You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચન્દ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા
ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.
વિજયવાડામાં યોજવામાં આવેલા શપથગ્રહણ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પરિવહન મંત્રી નીતિન ગડકરી અને રક્ષામંત્રી રાજનાથસિંહ હાજર રહ્યા હતા.
નાયડુની સાથે જન સેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે પણ નાયબ મુખ્ય મંત્રીના શપથ લીધા હતા.
24 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા છે જેમાં ચન્દ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશ પણ સામેલ છે.
આંધ્રપ્રદેશમાં લોકસભાની ચૂંટણીની સાથેસાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજવામાં આવી હતી, જેમાં એનડીએ ગઠબંધનને 175 બેઠકોમાંથી 164 બેઠકો મળી છે.
ગાઝામાં યુદ્ધવિરામના પ્રસ્તાવ પર હમાસે આપ્યો પ્રતિભાવ
મેટ મર્ફી, બીબીસી ન્યૂઝ
હમાસે બીબીસીને જણાવ્યું છે કે તેણે અમેરિકા સમર્થિત ગાઝામાં યુદ્ધવિરામના પ્રસ્તાવ પર પોતાનો જવાબ આપ્યો છે.
હમાસે બીબીસીને જણાવ્યું છે કે તેઓ ઇઝરાયલની પ્રતિબદ્ધતા ઇચ્છે છે કે આ યુદ્ધવિરામ સ્થાયી હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક નિવેદનમાં હમાસ અને તેના સહયોગી પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદ (પીઆઈજે)એ એક સમજૂતી પર પહોંચવા માટે સકારાત્મકતા દેખાડી છે.
આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે પણ સમર્થન આપ્યું છે. તેમાં શરૂઆતમાં છ સપ્તાહ સુધી યુદ્ધવિરામ કરવાની વાત કરવામાં આવી છે અને બીજા તબક્કામાં એ યુદ્ધવિરામને સ્થાયી કરી દેવામાં આવશે.
આ ઉપરાંત તેમાં ગાઝામાં પુનઃનિર્માણનું કામ શરૂ કરવાની વાત કરવામાં આવી છે.
અમેરિકા સાથે મળીને કતાર અને ઇજિપ્ત હમાસ અને ઇઝરાયલની વચ્ચે મધ્યસ્થી કરી રહ્યા છે, તેમણે પણ જણાવ્યું છે કે હમાસે આ પ્રસ્તાવ પર પોતાનો જવાબ આપી દીધો છે.
મંગળવારે સાંજે પોતાના નિવેદનમાં હમાસે ગાઝામાં યુદ્ધને “સંપૂર્ણપણે રોકવાનું” આહ્વાન કર્યું છે.
હમાસ અને પીઆઈજેએ કહ્યું, “આ પ્રતિક્રિયા અમારા પેલેસ્ટાઇનના લોકોનાં હિતોને પ્રાથમિકતા આપે છે અને અમે ગાઝા પર ચાલી રહેલા હુમલાને સંપૂર્ણપણે રોકવાને પ્રાધાન્ય આપી રહ્યા છીએ.”
બન્ને જૂથોએ કહ્યું કે તેઓ “આ યુદ્ધને પૂરું કરનારી સમજૂતી પર પહોંચવા માટે હકારાત્મકરૂપે વાતચીત કરવા માટે તૈયાર છે.”
વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જૉન કિર્બીએ કહ્યું કે હમાસે જવાબ આપ્યો છે યુદ્ધવિરામની પ્રક્રિયા માટે “મદદરૂપ” છે અને અમેરિકાના અધિકારીઓ તેમના જવાબનું “મૂલ્યાંકન” કરી રહ્યા છે.
લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની નવા સેના પ્રમુખ તરીકે નિમણૂક
લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી દેશના ભૂમિદળના નવા પ્રમુખ બનશે. મંગળવારે ભારત સરકારે જણાવ્યું હતું કે તેઓ જનરલ મનોજ પાંડે પાસેથી પદભાર સંભાળશે.
લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર કામગીરીનો સારો અનુભવ છે. હાલ તેઓ આર્મીમાં વાઇસ ચીફ ઑફ આર્મી સ્ટાફના પદ પર કામ કરી રહ્યા છે. જનરલ મનોજ પાંડે 30 જૂને નિવૃત્ત થઈ રહ્યા છે.
સિનિયોરિટીના આધારે આ હોદ્દા માટે દ્વિવેદીની પસંદગી કરવામાં આવી છે.
સરકારે ગત મહિને જનરલ મનોજ પાંડેના કાર્યકાળને બે મહિના માટે વધારી દીધો હતો. તેઓ 31 મેના દિવસે નિવૃત્ત થવાના હતા અને છ દિવસ પહેલાં જ તેમનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો હતો. આમ થતું ભાગ્યે જ જોવા મળે છે.
રક્ષા મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું, “સરકારે હાલમાં વાઇસ ચીફ ઑફ આર્મી સ્ટાફના પદ પર કાર્યરત લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની 30 જૂનથી આગામી સેના પ્રમુખ તરીકે નિમણૂક કરી છે.”
જમ્મુના કઠુઆમાં ચરમપંથી હુમલા પછી હવે ડોડામાં ગોળીબાર
મંગળવારે જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના સૈદા સુખલ ગામમાં ચરમપંથીઓએ હુમલો કર્યો છે. આ ગામ પાકિસ્તાનની સીમા નજીક આવેલું છે.
જમ્મુ પોલીસે જણાવ્યા અનુસાર આ હુમલામાં એક સામાન્ય નાગરિક ઘાયલ થયો છે અને એક શંકાસ્પદ પાકિસ્તાની માર્યો ગયો છે.
આતંકવાદ વિરોધી અભિયાનના નિરીક્ષણ માટે કઠુઆ પહોંચેલા જમ્મુ ક્ષેત્રના અધિક પોલીસ મહાનિદેશક આનંદ જૈને મીડિયાને જણાવ્યું, “રાત્રે લગભગ 8 વાગ્યે સૈદા સુખલ ગામમાં બે આતંકવાદી જે (સરહદની બીજી બાજુથી) ઘૂસી આવ્યા હતા, તેમણે ઘણાં ઘરોમાંથી પાણી માગ્યું હતું. એટલે સંદેહ થવાને કારણે લોકોએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા, લોકો ડરી ગયા હતા. માહિતી મળતાં જ પોલીસ અધિકારી અને સ્ટેશન હાઉસ અધિકારીના નેતૃત્વમાં પોલીસની એક ટીમ ગામમાં પહોંચી હતી.”
તેમણે વધુમાં જણાવ્યું, “એક આતંકવાદીએ ગ્રૅનેડ ફેંકવાની કોશિશ કરી ત્યારે તે ગોળીબારમાં માર્યો ગયો, જ્યારે બીજો આતંકવાદી ગામમાં છુપાઈ ગયો હોવાનું કહેવાઈ રહ્યું છે.”
એક અલગ ઘટનામાં જમ્મુના ડોડામાં સુરક્ષાદળો અને ચરમપંથીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે.
સમાચાર સંસ્થા પીટીઆઈએ જણાવ્યા અનુસાર, એડીજી આનંદ જૈને જણાવ્યું હતું કે ચરમપંથીઓએ ડોડાના ચટેરગલા વિસ્તારમાં ચાર રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસની સંયુક્ત ચોકી પર ગોળીબાર કર્યો હતો.
આ ઘટનામાં હજી સુધી કોઈના માર્યા જવાના સમાચાર નથી.
કઠુઆ હુમલામાં જે વ્યક્તિ ઘાયલ થઈ છે, તેમની ઓળખ ઓમકારનાથ ઉર્ફે ‘બિટ્ટુ’ તરીકે થઈ છે. ચરમપંથીઓની ફાયરિંગમાં તેમના એક હાથમાં ગંભીર ઈજા થઈ છે અને તે હાલ હૉસ્પિટલમાં છે.