ઇલેક્શન અપડેટ: બિહારમાં પપ્પુ યાદવ શું લાલુપ્રસાદ યાદવ સાથે જોડાશે?

પ્રકાશિત

બિહારમાં એનડીએ ગઠબંધને કયો પક્ષ કેટલી બેઠકો પર લડશે તેની જાહેરાત કરી દીધી છે. હવે, સામે પક્ષે વિપક્ષી મહાગઠબંધન પણ ગમે તે ક્ષણે તેની જાહેરાત કરી શકે છે.

બીબીસી સંવાદદાતા ચંદનકુમાર જજવાડેએ આપેલી માહિતી અનુસાર, જન અધિકાર પાર્ટીના નેતા પપ્પુ યાદવે રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુપ્રસાદ અને તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી છે.

લાંબા સમયથી પપ્પુ યાદવ બિહારના સીમાંચલમાં મહાગઠબંધન સાથે જોડાણની કોશિશ કરી રહ્યા છે. બિહારના રાજકારણમાં એવી પણ ચર્ચા છે કે તેઓ પોતાના પક્ષનો કૉંગ્રેસમાં વિલય કરી શકે છે.

હાલમાં, પપ્પુ યાદવના પત્ની રંજીત રંજન રાજ્યસભાના સાંસદ છે. તેઓ પહેલા સીમાંચલની સુપૌલ બેઠકથી પણ સાંસદ રહી ચૂક્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ અને ડાબેરી પક્ષો પણ મહાગઠબંધનમાં વધુ બેઠકની માંગણી કરી રહ્યા છે.

ગઈકાલે જ એનડીએ ગઠબંધનમાંથી પશુપતિકુમાર પારસે અલગ પડીને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું.

લોકસભા ચૂંટણીની વિધિવત શરૂઆત, પહેલા તબક્કાના મતદાન માટે નોટિફિકેશન જાહેર

ચૂંટણીપંચે લોકસભા ચૂંટણીની શરૂઆત કરતા પહેલા તબક્કાના મતદાન માટે નોમિનેશનની તારીખો અને મતદાનના સમયને લઇને જાણકારી બહાર પાડી છે.

પહેલા તબક્કામાં કુલ 102 ક્ષેત્રોમાં મતદાન થવાનું છે જેના માટે નોમિનેશનની તારીખો અને અલગ-અલગ મતદારક્ષેત્રોમાં મતદાનના સમયની જાહેરાત કરતું ગેઝેટ નોટિફિકેશન જાહેર થયું છે.

બિહાર માટે નોમિનેશનની છેલ્લી તારીખ 28 માર્ચ છે. 2 એપ્રિલ સુધી નામાંકન પરત ખેંચી શકાશે.

જ્યારે અરુણાચલ પ્રદેશ, આસામ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, તામિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં નોમિનેશન માટેની છેલ્લી તારીખ 27 માર્ચ 2024 છે. 30 માર્ચ સુધી નામાંકન ફોર્મ પરત ખેંચી શકાશે.

પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. તમામ બેઠકો માટે 19 એપ્રિલે મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે.

મણિપુર, મેઘાલય અને નાગાલૅન્ડ જેવા રાજ્યોમાં મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી ચાર વાગ્યાનો રહેશે. જ્યારે બાકીના મોટાભાગના રાજ્યોમાં સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે.

પરશોત્તમ રૂપાલાએ કેમ કહ્યું, ‘કૉંગ્રેસે કરેલા પાપની સજા આપવા મતદાન કરજો’?

કેન્દ્રીય મંત્રી અને ભાજપ તરફથી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાનો ચૂંટણીપ્રચાર આરંભી દીધો છે.

રાજકોટના વીંછીયા તાલુકાના પીપરડી ગામે ચૂંટણીસભાને સંબોધતા રૂપાલાએ કહ્યું હતું કે કૉંગ્રેસની સરકારે દસ વર્ષ સુધી નર્મદા ડેમ પર ફ્લડગેટ્સ બેસાડવાની મંજૂરી આપી ન હતી જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ નર્મદાના પાણીથી વંચિત રહ્યા હતા.

તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસે આ મોટું પાપ કર્યું હતું અને તમારે તેની વિરુદ્ધમાં મતદાન કરીને સજા આપવાની છે.

રૂપાલાએ કહ્યું હતું કે આ બંધનુ ભૂમિપૂજન તો 1960માં જવાહરલાલ નેહરુએ કર્યું હતું પરંતુ તેનું બાંધકામ નરેન્દ્ર મોદી 2014માં વડા પ્રધાન બન્યા તે પછી જ પૂર્ણ થયું હતું.

રાજકોટ લોકસભામાં વર્ષ 1989થી સતત ભાજપના સાંસદ ચૂંટાયા છે પરંતુ વચ્ચે એકવાર 2009માં આ બેઠક કૉંગ્રેસને ફાળે ગઈ હતી. ત્યારબાદ છેલ્લી બે ટર્મથી ભાજપના મોહન કુંડારિયા સાંસદ તરીકે ચૂંટાયા હતા.

આ ચૂંટણીમાં ભાજપે તેના રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાને ઉતાર્યા હતા છે જ્યારે કૉંગ્રેસે હજુ સુધી તેમના ઉમેદવાર જાહેર કર્યા નથી.

મહારાષ્ટ્ર: રાજ ઠાકરે પણ એનડીએમાં જોડાશે?

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ દિલ્હીમાં 19મી માર્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

રાજ ઠાકરેની સાથે તેમના પુત્ર અમિત ઠાકરે પણ હાજર હતા.

તેમની દિલ્હી મુલાકાતના કારણે રાજકીય ચર્ચાઓ તેજ બની છે.

16 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ ઠાકરેની દિલ્હી મુલાકાતને એક સંકેત માનવામાં આવી રહી છે. જોકે, રાજ ઠાકરેએ અત્યાર સુધી આ બેઠક અંગે કંઈ કહ્યું નથી.

બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા બાલા નંદગાંવકરે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે, "તેમણે કહ્યું છે કે સકારાત્મક ચર્ચા થઈ છે અને આગામી બે-ત્રણ દિવસમાં નિર્ણય લેવામાં આવશે. કેટલી બેઠકોની માંગણી કરવામાં આવી છે તે અંગે હું કહી શકું તેમ નથી પરંતુ તમામ માંગણીઓ અંગે સકારાત્મક વાતચીત થઈ છે.”

રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના 2009માં મહારાષ્ટ્ર વિધાનસભામાં 13 ધારાસભ્યો હતા. હાલમાં, તેમનો માત્ર એક જ ધારાસભ્ય છે.