You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
PM મોદી પહોંચ્યા બાંદીપુર ટાઇગર રિઝર્વ, 'ઍલિફન્ટ વ્હિસ્પરર્સ'ના બોમ્મન અને બેલ્લીને મળ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વ પહોંચ્યા હતા.
ત્યાંથી તેમણે મુદુમલાઈ ટાઇગર રિઝર્વમાં આવેલા થેપ્પાકડૂ ઍલિફન્ટ કૅમ્પની મુલાકાત લીધી હતા. જ્યાં તેઓ હાથીઓની દેખભાળ રાખનારા બોમ્મન અને બેલ્લીને મળ્યા હતા.
તાજેતરમાં જ ભારતની ડૉક્યુમેન્ટરી 'ઍલિફન્ટ વ્હિસ્પરર્સ' ઑસ્કર ઍવોર્ડ જીતી હતી. આ ડૉક્યુમેન્ટરી બોમ્મન અને બેલ્લી તેમજ તેમના હાથીઓ પ્રત્યેના પ્રેમ પર બનાવવામાં આવી છે.
વડા પ્રધાન મોદીએ તેમની સાથે ઍલિફન્ટ કૅમ્પના હાથીઓની મુલાકાત લીધી હતી.
બોમ્મન અને બેલ્લીની કહાણી વાંચવા માટે અહીં ક્લિક કરો.
વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદી આ સિવાય હાથી અને વાઘના સંરક્ષણ કાર્ય સાથે જોડાયેલા ફ્રન્ટલાઇન સ્ટાફ અને એનજીઓને પણ મળશે.
આ ઉપરાંત તેઓ ઇન્ટરનેશનલ બિગ કૅટ્સ અલાયન્સ (આઈબીસીએ) લૉન્ચ કરશે અને પ્રોજેક્ટ ટાઇગર્સના 50 વર્ષ પૂર્ણ થતા યોજાનારા કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કરશે.
કાજલ હિન્દુસ્તાનીના જામીન નામંજૂર કરાયા બાદ જૂનાગઢ કસ્ટડીમાં મોકલાયાં
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગીર સોમનાથથી બીબીસીના સહયોગી દિલીપ મોરીના પોલીસના હવાલાથી જણાવ્યા અનુસાર, કાજલ હિન્દુસ્તાનીને આજે ઉના પોલીસ સ્ટેશનમાં હાજર કરાયાં હતાં. જ્યાં ઉના કોર્ટે તેમના જામીન નામંજૂર કર્યા છે.
બાદમાં કાજલ હિન્દુસ્તાનીને જૂનાગઢ કસ્ટડીમાં મોકલી દેવાયાં છે.
તો સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કાજલ હિન્દુસ્તાનીએ રવિવારે સવારે ઉનામાં પોલીસ સામે આત્મસમર્પણ કર્યું હતું.
ઉનામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન ધર્મ સભામાં કાજલ હિન્દુસ્તાનીએ કથિત રીતે ચોક્કસ ધર્મ વિરુદ્ધ આપત્તિજનક ભડકાઉ ભાષણ આપ્યું હતું.
ત્યારબાદ પોલીસે હિન્દુ-મુસ્લિમ નેતાઓને સાથે રાખીને શાંતિસમિતિની બેઠક પણ યોજી હતી.
રામનવમીની શોભાયાત્રા બાદ બે જૂથ વચ્ચે તણાવ સર્જાયો હતો. કથિત રીતે ભડકાઉ ભાષણનો આરોપ કાજલ હિન્દુસ્તાની ઉપર લાગ્યો હતો.
આ બાબતે ઉના પોલીસ સ્ટેશનમાં કાજલ હિન્દુસ્તાની સામે હેટ સ્પિચની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, "ઉનામાં કાજલ હિન્દુસ્તાની તેમજ ટોળા સામે રાઇટિંગની ફરિયાદ એમ કુલ બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કાજલ હિન્દુસ્તાની સામે હેટ સ્પીચ બદલ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ છે. બીજી ફરિયાદ ટોળા સામે તેમજ કેટલાક લોકો સામે નામજોગ રાયોટિંગની ફરિયાદ પણ દાખલ કરી છે."
કાજલ હિન્દુસ્તાનીનો જન્મ મૂળ રાજસ્થાનના સિરોહી ગામમાં જન્મ થયો છે. કાજલે ઉદયપુરની મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીમાંથી એકાઉન્ટના વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું છે.
