You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા-યુક્રેન સંઘર્ષ : યુક્રેનના કિએવના ટીવી ટાવર નજીક વિસ્ફોટ, અત્યાર સુધી શું-શું થયું?
યુક્રેનની ઇમર્જન્સી સેવાઓ અનુસાર રાજધાની કિએવના ટીવી ટાવર પર થયેલા રશિયાના હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે.
યુક્રેનના ગૃહ મંત્રાલય અનુસાર ટીવી ટાવર પર થયેલા વિસ્ફોટ રશિયાનો હુમલો હતો અને તેને કારણે અનેક ઉપકરણો ખરાબ થઈ ગયાં છે. મંત્રાલયનું કહેવું છે કે ટીવી ચૅનલ કેટલાક સમય સુધી નહીં પ્રસારિત થઈ શકે.
રશિયાના યુક્રેન પરના હુમલાનો આજે છઠ્ઠો દિવસ છે અને આજના દિવસે પણ તણાવભરી સ્થિતિ રહી છે.
યુક્રેનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે રશિયાએ યહૂદીઓના નરસંહારના સ્મારક પાસે સ્થિત ટીવી ટાવર પર હુમલો કરીને ક્રૂરતાપૂર્ણ કાર્યવાહી કરી છે.
યુક્રેનની રાજધાની કિએવના ટીવી ટાવર બેબિન યારના સ્મારક પાસે આવેલો છે. નાઝી જર્મની દરમિયાન યુરોપમાં યહૂદીઓના સૌથી મોટા નરસંહારોમાંથી એક બેબિન યારમાં થયો હતો.
આ સ્થળ પર નરસંહારમાં માર્યા ગયેલા લોકોની યાદમાં કેટલાંક સ્મારક તૈયાર કરાયાં હતાં. માર્યા ગયેલાં બાળકોની યાદમાં અહીં અલગ સ્મારક બનાવાયાં છે.
ટ્વિટર પર યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, "રશિયન સૈનિકોના સ્મારકસ્થળ બેબિન યારની પાસે ટીવી ટાવર પર હુમલો થયો છે."
કિએવના ટીવી ટાવર નજીક રશિયન હુમલો
યુક્રેનની રાજધાની કિએવના ટીવી ટાવર નજીક રશિયન સૈન્યે જબરજસ્ત હુમલો કર્યો છે. ટીવી ટાવર નજીક ધુમાડાના ગોટા ઊઠતાં જોવા મળ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીને આનાં ફૂટેજ મળ્યાં છે. બીબીસીએ આ ફૂટેજોની તપાસ કરી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ટાવર પર સીધો હુમલો કરાયો છે કે નહીં. અન્ય એક ફૂટેજમાં આ વિસ્તારમાં વિસ્ફોટ થતો જોવા મળે છે.
આ પહેલાં રશિયન સંરક્ષણ મંત્રાલયે કિએવના નાગરિકોને હુમલાની ચેતવણી આપી હતી.
એણે કહ્યું હતું કે તેઓ રાજધાનીનાં કેટલાંય ઠેકાણાં પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે.
યુરોપિયન સંસદના વિશે સત્રમાં તાળીઓ વચ્ચે ઝૅલેન્ક્સીએ કહ્યું- અમને કોઈ તોડી નહીં શકે
યુરોપિયન સંઘના વિશેષ સત્રને સંબોધિત કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્ક્સીએ કહ્યું કે તેમના દેશમાં જે થઈ રહ્યું છે તે એક ત્રાસદી છે. કોઈ પણ અમને તોડી નહીં શકે કારણ કે અમે યુક્રેનિયન છીએ.
તેમણે કહ્યું કે યુક્રેનના લોકો પોતાની જમીન માટે, પોતાની આઝાદી માટે અને પોતાના જીવન માટે લડી રહ્યા છે.
જ્યચારે તેઓ આ સત્રમાં જોડાયા તો સભ્યોએ ઊભા થઈને તેમના માટે તાળિયો વગાડી. ભાવુક ઝૅલેન્ક્સીએ કહ્યું કે રશિયા યુક્રેનનાં બાળકો નિશાન બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે ગઈકાલે 16 બાળકોનું મોત થયું.
તેમણે યુરોપિય સંસદને વિનંતી કરી કે તેઓ સાબિત કરે તેઓ યુક્રેન સાથે છે.
તેમણે કહ્યું- સાબિત કરો કે તમે યુક્રેનને પાછળ નહીં છોડો. સાબિત કરો કે તમે સાચા યુરોપિયન્સ છો. અમે યુરોપને એકજૂથ કર્યું છે પરંતું હું નથી જાણતો કે આપણે કઈ કિંમતે એકજૂથ થશું.
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈને ભારત પહોંચ્યાં બે વિમાન
યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને બે વિમાન મંગળવારે નવી દિલ્હી પહોંચી ગયાં. એક વિમાન હંગેરીથી આવ્યું છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને સાતમું વિમાન કાલે પહોંચશે.
દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર યુક્રેનમાંથી આવેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરતાં કેન્દ્રીય મંત્રી આર. કે. સિંહે કહ્યું "સરકાર યુક્રેનમાં ફસાયેલા દરેક ભારતીયને બહાર કાઢવા માટે પ્રતિબદ્ધ છે.આ કામ માટે ચાર મંત્રીઓને તહેનાત કરાયા છે. આ માટે મંત્રાલયો દ્વારા હેલ્પ ડૅસ્કની પણ વ્યવસ્થા કરાઈ છે. વિદ્યાર્થીઓને તમામ મદદ મળશે."
અન્ય એક વિમાનમાં દિલ્હી પહોંચેલાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના સ્વાગત માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઍરપૉર્ટ પહોંચ્યા.
તેમણે કહ્યું, "હજુ પણ આપણા કેટલાય લોકો યુક્રેનમાં ફસાયેલા છે."
તેમના જણાવ્યા અનુસાર યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને પરત લાવવા માટેના પૂરતા પ્રયાસો ચાલુ રહેશે.
યુક્રેનનો દાવો- 5700થી વધુ રશિયન સૈનિકોને માર્યા
યુક્રેનિયન સેનાના સત્તાધીશોએ દાવો કર્યો છે કે યુક્રેનની ધરતી પર બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા જંગમાં પ્રથમ પાંચ દિવસમાં 5,710 રશિયન સૈનિકોનાં મૃત્યુ થયાં છે.
ફેસબુક પર જારી કરાયેલા એક વીડિયો સંદેશમાં યુક્રેનના જનરલ સ્ટાફના પ્રવક્તાએ કહ્યું કે 200થી વધુ રશિયન સૈનિકોને યુક્રેનિયન સેનાએ ઝડપી લીધા છે.
સત્તાધીશોએ દાવો કર્યો છે કે તેમણે રશિયાની 198 ટૅન્ક, 29 પ્લેન, 846 હથિયારબંધ વાહનો અને 29 હેલિકૉપ્ટરોનો નાશ કર્યો છે.
જોકે, બીબીસી સ્વતંત્ર રીતે આ વાતની પુષ્ટિ કરતું નથી પરંતુ યુકેના સંરક્ષણ મંત્રાલયનું માનવું છે કે મૉસ્કોની સેનાએ યુક્રેન પર આક્રમણ દરમિયાન મોટું નુકસાન ભોગવવું પડ્યું છે.
યુક્રેનના ખારકિએવમાં ભારતીય વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ
યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ થઈ છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ જાણકારી આપી છે.
તેમણે ટ્વીટમાં લખ્યું કે "બહુ દુ:ખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખારકિએવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે."
તેમણે કહ્યું કે મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે અને અમે એમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.
ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા ખામેનેઈએ યુક્રેનને ગણાવ્યું 'આવતી કાલનું અફઘાનિસ્તાન'
ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયતુલ્લા અલી ખામેનેઈએ કહ્યું કે યુક્રેન અમેરિકા તરફથી પેદા કરેલા સંકટનો શિકાર છે.
તેમણે કહ્યું કે ઈરાન યુક્રેનમાં યુદ્ધની સમાપ્તિનું સમર્થન કરે છે. તેમણે એમ પણ કહ્યું કે આ સંઘર્ષનાં મૂળ અંગે બધાએ સ્વીકાર કરવો પડશે.
ખામેનેઈનું ભાષણ ટીવી પર પ્રસારિત થયું હતું.
આ ભાષણમાં તેમણે કહ્યું કે યુક્રેન સંકટ એ દર્શાવે છે કે અમેરિકા પર ભરોસો ન કરી શકાય. ખામેનેઈએ કહ્યું કે આજનું યુક્રેન કાલનું અફઘાનિસ્તાન છે. બંને દેશોના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે અમેરિકા અને પશ્ચિમી દેશો પર ભરોસો કર્યો, પણ બાદમાં એકલા છોડી દીધા.
યુક્રેનના ખારકિએવમાં રશિયાનો મોટો મિસાઇલ હુમલો
યુક્રેનના બીજા મોટા શહેર ખારકિએવમાં રશિયાએ મોટો હુમલો કર્યો છે. આ હુમલો ફ્રીડમ સ્ક્વેયરસ્થિત સરકારી ઑફિસોને નિશાન બનાવીને કર્યો છે.
યુક્રેનના સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મિસાઇલ સરકારી ઇમારતો સાથે ટકરાય છે. તેના કારણે જોરદાર ધડાકો થયો. આ હુમલાને કારણે ઇમારતોને મોટું નુકસાન થયું અને ગાડીઓ પણ ઊડી ગઈ હતી.
હુમલા બાદ વીડિયોમાં સિટી સ્ક્વેયર પાસે સળગેલી ગાડીઓ અને કાટમાળ જોવા મળે છે. આ હુમલો સ્થાનિક સમયાનુસાર સવારે આઠ વાગ્યે થયો હતો.
'ઑપરેશન ગંગા'માં સી-17 મોકલાશે
યુક્રેન પર તીવ્ર થઈ રહેલા રશિયન હુમલામાં વચ્ચે ભારત 'ઑપરેશન ગંગા' અંતર્ગત પોતાના નાગરિકોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં જોતરાયું છે.
આ વચ્ચે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાને બચાવ અભિયાનમાં સામેલ થવા માટે કહ્યું છે.
સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ભારતીય વાયુસેના આ અભિયાનમાં જોડાતાં વધારે લોકોને ઓછા સમયમાં ભારત લાવી શકાશે. આ ઉપરાંત માનવીય સહાયતા પહોંચાડવામાં પણ સરળતા રહેશે.
એએનઆઈ અનુસાર ભારતીય વાયુસેના આજથી પોતાનાં સી-17 વિમાનોને ઑપરેશન ગંગામાં સામેલ કરી શકે છે.
બીજી તરફ યુક્રેનમાં ફસાયેલા લોકોને પરત લાવવા માટે સ્પાઇસજેટ આજે સ્લોવેકિયાના કોસાઇઝમાં પોતાનું વિશેષ વિમાન મોકલશે.
યુક્રેને કહ્યું- ન તો સરેન્ડર કરીશું, ન તો રશિયાની શરતો સામે ઝૂકીશું
સૅટેલાઇટ ઇમેજરી કંપની મૅક્સર ટેક્નૉલૉજીએ કહ્યું છે કે પહેલાં રશિયન સૈનિકોનો હથિયારબંદ કાફલો યુક્રેન તરફ 27 કિલોમીટર લાંબો હતો. જે હવે 60 કિલોમીટર સુધી ખડકી દેવાયો છે.
મૅક્સરે કહ્યું કે નવી તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે દક્ષિણ બેલારુસમાં પણ રશિયન સૈનિકો અને હેલિકૉપ્ટર મોજૂદ છે, જે યુક્રેનની સહદથી માંડ 20 કિલોમીટર દૂર છે.
આ વચ્ચે યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ સીએનબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તેમનો દેશ આત્મસમર્પણ નહીં કરે.
કુલેબાએ કહ્યું, "યુક્રેન વાતચીતથી સમાધાન માટે તૈયાર છે, પરંતુ ન તો અમે સરન્ડર કરીશું અને ન તો તેમની શરતો સામે ઝૂકીશું."
યુક્રેનના વિદેશમંત્રીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું, જ્યારે સોમવારે બેલારુસમાં રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વાતચીત કરી રહ્યા હતા.
યુક્રેનના રાજદૂતનો દાવો - રશિયાએ પ્રતિબંધિત બૉમ્બનો કર્યો ઉપયોગ
અમેરિકામાં યુક્રેનના રાજદૂતે અમેરિકન સાંસદોને જણાવ્યું કે સોમવારે હુમલાના પાંચમાં દિવસે રશિયાએ યુક્રેન વિરુદ્ધ પ્રતિબંધિત થર્મોબૅરિક હથિયારનો ઉપયોગ કર્યો છે.
યુક્રેનના રાજદૂતે કહ્યું કે રશિયાએ આજે વૅક્યૂમ બૉમ્બનો ઉપયોગ કર્યો છે. જે જિનિવા કન્વૅન્શન અંતર્ગત પ્રતિબંધિત છે. જોકે, બીબીસી આ દાવાની પુષ્ટિ કરતું નથી.
થર્મોબૅરિક હથિયારોમાં પારંપરિક દારૂગોળાનો ઉપયોગ થતો નથી. તેમાં ઉચ્ચ દબાણવાળા વિસ્ફોટકોનો ઉપયોગ થાય છે.
તે શક્તિશાળી વિસ્ફોટ કરવા માટે આસપાસના વાતાવરણમાંથી ઑક્સિજન ખેંચે છે.
હ્યુમન રાઇટ્સ વૉચ અનુસાર, રશિયન ગણરાજ્ય ચેચેન્યામાં અગાઉ પણ તેનો ઉપયોગ કરાયો છે.
આ પહેલાં શનિવારે સીએનએન દ્વારા રશિયાના શહેર બેલગોરોડ પાસે થર્મોબૅરિક રૉકેટ લૉન્ચર દેખાયાં હોવાનો અહેવાલ પ્રકાશિત કરાયો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો