You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ન્યૂઝીલૅન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં હાર બાદ ભારતીય ખેલાડીઓની સોશિયલ મીડિયા પર કેમ થઈ રહી છે ટીકા?
ભારતીય ટીમને મુંબઈમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમૅચમાં પણ ન્યૂઝીલૅન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ન્યૂઝીલૅન્ડે ક્લીન સ્વીપ કરીને ટેસ્ટ શ્રેણી પર કબજો કરી લીધો છે.
ત્રીજી ટેસ્ટમૅચના ત્રીજા દિવસે ભારતને જીતવા માટે માત્ર 148 રનનો ટાર્ગેટ હતો. પરંતુ ભારતીય બૅટ્સમૅનો તેને પાર પાડવામાં પણ નિષ્ફળ રહ્યા હતા.
ભારતીય ટીમ માત્ર 121 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને ન્યુઝીલૅન્ડે ત્રીજી ટેસ્ટમૅચ 25 રને જીતી લીધી હતી.
ભારતે ઘરઆંગણે પ્રથમ વખત ત્રણ ટેસ્ટમૅચની શ્રેણીમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે.
ભારત અને ન્યુઝીલૅન્ડ વચ્ચે રમાયેલી આ ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય બૅટ્સમૅનોનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે. ટીમ ઇન્ડિયાના બૅટ્સમૅનો શરૂઆતથી જ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા, માત્ર ઋષભ પંતે અડધી સદી ફટકારીને સૌથી વધુ 64 રન બનાવ્યા હતા.
જો ત્રણ ટેસ્ટમૅચની આ શ્રેણીમાં ભારતીય મિડલ ઑર્ડરના પ્રદર્શનની વાત કરીએ તો પ્રથમ ટેસ્ટમૅચની પ્રથમ ઇનિંગમાં ભારતના પાંચ બૅટ્સમૅન શૂન્યના સ્કોર પર આઉટ થઈ ગયા હતા અને આખી ભારતીય ટીમ માત્ર 46 રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી.
સોશિયલ મીડિયા પર સવાલો
પ્રથમ ટેસ્ટમૅચની બીજી ઇનિંગને બાદ કરતાં ભારતીય બૅટ્સમૅનોનું પ્રદર્શન સામાન્ય રહ્યું છે. આ સિરીઝે ભારતીય મિડલ ઑર્ડરની બેટિંગની ખામીઓને ઉજાગર કરી છે. ચાલો ત્રણ ટેસ્ટ મૅચની ઇનિંગમાં ભારતીય બૅટ્સમૅનોના પ્રદર્શન પર એક નજર કરીએ .
રોહિત શર્મા - 2, 52, 0, 8, 18, 11
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિરાટ કોહલી- 0, 70, 1, 17, 4, 1
યશસ્વી જયસ્વાલ- 13, 35, 30, 77, 30, 5
સરફરાઝ ખાન- 0, 150, 11, 9, 0, 1
રિષભ પંત- 20, 99, 18, 0, 60, 64
શુભમન ગિલ - 30, 23, 90, 1
કેટલીક ઇનિંગ્સને બાદ કરતાં સમગ્ર શ્રેણી દરમિયાન કોઇપણ ભારતીય બૅટ્સમૅન સારું પ્રદર્શન કરી શક્યો નથી. જેના કારણે ભારતીય ખેલાડીઓની ટીકા થઈ રહી છે.
લોકો શું કહી રહ્યા છે?
ક્રિકેટ કૉમેન્ટેટર અને ઍક્સપર્ટ હર્ષા ભોગલેએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં વિરાટ કોહલી અને ભારતીય કૅપ્ટન રોહિત શર્માના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા છે.
હર્ષા ભોગલેએ લખ્યું છે, “હું રોહિત શર્માના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેઓ સંઘર્ષ કરી રહ્યા છે. તેમની વિકેટ લેવી ખૂબ સરળ હતી. ઘરઆંગણે 10 ઇનિંગ્સમાં તેના 133 રન નિરાશાજનક છે.”
વિરાટ કોહલી વિશે તેમણે કહ્યું છે કે, “વિરાટ કોહલીએ 10 ઇનિંગ્સમાં માત્ર 192 રન બનાવ્યા છે. આ ઘરઆંગણાની સિઝન તેમના માટે સારી રહી નથી.”
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે કહ્યું છે કે, "આ જીત માટે ન્યૂઝીલૅન્ડની ટીમની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે તે ઓછી છે. કદાચ આ ન્યૂઝીલૅન્ડ ક્રિકેટના ઇતિહાસની સૌથી મહાન ક્ષણોમાંથી એક છે. તેમણે મુશ્કેલ પીચ પર પણ ભારતીય ટીમને દરેક ક્ષેત્રમાં હરાવી છે અને જીત મેળવી છે. ન્યુઝીલૅન્ડ પ્રશંસા અને સન્માનને પાત્ર છે.”
વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ કહ્યું, “શું કોઈએ કલ્પના કરી હશે કે ન્યુઝીલૅન્ડ ભારત સામે 3 મૅચની શ્રેણીમાં 3-0થી જીતશે? આને ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટો અપસેટ ગણવો જોઈએ અને આપણી ટેસ્ટ ટીમ માટે આ ખરેખર નીચલું સ્તર છે.”
ક્રિકેટ નિષ્ણાત અને કૉમેન્ટેટર જતીન સપરુનું કહેવું છે કે, "આ પ્રદર્શનનો બચાવ કરવા માટે કંઈ નથી. સિનિયર ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું ન હતું અને તેમના પછી રમવા આવેલા ખેલાડીઓ લાલ બૉલ સામે અતિશય મૂંઝાયેલા દેખાતા હતા.”
એક સમયે એવું લાગતું હતું કે ઋષભ પંત પીચ પર ટકી રહીને મૅચ જીતાડી દેશે. પરંતુ મૅચના નિર્ણાયક સમયે એજાઝ પટેલના બૉલ પર તેઓ પણ આઉટ થયા હતા.
ફીલ્ડ અમ્પાયરે તેમને નોટઆઉટ આપ્યા હતા પરંતુ થર્ડ અમ્પાયરે તેમને આઉટ જાહેર કર્યા હતા. થર્ડ અમ્પાયરના આ નિર્ણયથી ઋષભ નાખુશ દેખાઈ રહ્યા હતા અને એબી ડી વિલિયર્સ જેવા દિગ્ગજ ખેલાડીઓએ પણ તેના પર સવાલો ઉઠાવ્યા છે.
ડી વિલિયર્સે તેમની એક ઍક્સ-પોસ્ટમાં લખ્યું છે, "શું પંતનું બેટ તેના સાથે અથડાયું હતું કે નહીં? સમસ્યા એ છે કે જ્યારે બૅટ્સમેન તેના પેડ્સ સાથે અથડાવે છે તે જ સમયે બૉલ બેટમાંથી પસાર થાય છે, ત્યારે સ્નિકો અવાજ પકડે છે. પરંતુ આપણને કેટલી ખાતરી હતી કે બેટ અથડાયું છે? હું હંમેશા આ અંગે ચિંતિત રહ્યો છું અને અહીં એક મોટી ટેસ્ટમૅચમાં નિર્ણાયક ક્ષણે આવું બન્યું છે.”
વિરાટ અને રોહિતનું ખરાબ પ્રદર્શન
ભૂતપૂર્વ ભારતીય કૉચ અને ક્રિકેટર અનિલ કુમ્બલેનું માનવું છે કે, “કોહલીને સ્થાનિક ક્રિકેટ રમવાથી ફાયદો થઈ શક્યો હોત.”
"કદાચ ઘરઆંગણાની મૅચમાં માત્ર એક કે બે ઇનિંગ્સથી મદદ મળી શકી હોત."
વિરાટ કોહલી અત્યારે ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહ્યા છે. બાંગ્લાદેશ હોય કે ન્યૂઝીલૅન્ડ, બંને ટીમો સામે તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તેમણે ન્યૂઝીલૅન્ડ સામેની છેલ્લી છ ઇનિંગ્સમાં માત્ર 93 રન બનાવ્યા છે. ન્યૂઝીલૅન્ડ સામેની સમગ્ર શ્રેણીમાં તેમનો મહત્તમ સ્કોર 77 રન રહ્યો છે.
વિરાટ કોહલીના બે વર્ષ બાદ 2013માં પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરનાર રોહિત શર્માએ 2022 સુધીમાં 45 ટેસ્ટ મૅચોમાં 46.13ની એવરેજથી 3137 રન બનાવ્યા હતા, જેમાં 8 સદીનો સમાવેશ થાય છે.
પરંતુ 2023થી તેમની કારકિર્દીની સરેરાશ ઘટવા લાગી. જાન્યુઆરી 2023થી, કૅપ્ટન રોહિત શર્માએ 18 ટેસ્ટમાં 35.61ની સરેરાશથી 1104 રન બનાવ્યા છે, જેમાં ચાર સદીનો સમાવેશ થાય છે.
એશિયામાં સ્પિન સામે રોહિત શર્માની સરેરાશ 36.2 છે.
ઓપનિંગ બૅટ્સમૅન અને કૅપ્ટન રોહિત, જ્યારે તેમની કારકિર્દીની ટોચ પર હતા, ત્યારે તેઓ ફ્રી-સ્કોરિંગ અને શાનદાર બૅટ્સમૅન તરીકે જાણીતા હતા. તેમણે ઑસ્ટ્રેલિયામાં 2018-19 અને 2020-21માં બે શ્રેણી જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ વર્ષની શરૂઆતમાં વેસ્ટઇન્ડિઝમાં વર્લ્ડકપ જીત્યા બાદ, વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટ છોડી દીધું હતું. અને હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ તેમનું ખરાબ પ્રદર્શન ઑસ્ટ્રેલિયામાં ટીમની મુશ્કેલીઓમાં વધારો કરશે એ નક્કી છે. કારણ કે તેમને ઑસ્ટ્રેલિયામાં પાંચ ટેસ્ટ મૅચની શ્રેણી રમવાની છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન