You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોણ છે જસ્ટિસ ગીતા ગોપી જેમણે રાહુલ ગાંધી સામેના કેસની સુનાવણીમાંથી પોતાની જાતને ‘અલગ’ કર્યાં?
- લેેખક, સુચિત્ર મોહંતી
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- ‘મોદી અટક’ મામલે બદનક્ષીના કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી
- જે બાદ તેઓ કોર્ટના ચુકાદાને પડકારવા અને સજા પર સ્ટે મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટની શરણે પહોંચ્યા છે
- પરંતુ આ મામલો ગુજરાત હાઈકોર્ટનાં જે જજ સામે પ્રથમ વખત આવ્યો તેમણે પોતાની જાતને આ મામલાથી ‘અલગ’ કરી લીધાં
- આ પગલું ભરનાર જજ ગીતા ગોપી કોણ છે?
- તેમના વિશે જાણતા વકીલો અને જજોનો તેમને લઈને શો અભિપ્રાય છે?
‘મોદી અટક’ ટિપ્પણી મામલે બદનક્ષી કેસમાં દોષિત ઠરેલા ભૂતપૂર્વ સાંસદ અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સુરતની કોર્ટના ચુકાદાને તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે.
શનિવારે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં રાહુલ ગાંધી સામે ‘બદનક્ષી’ના કેસમાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અરજી અંગે સુનાવણી હાથ ધરાઈ હતી.
ગત બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે આ મામલો પહોંચ્યો ત્યારે આ મામલાની સુનાવણીમાંથી હાઈકોર્ટનાં જસ્ટિસ ગીતા ગોપીએ પોતાની જાતને ‘અલગ’ કરી લીધાં હતાં.
નોંધનીય છે કે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ‘મોદી અટક’ ટિપ્પણી મામલે બે વર્ષની સજા સંભળાવતાં તેમનું સંસદનું સભ્યપદ રદ કરી દેવાયું છે.
સેશન્સ કોર્ટથી પાસેથી આ મામલે કોઈ રાહત ન મળતાં રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટની શરણે પહોંચ્યા છે.
પરંતુ આ મામલે જસ્ટિસ ગીતા ગોપીએ આ કેસથી પોતાની જાતને ‘અલગ’ કરવાનો નિર્ણય લેતાં આ મુદ્દો કુતૂહલનો વિષય બન્યો છે.
શનિવારે ગુજરાત હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને મામલાની આગામી સુનાવણી 2 મેના રોજ રાખી છે.
કોણ છે જસ્ટિસ ગીતા ગોપી?
24 માર્ચ, 1966ના રોજ ગુજરાતના નવસારી ખાતે જન્મેલાં જસ્ટિસ ગોપી સુરતની સર કે. પી. કૉલેજ ઑફ કૉમર્સ ખાતેથી સ્નાતક થયાં હતાં. તે બાદ તેમણે નવસારીની દિનશૉ દાબૂ લૉ કૉલેજમાંથી કાયદાના સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે નવસારીની જિલ્લા કોર્ટમાં જાન્યુઆરી 1993માં સિનિયર ઍડ્વોકેટ કે. પી. દેસાઈની ચૅમ્બરમાંથી પોતાની વકીલ તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો.
આ સિવાય તેમણે દિનશૉ દાબૂ લૉ કૉલેજમાં 13 વર્ષ સુધી પાર્ટ-ટાઇમ લેક્ચરર તરીકે પણ સેવા આપી હતી.
24 નવેમ્બર, 2008ના રોજ તેઓ ડિસ્ટ્રિક્ટ જજના પદ પર જોડાયાં. જજ તરીકે તેમણે સિવિલ અને ક્રિમિનલ કેસો જોયા. આ સિવાય તેઓ સ્પેશિયલ જજ તરીકે સીબીઆઈ અને POTA કોર્ટમાં પણ કામ કરી ચૂક્યાં છે. જ્યાં તેમણે ઘણા મહત્ત્વપૂર્ણ ખટલા ચલાવ્યા હતા.
3 માર્ચ, 2020ના રોજ તેમને ગુજરાત હાઈકોર્ટના જજ નીમવામાં આવ્યાં હતાં.
ગુજરાત હાઇકોર્ટનાં જજ તરીકે વરણી થઈ એ પહેલાં વર્ષ 2014માં તેઓ ડેપ્યુટેશન પર ગુજરાત હાઈકોર્ટમાં રજિસ્ટ્રાર હતાં.
તેઓ 23 માર્ચ, 2028ના રોજ નિવૃત્ત થશે.
તેમના વિશે રસપ્રદ વાત એ છે કે તેઓ શિક્ષણક્ષેત્રે રસ ધરાવે છે.
ગુજરાત હાઈકોર્ટના સિનિયર વકીલ યતીન ઓઝાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “જસ્ટિસ ગીતા ગોપી સારાં જજ છે. તેઓ ખૂબ કાર્યક્ષમ છે. તેઓ તેમની ક્ષમતા અને કૌશલ્ય પ્રમાણે શ્રેષ્ઠ કામ આપે છે. આ કેસની સુનાવણીમાંથી અળગાં રહેવાનો નિર્ણય એ તેમની વ્યક્તિગત પસંદગી હશે.”
તેમણે જસ્ટિસ ગોપીના આ પગલા પાછળનાં કારણો અંગે પોતાની ધારણા જણાવતાં કહ્યું કે, “તેઓ કદાચ આવા હાઈ-પ્રોફાઇલ કેસમાં સામેલ થવા નહીં માગતાં હોય અથવા તો વિચારધારાને કારણે પણ આ પગલું લીધું હોઈ શકે.”
“મોટા ભાગે જજો કોઈ પણ કેસથી પોતાની જાતને ત્યારે અલગ કરે છે જ્યારે તેમની અગાઉની ભૂમિકા સાથે કેસને કોઈ સંબંધ હોય. જજો જ્યારે કોઈ કેસમાં પોતે વકીલ હોય ત્યારે જે તે વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હોય ત્યારે આવું કરે છે.”
નરોડા પાટિયા હત્યાકાંડ મામલે સ્પેશિયલ ટ્રાયલ કોર્ટનાં ભૂતપૂર્વ જજ જ્યોત્સના યાજ્ઞિકના મતે જસ્ટિસ ગોપી એ ખૂબ તેજસ્વી જજ છે.
તેઓ કહે છે કે, “આ અંગે કોઈ બેમત નથી. તેઓ પ્રતિભાવાન, કાર્યક્ષમ અને ઇમાનદાર જજ છે. રાહુલ ગાંધીની અપીલની સુનાવણીમાંથી પોતાની જાતને અલગ કરવાને માટે તેમના પોતાનાં કારણો જવાબદાર હશે.”
જસ્ટિસ ગીતા ગોપીએ આપેલા મહત્ત્વપૂર્ણ ચુકાદા
જસ્ટિસ ગીતા ગોપી ખૂબ મહત્ત્વપૂર્ણ કેસોમાં નોંધપાત્ર ચુકાદા પણ આપી ચૂક્યાં છે.
જસ્ટિસ ગોપીએ એક મામલામાં પોતાનો મત આપતા ઠરાવ્યું હતું કે વાહન અકસ્માતનાં પીડિત બાળકોને વળતર ચૂકવવાની વાત હોય ત્યારે ‘કમાતી ન હોય એવી પુખ્ત વયની વ્યક્તિઓ’ કરતાં તેમનો મામલો અલગ રીતે જોવો જોઈએ.
તેમણે એક કેસમાં ઠરાવ્યું હતું કે પ્રી-કન્સેપ્શન અને પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક (પીએનડીટી) ઍક્ટ, 1994 અંતર્ગત નોંધાયેલા ગુનામાં પક્ષકારો વચ્ચે સમાધાન સ્વીકાર્ય નથી.
જસ્ટિસ ગોપીએ પોતાના એક નિર્ણયમાં જણાવ્યું હતું કે જામીન અરજી અંગે નિર્ણય લેતી વખતે ટ્રાયલ પૂરી કરવામાં થતા વિલંબના પાસા પર પણ કોર્ટે જરૂર ધ્યાન આપવું જોઈએ.
જસ્ટિસ ગોપીએ અન્ય એક મામલામાં કહ્યું હતું કે મોટર ઍક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યૂનલ્સ (MACT) દ્વારા દાવો કરનાર વ્યક્તિને તેના ‘જીવનના તાકીદના ખર્ચ’ને પહોંચી વળવા માટે ફિક્સ ડિપૉઝિટમાં મુકાયેલા વળતરને સમયમર્યાદા પહેલાં મેળવવાની પરવાનગી આપવી જોઈએ.
કોણ છે જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છક?
જસ્ટિસ ગીતા ગોપીએ આ કેસની સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધાં બાદ આ મામલાની સુનાવણી હવે જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં થઈ રહી છે.
ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટ પર મુકાયેલી જસ્ટિસ હેમંત પચ્છકની પ્રોફાઇલ અનુસાર વર્ષ 1965માં પોરબંદર ખાતે જન્મેલા જસ્ટિસ હેમંત પ્રચ્છક સોમનાથમાં પ્રાથમિક અને વેરાવળ-પ્રભાસપાટણમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું છે.
વર્ષ 1988માં પોરબંદરની કાલિદાસ હરિદાસ માધવાણી કૉલેજમાંથી કૉમર્સમાં સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેઓ વર્ષ 1992માં પોરબંદરની જ ધનજીભાઈ ડી. ખોટિયાવાલા મ્યુનિસિપલ લૉ કૉલેજમાંથી કાયદાના સ્નાતક થયા હતા.
તેમણે વર્ષ 1992થી જ ગુજરાત હાઈકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું.
આ દરમિયાન તેમણે સિવિલ, ક્રિમિનલ અને મોટર ઍક્સિડન્ટ ક્લેઇમને લગતા મામલા ચલાવ્યા.
આ સિવાય તેમણે વર્ષ 2002થી 2007 સુધી મદદનીશ સરકારી વકીલ અને અધિક સરકારી વકીલ તરીકે કામ કર્યું. વર્ષ 2015થી 2019 સુધી ગુજરાત હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે પણ તેમણે કામ કર્યું છે.
વર્ષ 2021માં તેમને ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે નીમવામાં આવ્યા હતા.