રાજ્યમાં જુનિયર ક્લાર્કની 1100 પોસ્ટ માટે આજે પરીક્ષા, સાડા નવ લાખથી વધુ ઉમેદવારો મેદાને
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (જીપીએસએસબી) દ્વારા આજે જુનિયર ક્લાર્કના 1100 પદો પર ભરતી માટેની લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા અગાઉ 29 જાન્યુઆરીએ યોજાવાની હતી પરંતુ ગણતરીના કલાકો પહેલાં પેપરલીક થયું હોવાની જાણ થતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.
જેથી આજે આકરી સુરક્ષા વચ્ચે લગભગ 9.53 લાખ ઉમેદવારો ગુજરાતના 3000થી વધુ કેન્દ્રો પર આ પરીક્ષા આપશે.
જીપીએસએસબીના અધ્યક્ષ અને આઈપીએસ અધિકારી હસમુખ પટેલે ઇન્ડિયન એક્સ્પ્રેસને જણાવ્યું હતું કે રાજ્યના દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કૅમેરા લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર તહેનાત તમામ પોલીસ કર્મચારીઓ 'બૉડીવૉર્ન કૅમેરા'થી સજ્જ હશે.
તેમણે આગળ કહ્યું, "પ્રશ્નપત્રનું સીલબંધ કવર દરેક કેન્દ્રમાં બે ઉમેદવારોને બતાવ્યા પછી જ ખોલવામાં આવશે. સાથે જ તેમની સહી પણ લેવામાં આવશે."
જીપીએએસબી દ્વારા પરીક્ષા આપનારા તમામ ઉમેદવારોને 254 રૂપિયા પરિવહન માટે આપવાની પણ જાહેરાત કરી છે. ઉમેદવારોએ આ અંગે તેમની બૅન્ક ખાતાની વિગતો સાથે ઓનલાઇન ફૉર્મ ભરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા પેપર લીકના જોખમને અટકાવવા માટે રજૂ કરાયેલા ગુજરાત પબ્લિક ઍક્ઝામિનેશન (પ્રિવૅન્શન ઓફ અનફેર મીન્સ) ઍક્ટ, 2023 સર્વસંમતિથી પસાર થયા બાદ આ પ્રથમ પરીક્ષા યોજાઈ રહી છે.
બુર્કીના ફાસોમાં બે ચરમપંથી હુમલામાં 44 લોકોનાં મૃત્યુ
આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં ગુરુવારે થયેલા બે હુમલામાં 44 લોકોનાં મૃત્યુ થયા છે. એક અધિકારીએ તેની પુષ્ટિ કરી છે.
આ બે હુમલા નાઇજર સીમા પાસે આવેલા સાહેલ વિસ્તારનાં કોરાકૂ અને ટોંડોબી ગામમાં થયાં હતાં.
આ હુમલાની જવાબદારી કોઈ ચરમપંથી સંગઠને લીધી નથી પરંતુ આ વિસ્તારમાં અવારનવાર જેહાદી હિંસા થતી રહે છે. અધિકારીઓએ આ હુમલા માટે 'હથિયારબંધ આતંકી સમૂહો'ને જવાબદાર ઠેરવ્યાં છે.
ચરમપંથી અલ-કાદા અને ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા ચરમપંથી જૂથો આ વિસ્તારમાં સક્રિય છે.
સાહેલ વિસ્તારના લૅફ્ટનન્ટ-ગવર્નર રોડોલ્ફ સર્ગોએ કહ્યું કે આ "ઘૃણાસ્પદ અને બર્બર હુમલા" માટે જવાબદાર લોકોને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે.
આ હુમલામાં ગામના ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જોકે, તેનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. લૅફ્ટનન્ટ-ગવર્નરનું કહેવું છે કે વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
ગામમાં રહેતા એક વ્યક્તિએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે "મોટી સંખ્યામાં આતંકીઓ ગામમાં ઘૂસી ગયા" અને તેમણે આખી રાત ગોળીઓ ચલાવી.
તેમણે કહ્યું, "શુક્રવારે સવારે અમે જોયું તો ઘણા લોકોનાં મૃત્યુ થયાં હતાં."
એએફપીના અહેવાલ મુજબ થોડા દિવસો પહેલાં પશુઓ ચોરવાનો પ્રયાસ કરનારા બે જેહાદીઓની લિંચિંગ થયા બાદ આ હુમલા થયા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો