You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બહરાઇચ: હિંસામાં એક યુવકના મોત બાદ સાંપ્રદાયિક તણાવ, ઠેર ઠેર આગજની
ઉત્તર પ્રદેશના બહરાઇચમાં રવિવારના રોજ દુર્ગા પ્રતિમાના વિસર્જન દરમિયાન થયેલી હિંસામાં એક યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી પછી ત્યાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે.
સોમવારે સવારે હિંસા ભડકી ઊઠી હતી જેને કારણે ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. અહીં મોટા પ્રમાણમાં સુરક્ષાદળોને તહેનાત કરી દેવામાં આવ્યાં છે.
ઉત્તર પ્રદેશના એડીજી અમિતાભ યશ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસ પરિસ્થિતિને નિયંત્રણમાં કરવાની કોશિશ કરી રહી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે રવિવારે ગોપાલ મિશ્ર નામના એક યુવકનું હિંસા દરમિયાન ગોળીબારમાં મૃત્યુ થયું હતું. સોમવારે ગોપાલ મિશ્રાની હત્યાના વિરોધમાં પ્રદર્શનો થયાં અને તેમાં લોકો ઉમટી પડ્યા.
ઉશ્કેરાયેલા લોકોએ ઘણી દુકાનો, ઘરો અને વાહનોને આગ લગાડી દીધી. ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો છે અને અશ્રુવાયુના શૅલ્સ છોડ્યા છે.
ઉત્તર પ્રદેશની સરકારે કહ્યું છે કે આ હિંસામાં સામેલ લોકો સાથે કડકાઈથી કામ લેવાશે.
બહરાઇચ પોલીસે કેસ દાખલ કરીને બે ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી છે.
ત્યાં વિપક્ષે ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સરકાર પર સવાલો ઉઠાવ્યા છે.
મુખ્ય વિપક્ષ સમાજવાદી પાર્ટીએ કહ્યું છે કે રમખાણો અને તણાવ જ ભાજપની સત્તાનું મૉડલ છે. જે યોગી સરકાર યુપીમાં અજમાવી રહી છે.
કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પ્રશાસન પર નિષ્ક્રિયતા દાખવી હોવાનો આરોપ લગાવી ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે.
આ વચ્ચે, માર્યા ગયેલા યુવક ગોપાલ મિશ્રાના પરિવારે સોમવારે સવારે મૃકત યુવકનો અંતિમસંસ્કાર કરવાની ના પાડી. પરિવારે હત્યામાં સામેલ લોકો પર કડકાઈથી કાર્યવાહી કરવાની માગ કરી.
ભાજપના ધારાસભ્ય સુરેશ્વરસિંહે મૃતકના પરિવારજનોને આશ્વાસન આપ્યું ત્યારબાદ પરિવાર તેનો અંતિમસંસ્કાર કરવા તૈયાર થયો.
બે જૂથો વચ્ચે અથડામણ
રવિવારે બહરાઇચે મહસી વિસ્તારમાં દુર્ગાપૂજા દરમિયાન મૂર્તિના વિસર્જન દરમિયાન બે જૂથો આમને-સામને આવી ગયાં.
રિપોર્ટો અનુસાર વિસર્જનયાત્રામાં સામેલ ભીડ ધાર્મિકસ્થળની પાસે ડીજે વગાડી રહી હતી. ત્યાં જ વિવાદ શરૂ થયો અને હિંસા તથા આગજની થઈ. આ હિંસામાં ગોપાલ મિશ્રનું મૃત્યુ થયું.
સોમવારે સવારે ગોપાલ મિશ્રાના અંતિમસંસ્કારમાં સામેલ ભીડ બેકાબૂ થઈ અને ઘણી જગ્યાએ દુકાનો અને મકાનોને આગ લગાડી.
ઘણાં વાહનોને પણ નિશાન બનાવવામાં આવ્યાં. એક હૉસ્પિટલમાં પણ આગ લગાવી દીધી.
મોટરસાઇકલના એક શૉરૂમમાં પણ આગ લગાડી દીધી.
સોશિયલ મીડિયા પર શૅર કરાયેલા વીડિયોમાં ભીડને હાથમાં દંડા લઈને રસ્તા પર ફરતી દેખી શકાય છે. વીડિયોમાં ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસ નાકામ નજરે પડે છે.
આગજની તથા હિંસાને રોકવા માટે પોલીસે ભીડ પર લાઠીચાર્જ કર્યો અને અશ્રુવાયુના શૅલ્સ પણ છોડ્યા.
સાંપ્રદાયિક તણાવને કારણે મહારાજગંજ અને મહસીમાં સ્કૂલ પણ બંધ રાખવામાં આવી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન