You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં શંકરસિંહ વાઘેલા નવો પક્ષ રચશે?- પ્રેસ રિવ્યૂ
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરવાની વાત કરી છે.
પત્રકારો સાથેની વાતચીતમાં રવિવારે આ અંગે માહિતી આપતા તેમણે કહ્યું હતું કે તેઓ આ વર્ષના અંતે યોજાનારી ચૂંટણીમાં પોતાની નવી પાર્ટી જાહેર કરશે.
તેમણે પોતાની પાર્ટીનું નામ 'પ્રજાશક્તિ ડૅમોક્રેટિક પાર્ટી' રાખ્યું છે અને આગામી દિવસોમાં તેની સત્તાવાર જાહેરાત કરશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા અગાઉ ઘણી વખત ગુજરાતમાં દારૂબંધી નિરર્થક હોવાના નિવેદનો આપી ચૂક્યાં છે અને એ વિશે સરકાર પર નિશાન સાધી ચૂક્યાં છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી લઈને એનસીપી સુધીની તેમની લગભગ 50 વર્ષની કારકિર્દીના પડદા પર બળવો અને રિસામણાના કેટલાય નાટકીય ઍપિસોડ આવ્યા અને જતા રહ્યા.
રાજ્યમાં ચૂંટણી આવે ત્યારે શંકરસિંહ વાઘેલાનું રિસાઈ જવું કે નવો પક્ષ રચવો એ જાણે કે રિવાજ રહ્યો છે.
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા કોરોનાની ઝપેટમાં આવ્યા, ત્યાર પહેલાં જ તેમણે રાષ્ટ્રવાદી કૉંગ્રસ પાર્ટી (એનસીપી)માંથી રાજીનામું આપ્યું હતું.
તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં જેની સાથે તેમણે છેડો ફાડ્યો હોય એવી આ ચોથી રાજકીય પાર્ટી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1995માં ભાજપ ગુજરાતમાં 121 સીટો પર જીતી ગયું અને કેશુભાઈને મુખ્ય મંત્રી બન્યા હતા.
વાઘેલા નારાજ થઈ ગયા અને તેઓ કેશુભાઈની સરકારના 47 ધારાસભ્યોને લઈને મધ્ય પ્રદેશના ખજૂરાહો જતા રહ્યા અને સરકાર સામે બળવો પોકારી દીધો.
આ બળવાને 'ખજૂરિયા-હજૂરિયા' તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના પરિણામ સ્વરૂપે કેશુભાઈ પટેલની સરકાર ભાંગી પડી હતી.
એ બાદ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે સુરેશ મહેતાને પદભાર સોંપવામાં આવ્યો.
સુરેશ મહેતાની સરકારથી નાખુશ વાઘેલાએ 1995માં સુરેશ મેહતાની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો અને તેમની સરકાર પડી ગઈ.
1996માં વાઘેલા ગોધરાથી લોકસભા ચૂંટણી હારી ગયા અને ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.
તેમણે તેમના 47 વિદ્રોહી ધારાસભ્યો સાથે મળીને પોતાની પાર્ટી બનાવી જેનું નામ રાખ્યું 'રાષ્ટ્રીય જનતા પાર્ટી'.
1997-98 સુધી એક વર્ષ માટે કૉંગ્રેસના ટેકાથી તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યા હતા.
લીંચિંગને લઈને રાજસ્થાન ભાજપના નેતા વીડિયોમાં બોલ્યા, 'અમે પાંચ લોકોને માર્યા'
રાજસ્થાનમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ ગૌ-તસ્કરી કરનારા પાંચ લોકોનું લીંચિંગ કરાવ્યું હોવાનો દાવો કરી રહ્યા છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે આ વીડિયો સામે આવ્યા બાદ જ્ઞાનદેવ આહુજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જ્ઞાનદેવ આહુજાનું આ નિવેદન એ સમયનું છે, જ્યારે તેઓ સાંપ્રદાયિક હિંસામાં મૃત્યુ પામેલ એક વ્યક્તિના પરિવારને મળવા ગોવિંદગઢ ગયા હતા.
વીડિયોમાં આહુજા કોઈકને કહેતા નજરે પડે છે કે "પંડિતજી, લાલવંડી, બહરોડ સહિતની જગ્યાઓએ અત્યાર સુધી તો પાંચ અમે માર્યા છે. આ વિસ્તારમાં પહેલી વખત એમ બન્યું છે કે તેમણે માર્યો હોય."
લાલવંડીથી તેમનો અર્થ 2018માં રકબર ખાન અને બહરોડથી 2017માં પહલૂ ખાનની હત્યાનો હતો.
વીડિયોમાં આહુજા કહી રહ્યા છે કે, "મેં કાર્યકર્તાઓને છૂટ આપી રાખી છે કે જે પણ ગૌ-તસ્કરી કરતા પકડાય તેને મારો. જામીન પણ અપાવીશું અને નિર્દોષ સાબિત કરાવીશું."
અલવરના પોલીસ અધીક્ષક તેજસ્વીન ગૌતમે સંડે એક્સપ્રેસને જણાવ્યું કે સ્થળ પર હાજર બીટ જમાદારની ફરિયાદના આધારે આહુજા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ભાજપ દ્વારા ભાજપે ખુદને તેમના નિવેદનથી અલગ કરી લીધો છે.લીંચિંગને લઈને રાજસ્થાન ભાજપના નેતા વીડિયોમાં બોલ્યા, 'અમે પાંચ લોકોને માર્યા'
લુકઆઉટ નોટિસ જાહેર થતાં મનીષ સિસોદિયાએ શું કહ્યું?
દિલ્હી આબકારી નીતિ એટલે કે કથિત દારૂ કૌભાંડના તમામ આરોપીઓ વિરુદ્ધ સીબીઆઈએ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. જેમાં દિલ્હીના નાયબમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા અને અન્ય 12 લોકો સામેલ છે.
આ નોટિસ જાહેર થતાં જ સિસોદિયા અને અન્ય તમામ લોકો કોર્ટની પરવાનગી વગર દેશની બહાર જઈ શકશે નહીં.
આ નોટિસ ફરાર આરોપીઓની ભાળ મેળવવા અને સંબંધિત લોકોને દેશમાં પ્રવેશવા કે બહાર જવા પર રોક લગાવવા માટે જાહેર કરવામાં આવે છે.
આ નોટિસ જાહેર થયા બાદ મનીષ સિસોદિયાએ ટ્વીટ કરતાં કહ્યું કે તેઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને વડા પ્રધાન મોદી તેમને કહે કે ક્યાં આવવાનું છે.
હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનથી 22 લોકોનાં મૃત્યુ
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે અચનાક આવેલ પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધી 22 લોકોનાં મૃત્યુ થયા છે. સૌથી વધુ 13 લોકો મંડી જિલ્લામાં માર્યા ગયા છે.
રાજ્યમાં મનાલી-ચંડીગઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત 743 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. શિમલા-ચંડીગઢ હાઈવે પણ શોગી નદી પાસે બંધ કરવામાં આવ્યો છે.
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ પ્રમાણે, પૂરના કારણે છેલ્લા 24 કલાકમાં 22 લોકોનાં મૃત્યુ થયાં છે. નવ લોકો ઇજાગ્રસ્થ થયા છે અને છ લોકો ગુમ છે.
મંડીના ડૅપ્યુટી કમિશનરે કહ્યું કે જિલ્લામાં 13 લોકોનાં મૃત્યુ થયા છે અને પાંચ લોકો ગુમ છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે મૃતકોના પરિવારને સહાયની જાહેરાત કરી છે.
રાજ્યમાં બચાવ અને રાહતકાર્ય માટે શનિવારે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં છેલ્લા 24 કલાકમાં થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી. મહેસૂલ વિભાગે પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ માટે 232 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો