ફિલ્મમેકર અવિનાશ દાસની અમદાવાદની ક્રાઇમ-બ્રાન્ચે અટકાયત કરી

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાત પોલીસની ક્રાઇમ-બ્રાન્ચે મંગળવારે ફિલ્મકાર અને પત્રકાર અવિનાશ દાસની અટકાયત કરી છે.

બપોરે બે વાગ્યે ગુજરાત પોલીસની ટીમે દાસને તેમના ઘર પાસેથી અટકાયતમાં લીધા હતા. ક્રાઇમ-બ્રાન્ચ તેમને સડકમાર્ગે અમદાવાદ લઈ જઈ રહી છે. બુધવારે તેમને મૅજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવશે.

ફિલ્મ ડિરેક્ટર અવિનાશ દાસ સામેની કાર્યવાહી અંગે માહિતી આપતાં અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી ગુનો આચરનાર મુંબઈના ફિલ્મ ડિરેક્ટર અવિનાશ લક્ષ્મીકાંત દાસની મુંબઈ ખાતેથી અટકાયત કરતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ."

અવિનાશ દાસ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ-બ્રાન્ચે કેસ નોંધ્યો હતો.

અવિનાશ દાસ પર ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાયેલાં ઝારખંડ કૅડરના આઈએએસ અધિકારી પૂજા સિંઘલની ગૃહમંત્રી અમિત શાહે સાથેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો પણ આરોપ છે.

અમદાવાદ પોલીસે 14 મેના દિવસે અવિનાશ દાસ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

જે અનુસાર અવિનાશ દાસે આઠ મેએ અમિત શાહ અને પૂજા સિંઘલની વાતચીત કરનારી એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટ લોકોને ભ્રમિત કરવા અને અમિત શાહની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારી હોવાનો ફરિયાદમાં આરોપ લગાવાયો છે.

આ મામલે અવિનાશ દાસે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેના પર આગામી શુક્રવારે સુનાવણી થશે.

જોકે, આ સુનાવણી પહેલાં જ અવિનાશ દાસને અમદાવાદ પોલીસની ક્રાઇમ-બ્રાન્ચે અટકાયતમાં લઈ લીધા હતા.

ગુજરાત પોલીસના આ પગલાની કેટલાય જાણીતા લોકોએ સોશિયલ મીડિયા પર ટીકા કરી છે.

વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ટ્વિટર પર લખ્યું, "વધુ એક દિવસ, સોશિયલ મીડિયા પોસ્ટ માટે વધુ એક ધરપકડ, આખરે આ ક્યારે બંધ થશે?"

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો