હાઇપરટેન્શન ડે: કેમ થાય છે હાઈ બ્લડપ્રેશર, તેને ઓછું કરવા શું કરવું જોઈએ?

    • લેેખક, ડૉ. પ્રતિભા લક્ષ્મી
    • પદ, બીબીસી માટે
  • પ્રકાશિત

આપણા દેશની 30 ટકા વસતી હાઈ બ્લડપ્રેશરથી પીડિત છે. હાઈ બ્લડપ્રેશર ધરાવનારા મોટાભાગના લોકોને ખબર હોતી નથી કે તેમને હાઈ બ્લડપ્રેશર છે. મોટાભાગના લોકોને પૂરતી સારવાર મળતી નથી.

હાઈ બ્લડપ્રેશર હૃદયસંબંધી સમસ્યાઓનાં મુખ્ય કારણોમાંથી એક છે. કેટલાંક વર્ષ પહેલાં હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીઓ સરેરાશ 60 વર્ષની ઉંમરમાં જોવા મળતી હતી, પરંતુ હવે તે એક દાયકાથી પણ પહેલાં એટલે કે પચાસ વર્ષની ઉંમરથી જોવા મળી રહી છે.

સામાન્ય બ્લડપ્રેશર 120/80 હોય છે. જ્યારે બ્લડપ્રેશર 140/90થી વધી જાય છે, ત્યારે ત્રણ અલગ-અલગ તબક્કામાં બ્લડપ્રેશરના ટેસ્ટ કરવામાં આવે છે અને દવા પણ શરૂ કરવામાં આવે છે.

જો બ્લડપ્રેશર 120/80થી 140/90 વચ્ચે હોય તો જીવનશૈલી અને ખાવાપીવાની આદતોમાં ફેરફારની સાથે ટેસ્ટ પણ કરાવવા જોઈએ.

બ્લડપ્રેશરનો ટેસ્ટ કરાવતી વખતે શું સાવધાની રાખવી?

  • ટેસ્ટના એક કલાક પહેલાં ધ્રૂમપાન ન કરવું, વ્યાયામ ન કરવો અને કૉફી પણ ન પીવી જોઈએ.
  • ઓછામાં ઓછી દસ મિનિટ સુધી મૌન રહ્યા બાદ ટેસ્ટ કરાવવો જોઈએ.
  • ટેસ્ટ કરાવતી વખતે બીપી મૉનિટર વ્યક્તિના હૃદયના લેવલ પર હોવું જોઈએ.
  • વ્યક્તિના પગ જમીન પર અડેલા હોવા જોઈએ.
  • પીઠ અને હાથ ટેકવેલા હોવા જોઈએ.
  • ટેસ્ટ વખતે હલવું ન જોઈએ કે વાત કરવી ન જોઈએ.

વ્હાઇટ કોટ હાઈ બ્લડપ્રેશર શું છે?

કેટલાક મામલામાં માત્ર હૉસ્પિટલમાં વધુ બીપીના કેસ દાખલ કરવામાં આવે છે. તેને વ્હાઇટ કોટ હાઈ બ્લડપ્રેશર કહે છે.

જ્યારે શંકા હોય ત્યારે વ્યક્તિને જાતે અથવા પરિવારના કોઈ સભ્યની મદદથી ઘરે બીપી માપવાનું કહેવું જોઈએ.

હવે 24 કલાક બ્લડપ્રેશર મૉનિટરિંગ ડિવાઇસ ઉપલબ્ધ છે. તેની મદદથી બ્લડપ્રેશર કયા સમયે વધે છે? જેના આધારે ચોક્કસ સમયે વધતા બ્લડપ્રેશરને નિયંત્રિત કરવાના ઉચિત ઉપાય જાણી શકાય છે.

હાઈ બ્લડપ્રેશરનાં મુખ્ય પ્રકાર

પ્રાથમિક- આનુવંશિક રીતે મધ્યમ ઉંમરના લોકોમાં વધુ જોવા મળે છે.

દ્વિતિયક- કોઈ અન્ય સમસ્યાના કારણે હાઈ બ્લડપ્રેશર રહે એ સૌથી સામાન્ય કારણ છે.

થાઇરૉઇડની સમસ્યા- ઉચ્ચ અથવા મધ્યમ થાઇરૉઇડવાળા લોકો માટે

યુરિનલ ટ્રૅક્ટ પ્રૉબ્લેમ - યુરિનલ ટ્રૅક્ટ ડૅમેજ સામાન્ય રીતે હાઈ બ્લડપ્રેશરના કારણે થાય છે. જોકે કોઈ પણ કારણોસર ક્રોનિક રીનલ ફેલ્યોર હાઈ બ્લડપ્રેશર છે.

ફિયોક્રોમોસાઇટોમા - કિડની પાસેની અધિવૃક્ક ગ્રંથિઓમાં વધારો ટ્યૂમરના કારણે થાય છે.

રક્તવાહિનીઓની સમસ્યા- મહાધમનીનું સંકુચન, વૃક્કધમની સ્ટેનોસિસ અથવા કેટલીક અન્ય રક્તવાહિકાની સમસ્યા હાઈ બ્લડપ્રેશરનું કારણ બની શકે છે.

