ઍર ઇન્ડિયા કનિષ્ક બૉમ્બવિસ્ફોટના આરોપી રિપુદમનસિંહની ગોળી મારીને હત્યા- પ્રેસ રિવ્યૂ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

વર્ષ 1985માં ઍર ઇન્ડિયા કનિષ્ક બૉમ્બ વિસ્ફોટ મામલે આરોપી રહેલા શીખ નેતા રિપુદમનસિંહ મલિકની કૅનેડામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

રિપુદમનસિંહનું નામ 1985માં બૉમ્બવિસ્ફોટ મામલે સામે આવ્યું હતું, આ બ્લાસ્ટમાં 329 લોકો માર્યા ગયા હતા.

કૅનેડાની પોલીસે તેમની હત્યાની પુષ્ટિ કરી છે. પોલીસ પ્રમાણે, કૅનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સુરે શહેરમાં તેમની હત્યા કરવામાં આવી છે.

23 જૂન 1985ના રોજ ઍર ઇન્ડિયાનું કનિષ્ક જહાજ દિલ્હીથી વૅનકૂવર જઈ રહ્યું હતું. આયર્લૅન્ડના પશ્ચિમી તટ ઉપરથી પસાર થતી વખતે તેમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં સવાર તમામ 329 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ બૉમ્બબ્લાસ્ટને કૉમર્શિયલ ફ્લાઇટ્સમાં બૉમ્બબ્લાસ્ટની સૌથી મોટી ઘટના માનવામાં આવે છે.

આ ઘટનામાં સૌથી વધુ મૃતકો એવા લોકો હતા જે પોતાના પરિવારજનોને મળવા ભારત આવ્યા હતા. 329 મૃતકોમાં 60થી વધુ બાળકો હતાં.

આ બ્લાસ્ટ માટે ભારતથી કૅનેડા જઈને સ્થાયી થયેલા રિપુદમનસિંહ મલિક અને અજાયબસિંહ બાગડીને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા.

પોલીસનું કહેવું હતું કે બંને આરોપીઓ શીખોના અલગતાવાદી આંદોલન સાથે જોડાયેલા હતા અને તેઓ 1984માં અમૃતસરના સુવર્ણ મંદિરમાં ભારતીય સેનાના પ્રવેશની ઘટનાનો બદલો લેવા માગે છે.

ગુજરાતમાં બે સપ્તાહમાં સિઝનનો 51 ટકા વરસાદ વરસ્યો

ગુજરાત રાજ્યમાં બે જિલ્લાને બાદ કરતાં અન્ય તમામ જિલ્લામાં સામાન્યથી વધુ વરસાદ છે અને હજી પણ વધારે સમય સુધી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાતમાં છેલ્લાં બે અઠવાડિયામાં સિઝનનો 51 ટકા વરસાદ વરસ્યો છે. 2015 બાદ આ વર્ષે રાજ્યમાં આટલો વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં આ વર્ષે સરેરાશ 85 ટકા વધુ વરસાદ પડ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં જ રાજ્યમાં 23 ટકા વધુ વરસાદ પડ્યો છે. 9 જુલાઈ સુધીમાં રાજ્યમાં 27.69 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે ગુરુવાર સુધીમાં 50.98 ટકા પહોંચ્યો છે.

હવામાન વિભાગના પ્રાદેશિક નિદેશક મનોરમા મોહંતીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે હાલમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં બે-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. જે સમગ્ર જુલાઈ મહિનામાં સારો રહેશે.

ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેના નિર્ધારિત સમય 13 જૂન કરતા બે દિવસ પહેલાં શરૂ થયું હોવા છતાં 30 જૂન સુધી રાજ્યમાં કુલ 7.5 ટકા વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં 1 જૂનથી 14 જુલાઈ સુધીમાં 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ગાંધીનગર અને દાહોદને બાદ કરતાં બાકીના તમામ જિલ્લામાં સામાન્યથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે 17 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં રેડ ઍલર્ટ જાહેર કર્યો છે.

ભારતમાં બે અબજ ડૉલરનું રોકાણ કરશે યુએઈ

સંયુક્ત આરબ અમીરાતે ગુરુવારે ચાર દેશો ભારત, ઇઝરાયલ, યુએઈ અને અમેરિકાના સમૂહ આઈટૂયૂટૂની બેઠક યોજાઈ હતી. જેમાં બંને દેશોના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં સમૂહના પ્રયત્નો અંતર્ગત દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વમાં ખાદ્યસંકટને પહોંચી વળવા ભારતમાં બે અબજ ડૉલરનું રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ રોકાણ અંતર્ગત સંયુક્ત આરબ અમિરાત ભારતમાં ઇન્ટિગ્રેટેડ ફૂડ પાર્ક ઊભું કરશે. આ યોજનામાં ટેકનિકલ વિશેષજ્ઞતા ઇઝરાયલ અને અમેરિકા પૂરી પાડશે. ભારત સરકાર આવા પાર્ક બનાવવા માટે જગ્યા ફાળવશે અને ખેડૂતોને યોજનામાં જોડશે.

આ બેઠક દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું, "આજે આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ તેમાં જળવાયુ સંકટ અને ખાદ્ય અસુરક્ષા પણ સામેલ છે. રશિયા-યુક્રેન યુદ્ધથી અસ્થિર બજારોની સ્થિતિ વધુ કથળી ગઈ છે."

જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "આજની પહેલી સમિટથી જ આઈટૂયુટૂએ એક સકારાત્મક એજન્ડા સ્થાપિત કરી દીધો છે. અમે ઘણા ક્ષેત્રોમાં સંયુક્ત પરિયોજનાઓની ઓળખ કરી છે અને એ માટે આગળ વધવાનો રોડમૅપ પણ બનાવ્યો છે."

આઈટૂયુટૂ ફ્રેમવર્ક અંતર્ગત જળ, ઊર્જા, પરિવહન, સ્વાસ્થ્ય, સ્પેસ અને ખાદ્ય સુરક્ષા માટે છ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સંયુક્ત રોકાણ વધારવા ચાર દેશો સહમત થયા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો