You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટીમ ઇન્ડિયાની ઝોળીમાં દસ વર્ષથી વર્લ્ડકપની કોઈ ટ્રૉફી કેમ નથી આવી, ચૂક ક્યાં થઈ?
- લેેખક, વિધાંશુકુમાર
- પદ, રમતગમત પત્રકાર, બીબીસી હિંદી માટે
- પ્રકાશિત
- ભારત-બાંગ્લાદેશ વચ્ચે સાત વર્ષ બાદ યોજાશે વનડે મૅચ
- બાંગ્લાદેશનો પ્રવાસ કેમ હશે ભારત માટે મહત્ત્વપૂર્ણ?
- કયા ખેલાડીઓ પર રહેશે નજર? કેમ સાબિત થઈ શકે છે આ સિરીઝ ભારત માટે પડકારજનક?
લગભગ દસ મહિનામાં વનડે ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થવાનો છે જેની મેજબાની ભારત કરવાનું છે. આમ તો ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા સુપરસ્ટાર ખેલાડીઓ સામેલ રહ્યા હોવા છતાં વર્ષ 2011થી ભારતીય ટીમને વનડે વિશ્વકપ મળ્યો નથી, ન તો આ દરમિયાન ટી20 વર્લ્ડકપ ઘરે લાવી શક્યા છે.
ઑસ્ટ્રેલિયામાં ખતમ થયેલા ટી20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમે ખરેખર વનડે વર્લ્ડકપની તૈયારી શરૂ કરી દીધી છે અને પ્રથમ તબક્કામાં ટીમે ન્યૂઝીલૅન્ડનો પ્રવાસ કર્યો. પરંતુ આ પ્રવાસ ભારત માટે એક અસફળ પ્રવાસ સાબિત થયો.
ત્રણ મૅચની સિરીઝમાં ભારતે પ્રથમ મૅચમાં 306 રન બનાવ્યા છતાં સાત વિકેટે ગુમાવી હતી. બીજી અને ત્રીજી મૅચ પણ વરસાદના કારણે અનિર્ણીત રહી, પરંતુ એમાં પણ ટીમ ઇન્ડિયા કંઈ ખાસ ન કરી શકી.
ત્રીજી વનડેમાં માત્ર 219 રન બનાવનાર ભારતીય ટીમ હારવાની જ હતી કે વરસાદે તેને બચાવી લીધી.
ટીમ ઇન્ડિયાની તૈયારીઓ માટે આ સંકેત શુભ નથી. આથી રવિવારે શરૂ થયેલી ત્રણ વનડે મૅચનો બાંગ્લાદેશ પ્રવાસ વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
જોકે, ટીમ બે ટેસ્ટ મૅચ પણ રમશે પરંતુ બધાની નજર વનડેના પ્રદર્શન પર રહેશે.
ભારતીય બેટિંગ ઑર્ડર પૂરી તાકત સાથે
ઘણા સમય બાદ ભારતીય બેટિંગ ઑર્ડર પોતાની પૂરી તાકત સાથે મેદાન પર ઊતરશે. વર્ષ 2019ના વર્લ્ડકપ બાદ ટીમમાંથી અવારનવાર કોઈને કોઈ સિનિયર ખેલાડીને ઈજાના કારણે આરામ અપાતો રહ્યો છે.
ઘણા નિષ્ણાતો માને છે કે ટીમના રેગ્યુલર ખેલાડીઓને આરામ આપવાની આ સારી રીત નથી અને જો ભારતે વિશ્વકપમાં સંપૂર્ણ તાકત સાથે ઊતરવું હોય તો જલદી જ ટીમ નક્કી કરીને તેમને દરેક મૅચમાં રમાડવા જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ભારતીય પસંદગીકારો પણ એ વાતને સમજી ચૂક્યા છે અને ઓછામાં ઓછું બેટિંગમાં ફુલ ટીમ સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. ભારતીય ટૉપ ઑર્ડરમાં કપ્તાન રોહિત શર્માની વાપસી થઈ ચૂકી છે. તેઓ શિખર ધવન સાથે ઓપનિંગ કરશે.
તેમજ ત્રીજા નંબર પર વિરાટ કોહલીનું બૅટ બોલશે. જ્યાં એક તરફ વર્ષ 2019ના વર્લ્ડકપમાં ભારતીય મિડલ ઑર્ડર કમજોર દેખાઈ રહ્યું હતું ત્યારે આ વખત એક મજબૂત મિડલ ઑર્ડર સાથે ભારતીય ટીમ મેદાને ઊતરવાની છે, જેમાં ઉપકપ્તાન કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને લેફ્ટ હૅન્ડર રિષભ પંત સામેલ છે.
આમાંથી ઓછામાં ઓછા બે બૅટ્સમૅનોનાં પ્રદર્શન પર ખાસ નજર રહેશે. ઓપનર શિખર ધવન વર્ષ 2019 બાદ સૌથી વધુ મૅચો (34)માં રમનાર ભારતીય ખેલાડી છે પરંતુ આ દરમિયાન તેઓ એક પણ સદી નથી નોંધાવી શક્યા.
બીજી તરફ તેમનો સ્ટ્રાઇક રેટ પણ 90થી ઓછો (82.43) છે. આવી પરિસ્થિતિમાં પોતાની પૉઝિશન પાકી કરવા માટે ધવન માટે આ સિરીઝમાં મોટો સ્કોર બનાવવો જરૂરી બની જાય છે.
બીજી તરફ પંત પર પણ પસંદગીકારો અને ખાસ કરીને પ્રશંસકોની નજર રહેશે જેઓ વનડેમાં પણ સંજુ સૅમસનને જોવા માગે છે.
વિરાટ કોહલીથી સાવધાન
પરંતુ બાંગ્લાદેશે જે ખેલાડીથી બચીને રહેવાની જરૂર છે તે છે વિરાટ કોહલી. વનડેમાં બાંગ્લાદેશમાં વિરાટ કોહલીની સરેરાશ 80.83 છે. તેઓ બાંગ્લાદેશમાં વનડેમાં એક હજાર રન પૂરા કરવાથી તેઓ 30 રન પાછળ છે.
વિરાટ કોહલીએ હાલમાં જ ટી20 મૅચોમાં સારું પ્રદર્શન કર્યું છે, તેમને આશા હશે કે વનડે ક્રિકેટમાં પણ તેઓ એ જ પ્રકારની ધમાકેદાર વાપસી કરશે, જેના માટે તેઓ ઓળખાય છે.
બૉલિંગમાં પરીક્ષણ ચાલુ
બીજી તરફ બૉલિંગમાં હજુ પણ ભારતીય ટીમ પરીક્ષણના તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેમજ ન્યૂઝીલૅન્ડમાં યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને ટીમમાં જગ્યા મળી પરંતુ બાંગ્લાદેશ પ્રવાસમાંથી બંને ગાયબ છે.
અહીં સ્પિનની જવાબદારી અક્ષર પટેલ અને વૉશિંગટન સુંદર પર રહેશે.
તેમજ પેસ ઍટેકમાંથી જસપ્રીત બુમરાહ હજુ પણ બહાર છે. મોહમ્મદ શમી પણ ઈજાગ્રસ્ત હોવાના કારણે બહાર છે. મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર અને યશ દયાલ પેસ ઍટેકની ધુરા સંભાળશે.
શમીની ગેરહાજરીમાં ઝડપી બૉલર ઉમરાન મલિકને ફરી એક વાર તરક મળી છે.
પસંદગીકાર માને છે કે મલિકનું ખાસ ધ્યાન રાખવું પડશે અને તેમને વધુમાં વધુ તકો મળવી જોઈએ, જેમ કે બ્રેટ લીએ હાલમાં જ કહ્યું હતું કે ભારત પાસે સૌથી ઝડપી કાર છે પરંતુ તે સડક પર હોવાના સ્થાને ગૅરેજમાં બંધ છે.
ભારત ફેવરિટ પરંતુ બાંગ્લાદેશ પણ સક્ષમ
ભારત અને બાંગ્લાદેશની ટીમો સાત વર્ષ બાદ વનડે મૅચ રમી રહી છે. અંતિમ વખત ભારત જ્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાના જ દેશમાં રમ્યું હતું ત્યારે ભારતના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની હતા.
મીરપુરમાં રમાયેલી એ અંતિમ મૅચમાં ભારતે ધોનીની જ કપ્તાની ઇનિંગની મદદથી બાંગ્લાદેશને 77 રને હરાવ્યું હતું. પરંતુ એ મૅચ જીતવી પણ એક પ્રકારે લાજ બચાવવા જેવું હતું, કારણ કે પહેલાં બે મૅચ જીતીને બાંગ્લાદેશે સિરીઝ પર પહેલાંથી જ કબજો કરી લીધો હતો.
મીરપુરમાં જ રમાયેલી પ્રથમ વનડે મૅચમાં બાંગ્લાદેશે 307 રન બનાવ્યા અને પછી મુસ્તફિઝુરે પાંચ વિકેટોની મદદથી ભારતીય ઇનિંગને 228 રને જ રોકી દીધી.
તેમજ બીજી મૅચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી પરંતુ ફરી એક વાર ફિઝની ઝડપી-સ્વિંગ બૉલિંગ સામે ટીમે હથિયાર હેઠાં મૂકી દીધાં.
આ ઇનિંગમાં મુસ્તફિઝુરે 43 રન આપીને છ વિકેટ લીધી અને ભારતને 200 રને જ ઑલઆઉટ કરી દીધું. જવાબમાં બાંગ્લાદેશે આ લક્ષ્ય માત્ર ચાર વિકેટ ગુમાવીને જ મેળવી લીધું.
બાંગ્લાદેશ પ્રવાસમાં ભારતીય ટીમે વધુ એક વાત ધ્યાનમાં રાખવાની રહેશે – ઑક્ટોબર 2016 બાદથી બાંગ્લાદેશી ટીમ પોતાના ઘરઆંગણે કોઈ પણ દ્વિપક્ષીય સિરીઝ હારી નથી.
ઘરઆંગણે બાંગ્લાદેશની ટીમ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે અને આ વખતે પણ કંઈક આવી જ આશા કરાઈ રહી છે.
બાંગ્લા ટીમમાં તમિમની ગેરહાજરી
જોકે બાંગ્લાદેશની ટીમમાં રેગ્યુલર વનડે કપ્તાન તમિમ ઇકબાલ ઈજાગ્રસ્ત હોવાના કારણે સામેલ નથી.
તમિમ પર બાંગ્લાદેશની બેટિંગનો મદાર હોય છે હાલના દિવસોમાં જ તેમનું ફૉર્મ સારું રહ્યું છે. તમિમ સિવાય ટીમ ઝડપી બૉલર તસ્કીન અહમદને પણ મિસ કરશે.
તસ્કીન 145 કિલોમિટર પ્રતિકલાકની ઝડપથી બૉલિંગ કરી શકે છે અને બાંગ્લાદેશી પેસ ઍટેકના પ્રમુખ હથિયાર છે.
હાલમાં જ ઑસ્ટ્રેલિયામાં થયેલ ટી20 વર્લ્ડકપમાં પણ ત્યાંની ઝડપી પીચો પર તેમણે શાનદાર બૉલિંગ કરી હતી. તેમની કમીને પૂરી કરવાની જવાબદારી 2016 સિરીઝના હીરો મુસ્તફિઝુર પર રહેશે જેઓ પોતાની ઝડપ ગુમાવી બેઠા છે, પરંતુ નિયંત્રણ, સ્વિંગ અને અનુભવ મામલે તેઓ આગળ છે.
બાંગ્લાદેશ પેસ ઍટેકમાં તેમણે હસન મહમૂદ, એબાદોત હુસૈન અને મેહદી હસન મિરાઝનો સહયોગ મળશે.
બીજી તરફ તમિમ ઇકબાલની ગેરહાજરીમાં ટીમની ધુરા આક્રમક બેટિંગ લિટન દાસના હાથમાં રહેશે.
લિટન દાસ આ વર્ષે શાનદાર ફૉર્મમાં છે અને તેમણે ત્રણેય ફૉર્મેટમાં થઈને આ વર્ષે કુલ 1,703 રન બનાવ્યા છે જે પાકિસ્તાનના બાબર આઝમ બાદ તેમને આ બાબતે બીજા નંબરે મૂકે છે.
બાંગ્લાદેશી બેટિંગ ઑર્ડરમાં અનુભવની કમી નથી. બાંગ્લાદેશી ટીમમાં શાકિબ અલ હસન, મહમદુલ્લા અને મુશફિકુર રહમાન જેવા અનુભવી ખેલાડી છે તેમજ આતિફ હુસૈન અને યાસિર અલી જેવા યુવાન બૅટ્સમૅન પણ છે.
બંને જ ટીમો વચ્ચે પ્રથમ વનડે મૅચ મીરપુરથી શેરે બાંગ્લા સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જ્યાં સુધી પિચનો સવાલ છે, તે ધીમી રહેવાની આશા છે અને પ્રથમ ઇનિંગમાં ત્યાં સામાન્યપણે મોટો સ્કોર બને છે.
ભારતીય પ્રશંસકોને પણ એક મોટી જીતનો ઇંતેજાર છે જે ત્યાં રમાયેલી પાછલી સિરીઝની હારનો બદલો લઈ શકશે.