You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકગાયક વિજય સુવાળા સામે પોલીસ કેસ નોંધાયો, શું છે મામલો?
જાણીતા લોકગાયક અને ભાજપના નેતા વિજય સુવાળા તેમના ભાઈ તથા અન્ય શખ્સો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદસ્થિત બિલ્ડર અને સત્તારૂઢ પક્ષના જ અન્ય એક નેતા દિનેશ દેસાઈએ મારામારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો દાખલ કરાવ્યો છે.
ફરિયાદીના કહેવા પ્રમાણે, તેમની વચ્ચે ગાઢ સંબંધ હતા, પરંતુ ગત ચારેક વર્ષથી તેમની વચ્ચે બોલચાલ બંધ હતી.
લોકગાયક સુવાળા પોતાની ઉપરના આરોપોને નકાર્યા છે અને દેસાઈ ઉપર ખંડણી ઉઘરાવવાનો આરોપ મૂક્યો છે.
અમદાવાદની ઓઢવ પોલીસે લોકગાયક સામે એફઆઈઆર દાખલ કરીને તેમને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.
સુવાળા અને દેસાઈ, દોસ્તમાંથી બન્યા દુશ્મન?
અમદાવાદમાં જમીન-મકાન લે-વેચ તથા ફાઇનાન્સ કંપની ચલાવતા દિનેશ દેસાઈએ લોકગાયક વિજય સુવાળા વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
દેસાઈના કહેવા પ્રમાણે, તેમના સમાજના એક કાર્યક્રમ દરમિયાન તેમની અને વિજય સુવાળાની વચ્ચે મુલાકાત થઈ હતી. એ પછી કૉમન ફ્રૅન્ડ મારફત આ મિત્રતા ગાઢ બની હતી.
જોકે, ચારેક વર્ષ પહેલાં દેસાઈ તથા સુવાળાની વચ્ચે મનદુ:ખ થયું હતું, જેના કારણે તેમની વચ્ચે બોલચાલ બંધ થઈ ગઈ હતી. દિનેશ દેસાઈએ દાખલ કરાવેલી એફઆઈઆર પ્રમાણે, પહેલી જુલાઈથી તેમની ઉપર વિજય સુવાળાના નામથી ફોન હતા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી હતી. શરૂઆતમાં તેમણે આ વાતને અવગણી હતી. એ પછી અજાણ્યા નંબરો પરથી તેમને ધમકી મળતી રહી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરમિયાન તેમના ભાગીદાર તથા પિતરાઈ ચેતન ઉપર ફોન આવ્યા હતા, જેમાં પણ ધમકી આપવામાં આવી હતી. ફરિયાદ મુજબ, તા. 18મી ઑગસ્ટે 15-20 ગાડી અને દસેક બાઇક લઈને દિનેશ દેસાઈના પિતા હરીશ દેસાઈની ઑફિસે પહોંચ્યા હતા. તેમના હાથમાં ધોકા અને પાઇપ જેવાં હથિયાર હતાં અને તેમણે દિનેશ વિશે પૃચ્છા કરી હતી.
ઓઢવ પોલીસે લોકગાયક વિજય સુવાળા, તેમના પિત્રાઈ ભાઈ યુવરાજ તથા દસેક શખ્સો સામે નામજોગ તથા અન્યો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 189-2, 189-4, 296-બ, 351-3 જેવી કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
જાણકારોના કહેવા પ્રમાણે, એલઆઈસી એજન્ટ તરીકે કામ કરતા દિનેશ દેસાઈના પિતા તથા વિજય સુવાળાની વચ્ચે પણ સારા સંબંધ હતા.
લોકગાયક સુવાળાએ વીડિયો નિવેદનમાં શું કહ્યું
લોકગાયક સુવાળાએ વીડિયો નિવેદન બહાર પાડીને પોતાની ઉપરના આરોપોને નકાર્યા હતા.
સુવાળાના કહેવા પ્રમાણે, "દિનેશ દેસાઈ ત્રણ-ચાર વર્ષથી તેમની પાછળ પડી ગયા છે. દેસાઈ દ્વારા વગનો ઉપયોગ કરીને ફિટ કરી દેવાની તથા કાર્યક્રમો નહીં થવા દેવાની ધમકી આપવામાં આવતી. આ સિવાય ખંડણીની પણ ઉઘરાણી કરવામાં આવતી."
"દેસાઈ દ્વારા નંબર માગીને અમારા સમાજની દીકરીઓની કનડગત કરવામાં આવતી હોવાની રજૂઆતો અમને મળી હતી. એટલે સમાજના લોકોને મોકલીને અમે તેમને સમજાવવા માટે પ્રયાસ કર્યો હતો, એટલે આ બાબત તેમને ખટકી હતી અને એફઆઈઆર દાખલ કરાવી."
ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં વિજય સુવાળા આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા, પરંતુ ચારેક મહિના પાર્ટીમાં રહ્યા બાદ ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર. પાટીલના હાથે કેસરિયો ધારણ કરીને સત્તારૂઢ પક્ષમાં જોડાઈ ગયા હતા.
વીડિયો નિવેદન બહાર પાડીને દિનેશ દેસાઈએ છેડતીના આરોપ નકાર્યા હતા અને છેડતીના પુરાવા રજૂ કરવા પડકાર ફેંક્યો હતો. આ સિવાય ક્યારેય સુવાળા સાથે વાત ન કરી હોવાની તથા જો રજૂઆતનો હેતુ હોય તો સમાજના અગ્રણીને સાથે રાખીને દિવસ દરમિયાન વાત કરી હોત.
આ સિવાય દેસાઈએ આરોપી સુવાળા સાથે અન્ય સમાજના તથા કથિત રીતે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા શખ્સોની હાજરી અંગે સવાલ ઊભા કર્યા હતા.
મીડિયા સાથે વાતચીત દરમિયાન ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એન. ઝિંઝુવાડિયાએ દિનેશ દેસાઈની ફરિયાદના આધારે લોકગાયક વિજય સુવાળા વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હોવાની વાત કહી હતી.
પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ, સુવાળાના ફૉન ડિટૅઇલ્સ અને મોબાઇલ ફોન લોકેશનના આધારે તપાસ હાથ ધરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન