સુપ્રીમ કોર્ટે સેક્સ વર્કને વ્યવસાય ગણ્યો, પોલીસને આપી આ સૂચનાપ્રેસ રિવ્યૂ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

સર્વોચ્ચ અદાલતે પોલીસને તાકિદ કરી છે કે પુખ્ત વયની તથા સહમતીથી જાતીય સંબંધ બાંધનારી વ્યક્તિના કામમાં કનડગત કરવામાં ન આવે.

આ સિવાય અદાલતે કહ્યું છે કે તેમની સામે ફોજદારી કાર્યવાહી પણ ન કરવી જોઈએ.

અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'ના અહેવાલ મુજબ, સેક્સ વર્કને વ્યવસાય તરીકે માન્યતા આપતાં અદાલતે કહ્યું કે તેને સન્માન અને સુરક્ષા મળવા જોઈએ.

સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં બંધારણે આપેલા મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે અનુચ્છેદ 21 દરેક વ્યક્તિને સન્માનજનક રીતે જીવન જીવવાનો અધિકાર આપે છે. અન્ય કોઈ વ્યવસાયિકની જેમ જ યૌનકર્મી પણ કાયદાકીય સુરક્ષાને પાત્ર છે.

અદાલતે કાયદા મુજબ આયુપાત્ર તથા સહમતિને આધારરૂપ ગણાવ્યા છે.

જસ્ટિસ નાગેશ્વરની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે અનુચ્છેદ 142 હેઠળ સર્વોચ્ચ અદાલતને મળેલા વિશેષ અધિકારોનો ઉપયોગ કરતાં આ ચુકાદો આપ્યો હતો.

અદલાતે ઠેરવ્યું કે જ્યારે ક્યારેય કોઈ વેશ્યાલય પર દરોડો પાડવામાં આવે ત્યારે યૌનકર્મીની ધરપકડ કરવામાં ન આવે અથવા તેમને દંડિત કરવામાં ન આવે.

ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ

હવામાન ખાતા દ્વારા કચ્છ, જામનગર, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકાના માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી અરબી સમુદ્ર ન ખેડવાની સૂચના આપવામાં આપવામાં આવી છે.

હવામાન ખાતાની યાદીને ટાંકતા એનડીટીવી લખે છે, "દરિયામાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે વધીને 60 કિલોમીટર પ્રતિકાલકની ઝડપ સુધી પહોંચી શકે છે."

મંગળવારે રાજકોટ તાલુકામાં છ મીલીમીટર જેટલો કમોસમી વરસાદ નોંધાયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા નહીં મળે.

ઇમરાનની રેલી બાદ અંધાધૂંધી

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન તેમના સમર્થકો સાથે ગુરૂવારે રાજધાની ઇસ્લામાબાદ પહોંચ્યા હતા.

ઇમરાને તેમના સમર્થકોને અદાલતના આદેશોની અવગણના કરીને સભામાં સામેલ થવા આહ્વાન કર્યું છે.

બીજી બાજુ, રેલી પૂર્વે કેટલાંક સ્થળોએ હિંસા થઈ હતી અને આગચંપીના બનાવો બન્યા હતા.

આ સિવાય ઇમરાનની પાર્ટીના સમર્થકો અને સુરક્ષાબળોની વચ્ચે હિંસક અથડામણો થઈ હતી.

આને પગલે વહીવટી તંત્ર દ્વારા વિશેષ સુરક્ષા ગોઠવવામાં આવી છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સેનાને પણ બોલાવવામાં આવી છે.

તેમને મહત્ત્વપૂર્ણ સરકારી ઇમરાતોની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.

ઇતિહાસમાં બીજી વખત પાકિસ્તાન નાદાર જાહેર થાય તેવા સંજોગો ઊભા થયા છે.

બુધવારે ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ તથા પાકિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક થઈ હતી, પરંતુ તેનું કોઈ પરિણામ નીકળ્યું ન હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો