You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાંગ્લાદેશ: 7 ઇસ્લામિક ઉગ્રવાદીઓને મૃત્યુદંડ, 2016માં એક કાફે પર હુમલો થયો હતો
2016માં બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં થયેલા ચરમપંછી હુમલાના કેસમાં ઇસ્લામિક સ્ટેટ સાથે સંકલાયેલા 7 ઉગ્રવાદીઓને મૃત્યુદંડની સજા કરવામાં આવી છે.
8 લોકો પર ઉગ્રવાદીઓને હથિયારો પૂરાં પાડવાનો અને હુમલાનું આયોજન કરવાનો આરોપ હતો. એ પૈકી 1 વ્યક્તિને નિર્દોષ જાહેર કરવામાં આવી છે.
2016માં ઢાકાના હલી આર્ટિસન કાફેમાં 5 લોકોનાં જૂથે લોકોને બાનમાં લીધા હતા.
બાંગ્લાદેશના ઇતિહાસના એ ઘાતકી ઉગ્રવાદી હુમલામાં 22 લોકોનાં મૃત્યુ થયાં હતા. મૃતકોમાં મોટાભાગના લોકો વિદેશી હતી.
બાંગ્લાદેશમાં થયેલા એ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી હતી. જોકે, બાંગ્લાદેશે કથિત ઇસ્લામિક સ્ટેટની થિયરી ફગાવી દીધી હતી અને આ હુમલા માટે સ્થાનિક ચરમપંથી સંગઠનને જવાબદાર ઠેરવ્યું હતું.
આ હુમલા પછી બાંગ્લાદેશે ઉગ્રવાદીઓ પર મોટાપાયે પસ્તાળ પાડી હતી.
આ કેસમાં પબ્લિક પ્રોસિક્યુટર ગોલમ સરવર ખાને ચુકાદા પછી કહ્યું કે જે આરોપ હતો તે કોઈ જ સંદેહ વગર પૂરવાર થયો છે. અને અદાલતે તેમને મહત્ત્મ સજા કરી છે.
જે સાત લોકોને સજા કરવામાં આવી છે તેઓ બાંગ્લાદેશમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દિન બાંગ્લાદેશ (જેએમબી) સાથે સંબંધિત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમચાર સંસ્થા એએફપીએ કહ્યા મુજબ જજે સજા સંભળાવી ત્યારે અદાલતમાં કેટલાક લોકોએ અલ્લાહૂ અકબરના નારા લગાવ્યા હતા.
આ કેસમાં એક સંદિગ્ધ માસ્ટરમાઇન્ડ નુરુલ ઇસ્લામ મરઝમનું 2017માં પોલીસ સાથેની અથડામણમાં મૃત્યુ થયું હતું.
શું થયું હતું 2016માં?
2016માં 1 જુલાઈની સાંજે 5 બંદુકધારીઓ હલી આર્ટિસન કાફેમાં ત્રાટક્યા હતા અને એમણે લોકોને બંધક બનાવી ગોળીબાર શરૂ કર્યો હતો.
એમણે ઇટાલી અને જાપાન સહિત વિદેશી નાગરિકોની હત્યા કરી હતી.
ઉગ્રવાદી હુમલામાં બે પોલીસકર્મીઓ માર્યા ગયા પછી બચાવ માટે આર્મી કમાન્ડોની મદદ લેવામાં આવી હતી.
કમાન્ડો અને ઉગ્રવાદીઓ વચ્ચેનો સંઘર્ષ 12 કલાક ચાલ્યો હતો અને અંતે 13 બંધકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. હુમલો કરનારા 5 ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા.
આ ઘટનાને વડાં પ્રધાન શેખ હસીનાએ અને લશ્કરે વખોડી કાઢી હતી.
આ ઘટના પછી બાંગ્લાદેશમાં મોટાપાયે તપાસઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સશસ્ત્ર અથડામણો અને પોલીસ ઍન્કાઉન્ટરમાં 100 જેટલા ચરમપંથીઓ માર્યા ગયા હતા અને 1000થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
સંયુક્ત રાષ્ટ્ર સહિતની માનવઅધિકાર સંસ્થાઓએ સુરક્ષાદળો પર ખોટાં ઍન્કાઉન્ટર કરવાનો આરોપ મૂક્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો