You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપના બળવાખોરોને પાટીલે શું ચેતવણી આપી?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
ટૂંક સમયમાં ગુજરાતની ચૂંટણી યોજાવાની છે. 1 અને 5 ડિસેમ્બરે ગુજરાતની 182 બેઠકો પર બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવી જશે.
ચૂંટણી નિકટ હોઈ રાજકીય પક્ષોએ પણ કમર કસી લીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને રાજકીય પક્ષો પ્રચાર અને સમીકરણો ગોઠવવામાં લાગી ગયા છે.
મોટા ભાગના રાજકીય પક્ષો પોતાના મોટા ભાગના ઉમેદવારો જાહેર કરીને ચૂંટણી માટે સજ્જ થઈ ગયા છે.
ગુજરાતમાં ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માહોલ ચૂંટણીમય હોય તે વાજબી છે, તેથી દરરોજ અમે રાજકીય પક્ષો અને રાજ્યના રાજકીય પરિદૃશ્યની આસપાસના સમાચારો આપના માટે લાવીએ છીએ, સમગ્ર દિવસના મોટા સમાચારો જાણવા અહેવાલ આગળ વાંચો.
ભાજપના બળવાખોરોને પાટીલની ચીમકી
ભાજપ સામે બળવો કરનારા નેતાઓ સામે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ચેતવણી ઉચ્ચારી છે.
બળવો કરનારા નેતાઓને ચીમકી આપતાં પાટીલે કહ્યું છે, "જેમને ટિકિટ નથી મળી અને જો તેઓ અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે એ તેમની ઉમેદવારી પરત નહીં ખેંચે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવશે."
મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલાં ભાજપના ઊઠેલા અસંતોષના સૂર કાર્યકરોને ભાજપના કાર્યાલય 'શ્રી કમલમ્' સુધી ખેંચી ગયા હતા અને બળવાખોરો કોઈ ધમાલ ના કરે એ માટે કાર્યાલયના દરવાજા પણ બંધ કરી દેવાયા હતા. ભાજપમાં આવું પ્રથમ વખત થયું છે.
ભાજપમાં બળવાની વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં ત્રણ ટર્મ સુધી જિલ્લા પ્રદેશ પ્રમુખના પદે રહેલા જે. પી. પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. દસાડાના ભાજપના ઉમેદવાર પી. કે. પરમારની સામે પણ વિરોધનો સૂર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપ નેતા માવજી દેસાઈએ પણ પક્ષ સાથે છેડો ફાડીને ધાનેરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તો અરવલ્લીમાં પણ ભાજપમાં અસંતોષ સામે આવ્યો છે.
બાયડમાં ટિકિટ નહીં મળતાં ધવલસિંહ ઝાલાએ પણ વિરોધમાં કામ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો વડોદરામાં વાઘોડિયા બેઠક પર ટિકિટ ન મળતાં મધુ શ્રીવાસ્તવે પણ બળવો કર્યો છે.
રાહુલ ગાંધીએ સાવરકરનો પત્ર દેખાડીને કહ્યું- 'ફડણવીસજી વાંચી લે'
ભારત જોડો યાત્રા પર નીકળેલા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે વિનાયક દામોદર સાવરકર તરફથી અંગ્રેજોને લખાયેલો પત્ર દર્શાવીને ભાજપને ઘેરવાની કોશિશ કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું, "આ મારા માટે સૌથી મહત્ત્વનો દસ્તાવેજ છે. આ સાવરકરજીનો પત્ર છે, જે તેમણે અંગ્રેજોને લખ્યો છે. હું તેની અંતિમ લાઇન વાંચવા માગું છું, જે અંગ્રેજીમાં લખેલી છે. હિન્દીમાં તેનો અનુવાદ છે- 'સાહેબ, હું તમારો નોકર રહેવા માગું છું.'
"આ મેં નહીં સાવરકરજીએ લખ્યું છે. જો ફડણવીસ જોવા માગે તો પણ જોઈ લે. હું સ્પષ્ટ છું કે સાવરકરજીએ અંગ્રેજોની મદદ કરી હતી."
આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે "તેઓ (વર્તમાન સમયમાં) બે સમસ્યા જોઈ રહ્યા છે. પહેલી કે યુવાઓ સાથે નોકરી મળવાનું આશ્વાસન નથી અને ખેડૂતોને ક્યાંયથી પણ મદદ મળતી નથી."