આ સિવાય વધુ વજનના કારણે અને ખાસ કરીને ઊંઘ દરમિયાન સારી રીતે શ્વાસ ન લેવાય તો એનાથી પણ હાઈ બ્લડપ્રેશરની બીમારી થાય છે.

કેટલીક દવાઓ પણ હાઈ બ્લડપ્રેશરનું કારણ બની શકે છે.

હાઈ બ્લડપ્રેશરનું જોખમ

  • અનિયંત્રિત બ્લડપ્રેશર ઍથરોસ્ક્લૅરોસિસ, સ્ટ્રૉક અને હાર્ટઍટેક જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.
  • લાંબા સમય સુધી હાઈ બ્લડપ્રેશર રહે તો હૃદય પર સોજો આવી શકે છે અને હાર્ટફૅલ્યોરની સમસ્યા પણ થઈ શકે છે.
  • કિડની ફૅલ્યોર પણ થઈ શકે છે અને લાંબા સમય સુધી ડાયાલિસિસની જરૂર પણ પડી શકે છે.
  • હાઈ બ્લડપ્રેશર આંખોને પ્રભાવિત કરે છે અને દૃષ્ટિ ઓછી કરી નાખે છે.
  • બ્લડપ્રેશરમાં અચાનક વૃદ્ધિના કારણે મસ્તિષ્કને અસર થઈ શકે છે અને વ્યક્તિ બેભાન પણ થઈ જાય છે.

મીઠું ઓછું ખાવું ખૂબ જરૂરી

આપણા દેશમાં વધુ મીઠું ખાવાની આદત હાઈ બ્લડપ્રેશરનું મુખ્ય કારણ બનતું હોય છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે મીઠાનું સેવન ઓછું કરવાથી બીપી ઓછું થઈ શકે છે.

બજારમાં મળતા મોટાભાગના ખાદ્યપદાર્થમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે, તેની જાણકારી આપણને હોતી નથી.

જ્યારે દરેક મનુષ્યને પ્રતિ દિન 2.5 ગ્રામ મીઠાની આવશ્યકતા હોય છે, વિશ્વ આરોગ્ય સંગઠન વધારેમાં વધારે પ્રતિદિન પાંચ ગ્રામ સુધી મીઠું લેવાની સલાહ આપે છે.

જોકે આપણા દેશમાં સરેરાશ દરેક વ્યક્તિ દસ ગ્રામ સુધી મીઠું ખાય છે. તેનાથી આરોગ્યસંબંધી અન્ય સમસ્યાઓ પણ થાય છે.

મીઠાનો સ્વાદ સહજ રીતે જીભને ખબર પડતો નથી. આપણને તેની આદત થઈ જાય છે. તેથી કેટલાક દિવસો સુધી ઓછું મીઠું ખાવાથી આપણી જીભને તેની આદત પડી જાય છે. વધુ માત્રામાં ફળ ખાવાથી મીઠાનું સેવન અને બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.

વ્યાયામ જરૂરી

વજન ઓછું કરવા માટે દૈનિક વ્યાયામ, સારો આહાર અને જીવનશૈલીમાં પરિવર્તન આવશ્યક છે. જીવનમાં તણાવ ઓછો કરવા માટે યોગ અને ધ્યાનની શરૂઆત કરવી જોઈએ.

હાઈ બ્લડપ્રેશરનાં અન્ય કારણોમાં તમાકુનું સેવન અને ધ્રૂમપાન પણ છે. તેને રોકવું અતિઆવશ્યક છે. જે લોકો દારૂ વધુ પીવે છે અને ચરબીયુક્ત ભોજન કરે છે, તેને એ આદતોથી બચવું જોઈએ.

આટલું કર્યા પછી પણ બ્લડપ્રેશર કંટ્રોલમાં ન રહેતું હોય, તો રાહ જોયા વગર ડૉક્ટરની સલાહ પ્રમાણે દવાનું સેવન શરૂ કરી દેવું જોઈએ.

જે લોકો વધુ નસકોરાં લેતા હોય તો (ભલે તેમના શરીરનું વજન સામાન્ય હોય) સ્લીપ ઍપ્નિયા અને હાઈ બ્લડપ્રેશરથી પીડિત થવાની શક્યતા વધુ હોય છે. જો તેઓ એક વાર સ્લીપ ટેસ્ટ લે તો (સ્લીપ સ્ટડી) જાણી શકીએ કે આવી કોઈ સમસ્યા તો નથી ને.

દવાઓ લેતી વખતે જો બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે, તો તેનો અર્થ એવો છે કે નિયમિતપણે દવા લેવી જોઈએ.

જો હાઈ બ્લડપ્રેશર હોય તો વર્ષમાં ઓછામાં ઓછો એક વાર ટેસ્ટ કરાવવો જોઈએ અને દવાઓનો ઉપયોગ પણ કરવો જોઈએ.

ચરબી ઓછી કરવા, હાર્ટઍટેક કે સ્ટ્રોક માટે લોહીને પાતળું કરવાની દવાઓનો ઉપયોગ કરી શકાય છે. આ સાથે જ જરૂર પ્રમાણે વિટામિન બી12ની દવા પણ લઈ શકાય છે.

(લેખક ડૉક્ટર છે, આ લેખ આ વિષયની સામાન્ય સમજ માટે છે.)