુમલો છે."

"સમાજમાં જાતિ અને ધર્મના આધાર પર વિભાજન પેદા કરવું બંધારણની વિરુદ્ધ અપરાધ છે. આ આદેશ તુરંત પાછો લેવો જોઈએ અને જે અધિકારીઓએ આને બહાર પાડ્યો છે, તેમની પર સખત કાર્યવાહી થવી જોઈએ."

મુઝફ્ફરનગર પોલીસના આ આદેશ બાદ ગીતકાર જાવેદ અખ્તરે આની સરખામણી 'નાઝી જર્મની' સાથે કરી હતી.

જ્યારે ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આ છૂઆછૂત સાથે જોડ્યો હતો.

આ દરમિયાન ભાજપ નેતા અને કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે સરકારના આદેશનું પાલન થવું જોઈએ.

પરંતુ કેન્દ્રમાં ભાજપનાં સહયોગી દળો જેડીયુ અને લોજપા (રામવિલાસ) પણ સહજ નથી.

ચિરાગ પાસવાને કહ્યું કે તેઓ આ ફરમાનનું સમર્થન નથી કરતા.

કૉંગ્રેસ અને યુપીના બે પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવ અને માયાવતીએ પણ આપત્તિ વ્યક્ત કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ : હું રાષ્ટ્રપતિ હોત તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ ન થયું હોત

અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના ચાર દિવસીય સંમેલનમાં બોલતી વખતે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ પદના નામાંકનનો સ્વીકાર કરે છે.

ટ્રમ્પે કહ્યું, “હું તમારી સામે આશા, તાકાત અને વિશ્વાસનો સંદેશ લઈને ઊભો છું.” તેમણે એમ પણ કહ્યું કે રિપબ્લિકન પાર્ટી આવનારા ચાર મહિનામાં અદ્ભૂત વિજય હાંસલ કરવા જઈ રહી છે.

તેમણે કહ્યું કે જીત મેળવીને અમેરિકાના ઇતિહાસનાં મહાન એવા ચાર વર્ષના સમયની શરૂઆત કરીશું.

ટ્રમ્પે પોતાના ભાષણમાં યુક્રેન-રશિયા યુદ્ધ અને ઇઝરાયલમાં ચાલી રહેલા યુદ્ધ વિશે વર્તમાન સરકાર પર પ્રહાર કર્યા હતા.

ટ્રમ્પે કહ્યું, “હું રાષ્ટ્રપતિ હોત તો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી ભયાનક જંગ અને ઇઝરાયલ પર થયેલા હુમલાને કારણે શરૂ થયેલ યુદ્ધ શરૂ ન થાત.”

ટ્રમ્પે કહ્યું કે હું વર્તમાન સરકારે ઊભી કરેલી બધી જ આંતરરાષ્ટ્રીય સમસ્યોને ખતમ કરીશ.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પર થયેલા હુમલા દરમિયાન માર્યા ગયેલા એક વ્યક્તિ કોરી કંપેરેટરને શ્રદ્ધાંજલિ આપી હતી અને આ સંમેલનમાં તેમના માટે મૌન પણ પાળવામાં આવ્યું હતું.

આસામ કેબિનેટે મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાને લગતા જુના કાયદાને રદ કરવાની મંજૂરી આપી

ભારતીય જનતા પાર્ટી શાસિત આસામમાં રાજ્ય સરકારે મુસ્લિમોના લગ્ન અને છૂટાછેડાના જૂના કાયદાને ખતમ કરવાની મંજૂરી આપી છે.

વર્ષ 1935માં “આસામ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી કાયદા”માં મુસ્લિમોને વિશેષ પરિસ્થિતિમાં મુસ્લિમોને ઓછી ઉંમરે લગ્ન કરવાની મંજૂરી આપી હતી.

આસામ સરકારે આ નિર્ણયને બાળ લગ્ન વિરુદ્ધ લેવાયેલ નિર્ણય ગણાવ્યો છે.

આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું, “અમે બાળ લગ્નને ઘાર્મિક નજરોથી જોતા નથી. જો 80 ટકા બાળ લગ્નો લઘુમત્તી સમુદાયમાં થાય છે તો 20 ટકા બાળ લગ્નો બહુમત્તી સમુદાયમાં પણ થાય છે.”

અંગ્રેજી સમાચાર પત્ર ધી હિંદૂના અહેવાલ પ્રમાણે, આસામ વિધાનસભાના ચોમાસું સત્રમાં જૂના કાયદાઓને ખતમ કરવા માટે બિલ રજૂ કરવામા આવશે.

કાવડ યાત્રાને લઈને મુઝફ્ફરનગર પોલીસના આદેશ પર મુખ્તાર અબ્બાસ નક્વીએ ઉઠાવ્યો વાંધો

કાવડ યાત્રાને લઈને મુઝફ્ફરનગર પોલીસની નૉટિસ પર ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ તીખી પ્રતિક્રિયા આપી હતી.

નકવીએ પોલીસના આદેશને આભડછેટની વાત સાથે જોડ્યો હતો.

નકવીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, “કેટલાક વધારે ઉત્સાહી અધિકારીઓ ઉતાવળમાં મનફાવે તેવો આદેશ આપે છે. આ (આદેશ) અસ્પૃશ્યતાની બીમારીને પ્રોત્સાહન આપી શકે છે. આસ્થાનું સમ્માન થવું જોઇએ પણ અસ્પૃશ્યતાનું સંરક્ષણ ન થવું જોઇએ.”

મુઝફ્ફરનગર પોલીસના આદેશ પ્રમાણે, કાવડ યાત્રાના રૂટ પર આવતા ઢાબા, હોટલ અને ખાવા-પીવાની દુકાનના માલિકોએ તેમનું અને તેમની દુકાન પર કામ કરનાર લોકોનું નામ લખવું પડશે.

આ વાતને લઇને નકવીએ રૈદાસના દોહાને પણ ટ્વીટ કર્યો હતો.

મુઝફ્ફરનગર પોલીસની સ્પષ્ટતા

આ મામલે વિવાદ વધતા મુઝફ્ફરનગર પોલીસે સ્પષ્ટતા આપી હતી.

મુઝફ્ફરનગર પોલીસે કહ્યું, “શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને કાવડ માર્ગ પર આવતી હોટલો, ઢાબા અને ખાવાપીવાની વસ્તુ વેચનાર દુકાનદારોને આગ્રહ કર્યો કે તેઓ સ્વેચ્છાએ પોતાના માલિક અને કામ કરનાર લોકોના નામ દુકાન પર લખે.”

પોલીસે કહ્યું, “આ આદેશ કોઈ પ્રકારના ધાર્મિક વિભાજન માટે નથી, પરંતુ આ મુઝફ્ફરનગરથી પસાર થતા શ્રદ્ધાળુઓની સુવિધા, આરોપ-પ્રત્યારોપ અને કાયદા વ્યવસ્થાની સ્થિતિને સંભાળવાને ધ્યાનમાં લઈને આપવામાં આવ્યો છે. આ પહેલાં પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.”

ઝેલેન્સ્કીએ ટ્રમ્પ વિશે શું જણાવ્યું?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તો તેમની સાથે કામ કરવું સરળ નહીં રહે.

બીબીસી સાથેની વાતચીતમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે ચૂંટણી પછી જેમની પાસે અમેરિકાની સત્તા આવશે તેની સાથે અમે કામ કરવા માટે તૈયાર છીએ.

ટ્રમ્પે થોડાક દિવસો પહેલાં ઓહાયોના સેનેટર જેડી વેન્સને પોતાના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવ્યા હતા. 39 વર્ષીય જેડી વેન્સ પહેલાં પણ કહી ચુક્યા છે કે યુક્રેન સાથે શું થશે તે વિશે તેમને ચિંતા નથી. વેન્સે યુક્રેન યુદ્ધ માટે આપવામાં આવેલા ફંડનો પણ વિરોધ કર્યો હતો.

અમેરિકાની ચૂંટણીમાં નામાંકન પછી ફરીથી આ આશંકા છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો યુક્રેન મામલે અમેરિકાની નીતિ બદલાઈ જશે.

ઝેલેન્સ્કીએ બીબીસીને કહ્યું કે તેમને(ટ્રમ્પને) કદાચ ખબર નથી કે યુક્રેનમાં હકીકતમાં શું ચાલી રહ્યું છે. આ કારણે અમેરિકાની સાથે કામ કરવાની જરૂર છે.

ઝેલેન્સ્કી હાલમાં બ્રિટનમાં છે. તેમણે ત્યાં ગુરૂવારે ભાષણ પણ આપ્યું હતું.

ઝેલેન્સ્કીએ આ પહેલાં બ્રિટેનના વડા પ્રધાન કિએર સ્ટાર્મર સાથે પણ મુલાકાત કરી હતી. વડા પ્રધાન સ્ટાર્મરે કહ્યું હતું કે યુક્રેનને જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી મદદ કરીશું.