"ત્રીજી સમસ્યા એકબીજા સાથે જોડાયેલી છે, કેમ કે લોકો શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે પૈસા ખર્ચી રહ્યા છે અને સરકારી સ્કૂલ, કૉલેજ અને હૉસ્પિટલ બંધ થઈ રહ્યાં છે, તો પૈસા ક્યાં જઈ રહ્યા છે?"
PM ફરી આવશે ગુજરાત, નવસારીમાં રાહુલ-મોદી એક જ દિવસે સંબોધશે સભા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહે ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રથી સુરત સુધી મોદી સાત કાર્યક્રમોમાં હાજરી આપશે.
19નવેમ્બરે વડા પ્રધાન મોદી વલસાડમાં એક ચૂંટણીસભા સંબોધશે.
એ બાદ 20નવેમ્બરે મોદી સોમનાથ મંદિરની મુલાકાત લેશે છે. આ મુલાકાત બાદ તેઓ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચૂંટણીસભાને સંબોધશે.
અહીં એ વાત પણ નોંધનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં આ ચારેય બેઠકોમાંથી ભાજપ એક પણ બેઠક નહોતો જીતી શક્યો. સામાન્ય રીતે આ વિસ્તારો કૉંગ્રેસના પરંપરાગત મતવિસ્તારો માનવામાં આવે છે.
પોતાની મુલાકાતના ત્રીજા દિવસે સુરેન્દ્રનગર, ભરૂચ અને નવસારીમાં પીએમ મોદી ચૂંટણીસભા સંબોધશે. ભરૂચ ભૂતકાળમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલનો મતવિસ્તાર રહ્યો છે.
રસપ્રદ વાત એ છે કે 21 નવેમ્બરે રાહુલ ગાંધી પણ નવસારીની મુલાકાત લે એવા અહેવાલો છે. આ જ દિવસે મોદી પણ નવસારીમાં હશે.
કૉંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષના ઉમેદવારોની પસંદગી મુદ્દે આક્ષેપો
ગુજરાતમાં કૉંગ્રેસ પક્ષના અનુસૂચિત જાતિ વિભાગના અધ્યક્ષ હિતેન્દ્ર પીઠડિયાએ બુધવારે આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને પક્ષમાં "કથની અને કરણી" વચ્ચે ફરકની વાત કરી હતી.
બુધવારે કૉંગ્રેસે 37 ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કર્યા પછી પીઠડિયાએ તેમની નારાજગી વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો.
ગુજરાત કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં વિધાનસભાની ચૂંટણીમાં વાલ્મીકિ સમાજના એક પણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી. તેમણે ગુજરાતી અને હિન્દીમાં આ પ્રમાણે ટ્વીટ કર્યું.
“ગુજરાત કૉંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં એક પણ વાલ્મીકિને ટિકિટ આપવામાં આવી નથી. આ દુર્ભાગ્યપૂર્ણ છે.
મહિલા સશક્તીકરણ?
OBC/મુસ્લિમ પ્રતિનિધિત્વ?
જાતિ/પેટા-જાતિ સંતુલન?
સામાન્ય બેઠક પરથી દલિત-આદિવાસી ઉમેદવાર?
કરની અને કથનીમાં અંતર કેમ?
શું આ સામાજિક ન્યાય છે?
મનુવાદ મુર્દાબાદ!”
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પીઠડિયાએ કહ્યું, "જગદીશ ઠાકોર (પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ) અને રઘુ શર્મા બંનેએ કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ એવી બેઠકો પર દલિત ઉમેદવારોને ઊભા રાખશે, જ્યાં દલિત વસ્તીની ટકાવારી વધુ હોય."
SC માટે અનામત 13 બેઠકો સહિત ગુજરાતમાં 27 સામાન્ય બેઠકો છે, જ્યાં દલિત વસ્તી 10 ટકાથી વધુ છે, તેમણે કહ્યું, “ધોળકા જેવી બેઠકોમાં દલિત વસ્તી 20 ટકા છે. અમરાઈવાડી સીટ પર (અમદાવાદ શહેરમાં) અમારી સંખ્યા 61હજારથી વધુ છે. બાપુનગર, વેજલપુર, લિંબાયત, કેશોદ, માણાવદર અને ગાંધીનગર ઉત્તરમાં મોટી વસ્તી છે. પરંતુ સક્ષમ દલિતોને સામાન્ય બેઠકો પરથી લડવા માટે કેમ પસંદ કરવામાં આવતા નથી. અમે સામાન્ય વર્ગના લોકો સાથે સ્પર્ધા કરવા માગીએ છીએ.”