You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય હવાઈ ક્ષેત્રમાં એક ઈરાની વિમાનમાં બૉમ્બ હોવાના મામલો શું છે? - પ્રેસ રિવ્યૂ
ભારતીય વાયુસેનાએ સોમવારે નિવેદન જાહેર કરીને એક ઈરાની ઍરલાઇન્સનું વિમાન ભારતના હવાઈ ક્ષેત્રથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેમાં બૉમ્બ હોવાની સૂચના મળી હતી.
સૂચના મળ્યા બાદ ઇન્ડિયન ઍરફોર્સના એક ફાઇટર જેટને મોકલવામાં આવ્યું હતું. આ જેટ ઈરાની વિમાનથી સુરક્ષિત અંતરે હતું. ઈરાની વિમાનને જયપુર અને પછી ચંદીગઢમાં સુરક્ષિત લૅંડિંગનો વિકલ્પ ઑફર કરાયો હતો.
જોકે, પાઇલટે આ ઍરપૉર્ટ પર લૅન્ડિંગની અનિચ્છા જાહેર કરી. બાદમાં ઈરાને બૉમ્બ હોવાની વાતને નકારી દીધી. આ બાદ ઈરાની વિમાન પોતાના અંતિમ ડેસ્ટિનેશન તરફ આગળ વધતું ગયું. ભારતીય વાયુસેનાએ નિયમ આધારિત તમામ પગલાં લીધાં. ભારતીય વાયુસેનાએ કહ્યું કે ઈરાની વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં રડાર સર્વેલન્સ પર હતું.
'લક્ષિત હિંસા મુદ્દે ભારતમાં ભાગ્યેજ રાજ્યની જવાબદારી નક્કી કરાઈ હશે'- તિસ્તા સેતલવાડ
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, તિસ્તા સેતલવાડે કહ્યું કે લોકો વચ્ચે ઊંડા ધ્રુવીકરણના મુદ્દા પર કામ કરવું સરળ નથી અને ધ્રુવીકરણ પર સોશિયલ મીડિયાનો પ્રભાવ પણ વધુ છે.
સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડે કહ્યું કે "લક્ષિત હિંસા મામલે દેશે ભાગ્યેજ કોઈ રાજ્યની જવાબદારી જોઈ હશે."
સામાજિક કાર્યકર, વરિષ્ઠ વકીલ અને કર્મશીલ ગિરીશ પટેલની સ્મરણાંજલિના કાર્યક્રમમાં તિસ્તા સેતલવાડ અમદાવાદમાં આવ્યાં હતાં અને દરમિયાન તેમણે આ વાત કરી હતી.
તેમણે કહ્યું કે "લક્ષિત હિંસાની કહાણી એ નિર્માણથી શરૂ થાય છે, જે ઘૃણાસ્પદ ભાષણો અને ઘૃણાસ્પદ લેખન સાથે ઘડવામાં આવે છે."
તેમણે એમ પણ કહ્યું કે 1984, 1992 અને 2002 (રમખાણો)માં કેટલા લોકોને સજા અપાઈ? આ સવાલ આપણી સામે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ભારત વિશ્વની છ મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક...પણ ગરીબી રાક્ષસની જેમ ઊભી છે' - RSS મહાસચિવ
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેએ રવિવારે દેશમાં વધી રહેલી ગરીબી, બેરોજગારી અને વિષમતાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
હોસબાલેએ જણાવ્યું હતું કે એવો માહોલ તૈયાર કરવો જોઈએ, જેનાથી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન મળે અને નોકરી શોધનારાઓ લોકો નોકરી આપી શકે તેવી સ્થિતિમાં આવી જાય.
હોસબાલેએ રવિવારે આરએસએસ સાથે જોડાયેલા સંગઠન સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત વેબિનારમાં કહ્યું, "દેશમાં ગરીબી રાક્ષસની જેમ ઊભી છે. એ મહત્ત્વનું છે કે આપણે આ રાક્ષસને ખતમ કરીએ. અત્યારે પણ 20 કરોડ લોકો ગરીબી રેખાથી નીચે છે. આ આંકડા દુખદાયી છે. 23 કરોડ લોકો દરરોજ 375 રૂપિયાથી ઓછું કમાય છે, ચાર કરોડ લોકો પાસે કોઈ કામ નથી. શ્રમશક્તિ સર્વે કહે છે કે બેરોજગારીનો દર 7.6% છે."
