You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હોર્મુઝ ખોલવા ઈરાન સહમત પણ અમેરિકા સામે કઈ શરત રાખી?
- લેેખક, ગેરી ઓ'ડોનોગ્યુ
- પદ, વરિષ્ઠ ઉત્તર અમેરિકા સંવાદદાતા
- દ્વારા રિપોર્ટિંગ, વોશિંગ્ટન ડીસી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે, ઈરાનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકા સાથે એક કરાર થવાની નજીક છે અને તેમાં હોર્મુઝની સામુદ્રધુનીને ફરીથી ખોલવાનો પણ સમાવેશ થાય છે.
સૈયદ અબ્બાસ અરાઘચીએ સરકારી ટીવીને જણાવ્યું કે, આ કરારમાં ઈરાન પર અમેરિકાની નાકાબંધી હટાવવાનો પણ સમાવેશ થાય છે, પરંતુ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વાતચીત બાદમાં શરૂ થશે.
અમેરિકાના અધિકારીઓએ કરારની કેટલીક વિગતોની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, ઈરાનને મળતો આર્થિક લાભ તહેરાન દ્વારા પોતાની જવાબદારીઓ પૂર્ણ કરવા પર નિર્ભર કરે છે.
28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓ સાથે યુદ્ધ શરૂ થયું હતું. ત્યારબાદ, ઈરાને ઇઝરાયલ અને ગલ્ફમાં અમેરિકાના સાથી દેશો પર હુમલા કર્યા હતા તેમજ વિશ્વના ઑઇલ અને પ્રવાહી કુદરતી ગૅસ પરિવહન માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવતી હોર્મુઝની સામુદ્રધુનીને બંધ કરી દીધી હતી.
એપ્રિલમાં યુદ્ધવિરામ પર સંમત થયા હોવા છતાં, અમેરિકા અને ઈરાન વચ્ચે સમયાંતરે ગોળીબાર થતો રહ્યો છે, જેમાં આ અઠવાડિયે બે રાઉન્ડના સામસામે હુમલાનો સમાવેશ થાય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે, તેમણે ઈરાન સામે "નિર્ધારિત હુમલાઓ" રદ કર્યા છે; કારણ કે વાટાઘાટ કરનારા લોકોએ "એક શાનદાર સમાધાન" જોયું છે. તે એક એવી સમજૂતી હશે, જેના પર ટૂંક સમયમાં હસ્તાક્ષર થવાની સંભાવના છે.
શુક્રવારે ઈરાની મીડિયાએ કથિત 14-મુદ્દાના કરારમાંથી કેટલીક વિગતો પ્રકાશિત કરી હતી, જેના વિશે ટ્રમ્પે કહ્યું કે, આ ડ્રાફ્ટનો "સત્ય સાથે કોઈ સંબંધ નથી."
થોડા કલાકો પછી, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે, અમેરિકા અને ઈરાન વચ્ચે એક સમજૂતી કરાર પર સંમતિ સધાઈ ગઈ છે અને અંતિમ પ્રક્રિયા ચાલી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરાઘચીએ કહ્યું કે, આ સોદા અંગે ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યૉરિટી કાઉન્સિલમાં સમર્થન અને વિરોધ બંને છે.
જોકે, તેમણે ઉમેર્યું કે, "હજુ સુધી અંતિમ સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ પૂરતું, આપણે રાહ જોવી પડશે. જો મંજૂરી મળશે, તો કરાર પર દૂરથી હસ્તાક્ષર કરવામાં આવશે."
ઇઝરાયલ આ વાટાઘાટોમાં ભાગ લઈ રહ્યું નથી. આ વાટાઘાટોનો ઉદ્દેશ્ય યુદ્ધવિરામ લંબાવવા અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ સહિત મુખ્ય મુદ્દાઓ પર વાટાઘાટો શરૂ કરવાનો છે.
દાયકાઓથી પશ્ચિમી દેશો દ્વારા ઈરાન પર પરમાણુ હથિયારો બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
જોકે, ઈરાને આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, તેનો કાર્યક્રમ વીજળી ઉત્પન્ન કરવા અને સંશોધન હેતુઓ માટે છે.
શુક્રવારે બપોરે પત્રકારો સાથેની વિગતવાર બ્રીફિંગમાં, અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સમજૂતી હોર્મુઝની સામુદ્રધુનીને ફરીથી ખોલશે; જેના બદલામાં અમેરિકા ઈરાની જહાજો પરની નાકાબંધી હટાવશે.
આ પગલાં લગભગ તરત જ અમલમાં આવશે. આ પછી 60 દિવસની વાટાઘાટો થશે, જેમાં ઈરાનના સમૃદ્ધ યુરેનિયમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આના પરિણામે તે બધી સામગ્રીનો નાશ તે સ્થળ પર જ કરવામાં આવશે અને પછીથી દેશની બહાર લઈ જવામાં આવશે, જોકે આ કરવા માટેની કોઈ ચોક્કસ પદ્ધતિ હજુ નક્કી કરવાની બાકી છે.
આર્થિક દૃષ્ટિકોણથી, અમેરિકાએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, શરૂઆતમાં ઈરાનને કોઈ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે નહીં; તેના બદલે તબક્કાવાર પ્રતિબંધો હટાવવામાં આવશે અને ઈરાનને વૈશ્વિક અર્થતંત્રમાં ફરીથી એકીકૃત કરવામાં આવશે.
આ કરાર હેઠળ, ઈરાને લેબનોનમાં હિઝબુલ્લાહ જેવા સંગઠનોને ભંડોળ આપવાનું બંધ કરવું પડશે.
અમેરિકન અધિકારીઓના મતે, આ સોદો વિશ્વાસ પર નહીં, પરંતુ કાર્યવાહી પર આધારિત છે.
ઈરાન કરારની શરતોનો અમલ કરે છે તેની પુષ્ટિ થયા પછી જ તેને નાણાકીય લાભ ચૂકવવામાં આવશે.
અમેરિકા, ઈરાન, પાકિસ્તાન અને કતાર જેવા મધ્યસ્થી દેશોમાં સાવચેતીભર્યો આશાવાદ છે.
જોકે, અંતિમ કરાર માટે હજુ થોડો સમય બાકી છે. છેલ્લા કેટલાક મહિનામાં આવા કરારની શક્યતાઓ હતી, પરંતુ અંતિમ તબક્કામાં તે નિષ્ફળ ગઈ હતી.
અમેરિકન વહીવટી તંત્રના મતે, આ વખતે તફાવત એ છે કે કરાર અંગે વધુ પારદર્શિતા અને આશાવાદ છે.
અરાઘચીએ કહ્યું કે, "ચર્ચાઓના અંતિમ તબક્કા પૂર્ણ થતાં જ કરાર હસ્તાક્ષર કરવા માટે તૈયાર થઈ જશે. આ થોડા દિવસોમાં થઈ શકે છે. હું ખૂબ આશાવાદી છું."
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, MOUનો પહેલો મુદ્દો ઈરાન પરના યુએસ નૌકાદળના નાકાબંધીને હટાવવાનો હતો.
હોર્મુઝની સામુદ્રધુની અંગે તેમણે કહ્યું કે, તેનું સંચાલન હવે પહેલા જેવું રહેશે નહીં.
ઈરાને આ સામુદ્રધુની પસાર કરવા માંગતા જહાજો પાસેથી ફી ચૂકવવાનો આગ્રહ રાખ્યો છે, જ્યારે અમેરિકાનો આગ્રહ છે કે, તમામ શિપિંગ માટે માર્ગ મફત હોવો જોઈએ.
ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ એમ પણ કહ્યું કે, "આ કરારનો હેતુ ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના સંઘર્ષનો અંત લાવવાનો પણ છે. જોકે, અગાઉના અમેરિકન અહેવાલો અનુસાર, લેબનોન આ કરારનો ભાગ ન પણ હોય શકે."
ઇઝરાયલના વડા પ્રધાને કહ્યું છે કે, જો હિઝબુલ્લાહ ઉત્તર ઇઝરાયલ સામે હુમલા ચાલુ રાખશે, તો તેમનો દેશ તેના પર હુમલો કરશે.
(વ્હાઇટ હાઉસના સંવાદદાતા બર્ન્ડ ડેબુસમેન દ્વારા વધારાના રિપોર્ટિંગ સાથે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન