You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં સાળંગપુર ખાતે ભાજપની કારોબારી બેઠકનું આયોજન - ન્યૂઝ અપડેટ
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બે દિવસીય બેઠક બોટાદના સાળંગપુરમાં ચાલી રહી છે. ભાજપના 1,300થી વધારે કાર્યકર્તાઓ આ કારોબારી બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.
આ બેઠક સાળંગપુર ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં યોજાઈ રહી છે.
ગુજરાત ભાજપે જાહેર કરેલી એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે કારોબારી બેઠક ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાશે.
પ્રેસનોટ અનુસાર , આ કારોબારી બેઠકમાં કેન્દ્રીય નેતૃત્વ પણ હાજર રહેશે. આ ઉપરાંત દેશમાં સતત ત્રીજી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનતાં અભિનંદન-પ્રસ્તાવ પણ પ્રસાર કરવામા આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે ભાજપે ગુજરાતની 26 બેઠકો પૈકી 25 બેઠકો પર જીત મેળવી હતી. કૉંગ્રેસનાં ગેનીબહેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પરથી જીત મેળવીને ગુજરાતમાં ભાજપનનું ત્રીજી વખત 26માંથી 26 બેઠકો જીતવાનું લક્ષ્ય પાર નહોતું પાડવા દીધું.
નોંધનીય છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીથી સંસદ સભ્ય સી.આર.પાટીલને કેન્દ્રની કૅબિનેટમાં જળશક્તિ મંત્રાલયની જવાબદારી સોંપવામા આવી છે.
રાહુલ ગાંધીએ હાથરસના પીડિતોના પરિવાર સાથે મુલાકાત કરી
રાહુલ ગાંધીએ શુક્રવારે હાથરસમાં ઘટેલી નાસભાગની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારની મુલાકાત લીધી હતી અને તેમના માટે વધારે વળતરની માંગણી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીડિત પરિવારોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ પત્રકારોને કહ્યું, “આ દુર્ઘટનામાં ઘણા પરિવારોને નુકસાન થયું છે. ઘણા લોકોનું મૃત્યુ થયું છે. જોકે, હું દુર્ઘટનાને રાજકીય રીતે નથી જોઈ રહ્યો. વહીવટી તંત્રમાં ખામીઓ તો છે. ભુલો થઈ છે. તેના વિશે માહિતી મળવી જોઇએ.”
તેમણે કહ્યું, “સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે પીડિતોને યોગ્ય વળતર મળવું જોઇએ. આ પરિવારો ગરીબ છે અને સમય મુશ્કેલ છે. વળતર વધારે મળવું જોઇએ.”
રાહુલે કહ્યું, “હું ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીને કહેવા માંગુ છું કે પીડિતોને વળતર વધારે મળવું જોઇએ. આ સમયે (તેમને) વળતરની જરૂર છે અને તેમાં મોડું ન થવું જોઇએ. (વળતર) છ મહિના કે એક વર્ષ પછી મળે તો કોઈ ફાયદો નથી.”
આસામમાં પૂરને કારણે છ લોકોનાં મૃત્યુ, 21 લાખથી વધારે અસરગ્રસ્ત
આસામમાં પૂરની પરિસ્થિતિ વધારે ગંભીર થઈ રહી છે. પૂરને કારણે ગત રાતથી અત્યાર સુધી લગભગ છ લોકોનાં મૃત્યુ થયાં છે અને 29 જિલ્લામાં 21 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે.
રાજ્યની મુખ્ય નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. સૌથી વધારે અસર નાલબાડી જિલ્લામાં થઈ છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટીએ (એએસડીએમએ) કહ્યું છે કે પૂરને કારણે ગુરુવાર રાતથી જે છ લોકોનાં મૃત્યુ થયાં તેમાં ચાર લોકો ગોલઘાટ જિલ્લાના હતા. અન્ય બેનાં મૃત્યું દિબ્રુગઢ અને ચિરાયદેવ વિસ્તારમાં થયાં.
આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં રાહતકાર્યો શરૂ કરી દેવાયાં છે. ઘણી જગ્યાએ અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને પૂરમાં ફસાયેલા લોકોને રાહત શિબિરોમાં લઈ જવામાં આવી રહ્યા છે.
આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ ગૌહાટીના માલીગાંવ, પાંડુ બંદરગાહ, મંદિરઘાટ અને માજુલીમાં પુરથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ પૂરથી અસરગ્રસ્ત મોરીગાંવ જિલ્લાનું નિરીક્ષણ કર્યુ છે અને ભૂરાગાંવના અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી છે.
રાજ્યપાલે વર્તમાન પરિસ્થિતીની સમિક્ષા કરી હતી અને જિલ્લા વહીવટી તંત્રને રાહતકાર્ય માટે જરૂર વ્યવસ્થા કરવાનો નિર્દેષ આપ્યો હતો.