હોસબાલેએ કહ્યું કે બીજો મોટો પડકાર દેશમાં વધી રહેલી આર્થિક વિષમતા છે.
તેમણે કહ્યું, "એક વાત એવી છે કે ભારત વિશ્વની છ મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. પરંતુ શું આ સારી સ્થિતિ છે? ટોચના એક ટકા લોકો પાસે રાષ્ટ્રની 20 ટકા આવક છે. બીજી તરફ, દેશની 40 ટકા વસ્તી પાસે રાષ્ટ્રની માત્ર 13 ટકા આવક છે."
ગરીબી અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્રના અવલોકનનો ઉલ્લેખ કરતા હોસબાલેએ કહ્યું, "દેશના મોટા ભાગોમાં લોકોને શુદ્ધ પાણી અને પૌષ્ટિક ખોરાક મળતો નથી. આંતરિક વિખવાદ અને નબળી શિક્ષણ વ્યવસ્થાને કારણે પણ ગરીબી વધી રહી છે.
શ્રી ભગવદગીતા પાર્કમાં તોડફોડ મુદ્દે ભારતે સવાલ ઉઠાવ્યા
કૅનેડાના બ્રૅમ્પટનમાં 'શ્રી ભગવદગીતા' નામના ખુલ્લા પાર્કમાં થયેલી તોડફોડની ભારતે નિંદા કરી છે.
રવિવારે ભારતે વહીવટીતંત્રને આ મામલાની તપાસ કરવા અને હેટ ક્રાઇમનું કાવતરું ઘડનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
જોકે, બ્રૅમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉન અને સ્થાનિક પોલીસનું કહેવું છે કે પાર્કમાં કોઈ તોડફોડ કરવામાં આવી નથી.
અગાઉ ટ્રૉયર્સ પાર્ક તરીકે ઓળખાતા આ પાર્કનું 28 સપ્ટેમ્બરે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
કૅનેડામાં ભારતીય હાઈ કમિશને ટ્વીટ કર્યું, "અમે બ્રૅમ્પટનના શ્રી ભગવદગીતા પાર્કમાં હેટ ક્રાઇમની ઘટનાની નિંદા કરીએ છીએ. અમે કૅનેડિયન પ્રશાસન અને પીલ સ્થાનિક પોલીસને આ મામલે તપાસ કરવા અને કાવતરાખોર સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરીએ છીએ."
ઘટનાની જાણ થતાં જ મેયર બ્રાઉને પીલ પ્રાદેશિક પોલીસને તપાસનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે આવી ઘટનાઓને બિલકુલ સાંખી નહીં લેવાય.
જોકે, સોમવારે સવારે મેયર પેટ્રિક બ્રાઉને ટ્વીટ કરીને કહ્યું કે પાર્કમાં તોડફોડની ફરિયાદ સાચી નથી.
પીલ સ્થાનિક પોલીસે પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પાર્કના બોર્ડ કે અન્ય કોઈ ભાગમાં તોડફોડ થઈ નથી.
રાહુલ ગાંધીએ વરસતાં વરસાદમાં સંબોધન કર્યું
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે ભારત જોડો યાત્રા દરમિયાન કર્ણાટકમાં વરસતાં વરસાદમાં હજારો લોકોને સંબોધિત કર્યા હતા.
કૉંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું કે ગાંધીજયંતીની સાંજે મૈસૂરમાં મુશળધાર વરસાદ છતાં રાહુલ ગાંધીએ લોકોને સંબોધિત કર્યા હતા. આ દર્શાવે છે કે ભારત જોડો યાત્રાને નફરત સામે ભારતને એકજૂથ કરવામાં, બેરોજગારી અને મોંઘવારી સામે બોલવામાં કોઈ તાકાત રોકી નહીં શકે.
રાહુલ ગાંધીએ સંબોધનમાં કહ્યું કે ભારત જોડો યાત્રાનું લક્ષ્ય ભાજપ અને આરએસએસ દ્વારા હિન્દુસ્તાનમાં ફેલાવાતી નફરત સામે અડીખમ રહેવાનું છે. આ યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલશે અને કોઈ કિંમત પર રોકાશે નહીં, જેમ કે આજે વરસાદ પણ અમને રોકી શક્યો નથી.
રાહુલ ગાંધીનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો