You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દર્શન સોલંકી કેસ : મુંબઈ પોલીસે અરમાન ખત્રી નામના વિદ્યાર્થીની કરી ધરપકડ, બંને વચ્ચે શું કનેક્શન હતું?
આઈઆઈટી બૉમ્બેના ગુજરાતી વિદ્યાર્થી દર્શન સોલંકીની આત્મહત્યાના મામલે તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે દર્શન સાથે જ ભણતા વિદ્યાર્થી અરમાન ઇકબાલ ખત્રીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે દર્શને આત્મહત્યા કરી તેના થોડાક દિવસો પહેલાં બંને વચ્ચે અણબનાવ થયો હતો.
પોલીસ મુજબ અરમાન દર્શનને હેરાન કરતો હતો અને દર્શનના રૂમમાંથી મળી આવેલી અંતિમ ચિઠ્ઠીમાં પણ અરમાનનું નામ મળી આવ્યું હતું.
હાલ પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.
અરમાન અને દર્શન એક જ ક્લાસમાં ભણતા હતા. અરમાન રૂમ નંબર 806માં રહેતો હતો. જ્યારે દર્શન 802 નંબરના રૂમમાં રહેતો હતો.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસી મરાઠીને જણાવ્યું, "આજે સવારે અમે અરમાન ખત્રીની ધરપકડ કરી છે. એ દર્શન સોલંકીનો સહપાઠી છે. અમને માહિતી મળી હતી કે આત્મહત્યાના થોડાક દિવસો પહેલાં બંને વચ્ચે કંઇક અણબનાવ થયો હતો. અમે તેનું નિવેદન લઈ રહ્યા છીએ."
દર્શન સોલંકી કેસ : IITમાં આત્મહત્યા કરનાર વિદ્યાર્થીએ નોટમાં શું લખ્યું હતું?
12 ફેબ્રુઆરી, 2023એ આ વાત સામે આવી હતી કે આઈઆઈટી બૉમ્બેના કેમિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી દર્શન સોલંકીનું મૃત્યુ થયું છે. એવા પણ સમાચાર મળ્યા હતા કે દર્શન સોલંકીએ આત્મહત્યા કરી છે, ત્યારે હવે દર્શને લખેલી સુસાઇડ નોટ પણ પોલીસને મળી આવી છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસી મરાઠીને જણાવ્યા અનુસાર આઈઆઈટી-બૉમ્બેના પ્રથમ વર્ષના વિદ્યાર્થી દર્શન સોલંકીના મૃત્યુની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને તેના રૂમમાંથી એક કથિત "સુસાઈડ નોટ" મળી આવી હતી, તેમની માતાએ પણ કહ્યું છે કે આ દર્શને લખી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સુસાઇડ નોટમાં કેટલાક વિદ્યાર્થીની માહિતી પણ આપવામાં આવી છે. અમે આ અંગે ફરી વિદ્યાર્થી સાથે પૂછપરછ કરવા જઈ રહ્યા છીએ.
દર્શન સોલંકીની સુસાઇડ નોટમાં શું લખ્યું છે?
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આઈઆઈટી-બૉમ્બેના પ્રથમ વર્ષના વિદ્યાર્થી દર્શન સોલંકીના મૃત્યુની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને તેના રૂમમાંથી એક કથિત "સુસાઈડ નોટ" મળી આવી છે, જેમાં બૅન્ચમેટનું નામ હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે, “3 માર્ચે સોલંકીના રૂમની 10 કલાકની "વિગતવાર તપાસ" બાદ ટેબલ નીચેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી.”
તેઓએ જણાવ્યું હતું કે, "ટેબલ પર કેટલાક પુસ્તકો અને સોલ્વ કરેલા પ્રશ્નપત્રો પડ્યાં હતાં. ત્યાં ટેબલની નીચે અમને એક પાનું મળ્યું હતું, જેના પર બૅન્ચમેટનું નામ લખીને લખ્યું હતું કે,....મને મારી નાખ્યો.”
ત્યારબાદ તપાસ ટીમે આઈઆઈટી વહીવટીતંત્રનો સંપર્ક કર્યો હતો અને સોલંકીની ઉત્તરવહીઓ માંગી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, "અમને લખાણમાં કેટલીક સામ્યતાઓ મળી હોવાથી અમે તેના માતા-પિતાને જાણ કરી અને તેઓને અમદાવાદમાં તેમના ઘરેથી તેની જૂની નોટબુક લઈને આવવા કહ્યું હતું.”
સુસાઇડ નોટ અને સોલંકીના લખાણના નમૂના નિષ્ણાતોને મોકલાયા
16 માર્ચે સોલંકીના માતા-પિતા પોલીસને મળ્યા અને કથિત સુસાઈડ નોટ પર તેના લખાણની પુષ્ટિ કરી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે સુસાઈડ નોટ અને સોલંકીના લખાણના નમૂના નિષ્ણાતોને મોકલી આપ્યા છે અને તેમના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.”
પોલીસે જણાવ્યું હતું કે, “તેમને સોલંકી અને બેચમેટ વચ્ચેની વોટ્સઍપ ચૅટ પણ મળી આવી છે. અમે તેનો મોબાઈલ ફોન ફૉરેન્સિક તપાસ માટે મોકલી દીધો છે. અમને જાણવા મળ્યું છે કે, ઘટનાના લગભગ એક અઠવાડિયા પહેલાં બંને વચ્ચે ઝઘડો થયો હતોઅને તે ઝઘડો મૃત્યુ સાથે જોડાયેલો છે કે કેમ તે તપાસી રહ્યા છીએ."
તપાસ ટીમના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “શરૂઆતમાં અમને લાગ્યું હતું કે સોલંકીએ સેમેસ્ટરની પરીક્ષા ખરાબ જવાના કારણે સુસાઈડ કર્યું હતું. જો કે, અમને શંકા છે કે તેણે સુસાઈડ કર્યાની થોડી મિનિટો પહેલા જે નોટ લખી હતી, તે સૂચવે છે કે તેને હેરાન કરવામાં આવ્યો હતો.”
પોલીસે જણાવ્યું હતું કે, તેઓએ સોલંકીના માતા-પિતાને ફરિયાદ નોંધાવવા કહ્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “હવે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે.”
જ્યારે સોલંકીની બહેન જાનવીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેઓએ કહ્યું કે, "તેણે ક્યારેય SIT દ્વારા કહેવામાં આવેલા નામનો ઉલ્લેખ કર્યો નથી, તેથી હું તે વિશે કંઈ કહી શકું નહીં."
‘કેસની તપાસ રાજ્ય કે કેન્દ્રીય એજન્સી કરે’
અગાઉ તેમના પરિવારે આરોપ લગાવ્યો હતો કે, સોલંકી સાથે કેમ્પસમાં જાતિ આધારિત ભેદભાવ કરવામાં આવ્યો હતો, પરંતુ 2 માર્ચના રોજ સબમિટ કરાયેલા વચગાળાના અહેવાલમાં આઈઆઈટી-બૉમ્બે દ્વારા સ્થપાયેલી 12-સભ્યોની સમિતિએ તેમના "કથળતા શૈક્ષણિક પર્ફોર્મન્સ"ને સંભવિત કારણ ગણાવ્યું હતું.
સોલંકીએ કથિત રીતે તેની સેમેસ્ટર પરીક્ષાઓ પૂરી થયાના એક દિવસ બાદ આઈઆઈટી પરિસરમાં તેની હૉસ્ટેલ બ્લૉકના સાતમા માળેથી કૂદકો માર્યો હતો. પેનલે કહ્યું હતું કે, "સીધા જાતિ આધારિત ભેદભાવના કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી.”
અહેવાલને નકારી કાઢતા, સોલંકીના પિતાએ ગયા અઠવાડિયે આઈઆઈટી-બૉમ્બેના ડિરેક્ટરને પત્ર લખીને વિનંતી કરી હતી કે કેસની તપાસ રાજ્ય અથવા કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવે.
આઈઆઈટી બૉમ્બેનું નિવેદન
14 ફેબ્રુઆરીએ આઈઆઈટી બૉમ્બે વહીવટી તંત્રએ એક નિવેદન પ્રસિદ્ધ કર્યું હતું, જેમાં કહેવાયું છે કે, “મીડિયા રિપોર્ટ્સનું એમ કહેવું છે કે જાતિના ભેદભાવના લીધે વિદ્યાર્થીનું મૃત્યુ થયું, તે ખોટું છે. જ્યારે ઘટનાની તપાસ ચાલી રહી છે ત્યારે આ પત્રકારની ટિપ્પણી કરવી તે ખોટું છે. વિદ્યાર્થીએ ભેદભાવ સહન કર્યો છે તેવા કોઈ સંકેત હજુ સુધી નથી મળ્યા.”
ત્યારબાદ, 18 ફેબ્રુઆરીએ આઈઆઈટીના ડાયરેક્ટર્સ તરફથી એક આંતરિક ઈ-મેલ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું હતું કે પવઈ પોલીસ આ આત્મહત્યાની તપાસ કરી રહી છે અને એની સાથે જ આઈઆઈટી બૉમ્બેએ પણ આ ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરી છે. પ્રોફેસર નંદકિશોર આ કમિટીની અધ્યક્ષતા કરી હતી.
બીબીસીને અપાયેલા લેખિત જવાબમાં આઈઆઈટી બૉમ્બેએ કહ્યું હતું કે, “વહીવટી તંત્ર કૅમ્પસમાં કોઈ પણ પ્રકારના ભેદભાવનું સખત વિરોધી છે. સુધારણાની ખૂબ શક્યતા છે જેથી આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટના ફરી ન બને. અમે વિદ્યાર્થીઓને એમ સમજાવીએ છીએ કે તેઓ જેઈઈ પરીક્ષાની રૅન્ક સાથે સંકળાયેલા સવાલ ન પૂછે.”
“પહેલા વર્ષે વિદ્યાર્થીઓને ટીચિંગ આસિસ્ટન્ટ આપીએ છીએ, જે કૅમ્પસની સિસ્ટમને ખૂબ સારી રીતે સમજે છે અને નવા વિદ્યાર્થીઓને મદદ કરે છે. વિદ્યાર્થીઓને અકૅડમિક મેન્ટર આપવામાં આવે છે, જો વિદ્યાર્થીઓને અકૅડમિક સપોર્ટ આપવાનું કાર્ય કરે છે. પહેલા વર્ષે વિદ્યાર્થીઓને અંગ્રેજીનો વર્ગ અપાય છે. વિદ્યાર્થીઓ માટે 24 કલાક કાઉન્સેલિંગની સુવિધા છે.”
વહીવટી તંત્રએ જણાવ્યું છે કે, “આ ઘટનાની તપાસ માટે આઈઆઈટી વહીવટી તંત્રએ એક સમિતિ બનાવી છે જે આ પ્રકારની બાબતોની જાણકાર છે.” પરંતુ, આ સમિતિ ક્યાં સુધીમાં પોતાનો રિપોર્ટ આપશે? એ સવાલ અંગે આઈઆઈટીએ અમને કશો જવાબ ન આપ્યો.
આઈઆઈટી બૉમ્બેમાં એક પીએચડીના વિદ્યાર્થીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે, “જ્યારે વિદ્યાર્થી અહીં આવે છે ત્યારે અહીં કોઈ પણ પ્રકારની સપોર્ટ સિસ્ટમ એમને મળતી નથી. બધી શરૂઆત કોઈ વિદ્યાર્થીના જેઈઈ પરીક્ષાના રૅન્કિંગ જાણવાથી થાય છે. પછી જ્યારે રૅન્કિંગની ખબર પડે છે ત્યારે એને એવી અનુભૂતિ કરાવાય છે કે તે અહીં આવવાને લાયક નહોતો પરંતુ એને રિઝર્વેશનના કારણે અહીંયા એમની વચ્ચે બેસવાની તક મળી છે.”
“એમની પાસે મેરિટ નથી, તેઓ કૉમ્પિટિટિવ નથી. નાની ઉંમરે બાળકો જ્યારે ઘરથી બહાર જાય છે ત્યારે એમને લાગે છે કે મારામાં શી કમી છે, આ લોકો મને પોતાના ગ્રૂપનો ભાગ કેમ નથી બનાવતા. ધીરે ધીરે એમની ઓળખ જ એમનો ડર બની જાય છે.”
“ડર પોતાની ઓળખ જાહેર કરવાનો, કેમ કે એનાં ઘણાં પરિણામ ભોગવવાં પડે છે. જ્યારે હું પરિણામની વાત કરું છું, ત્યારે માકો કહેવાનો મતલબ છે કે આઈઆઈટીમાં 96 ટકા ફૅકલ્ટી સર્વણ છે, સર્વણ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે અને તે સંસ્થાનો વ્યવહાર નક્કી કરે છે.”