મોડાસાના કોલીખડ પાસે ટ્રિપલ અકસ્માત, પાંચનાં મૃત્યુની આશંકા

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

અરવલ્લી જિલ્લાના મોડાસાના કોલીખડ ગામ પાસે ટ્રિપલ અકસ્માતમાં પાંચ લોકોનાં મૃત્યુની આશંકા છે.

ત્રણ ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો છે અને મોડાસા-નડિયાદ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે.

અકસ્માત બાદ ફાટી નિકળેલી આગમાં પાંચ લોકોના બળી જવાથી મૃત્યુ થવાની આશંકા છે. બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે

હાલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

અકસ્માતને પગલે ટ્રાફિકને સિકા રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

બચાવકામગીરી ક્યાં પહોંચી?

અરવલ્લી જિલ્લાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીણાએ આ અંગે પત્રકારોને જણાવ્યું, "મોડાસા-ધનસુરા વચ્ચે કોલીખડ ગામ પાસે 10 વાગ્યાની આસપાસ ત્રણ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્રણ ટ્રક પૈકી એક ટ્રકમાં કૅમિકલ, બીજા ટ્રકમાં પેપર અને ત્રીજા ટ્રકમાં કાપડ ભરેલું હતું."

"અત્યારે આગ પર 90 ટકા કાબુ મેળવી લેવાયો છે. આગમાં બળી ગયેલા બે મૃતદેહો મળ્યા છે. જ્યારે બે ઘાયલોને મોડાસા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને બંનેની સ્થિતિ સામાન્ય છે."

"અત્યારે ટ્રાફિક ખાલી કરવાની અને ટ્રકને માર્ગમાંથી હટાવવાની કામગીરી ચાલી રહી છે. જે થોડીવારમાં પૂર્ણ થઈ જશે."

થોડા સમયમાં જ સ્થિતિ પર કાબુ મેળવી લેવાની આશા વ્યક્ત કરતાં કલેક્ટરે ઉમેર્યું, "આ દરમિયાન ટ્રાફિટ ધનસુરાથી માલપુર રોડ તરફ ડાયવર્ટ કરાયો છે. પોલીસ, આરોગ્યતંત્ર અને ફાયરફાઇટર વચ્ચે સંકલનથી કામગીરી થઈ રહી છે. અડધો કલાકમાં રોડ ટ્રાફિક પૂર્વવત્ થવાની ધારણા છે."

અરવલ્લી એસપી સંજય ખરાતે આ અંગે માહિતી આપતાં જણાવ્યું, "બે ટ્રક સામસામેથી પસાર થઈ રહી હતી ત્યારે ત્રીજા ટ્રક દ્વારા ઓવરટેક કરવાની કોશીશમાં આ અકસ્માત સર્જાયો હતો."

જિલ્લા પોલીસવડાએ ઉમેર્યું કે, "આગ વિસ્તરવાનું કારણ એ છે કે એક ટ્રકમાં કલર પેઇન્ટનાં બૉક્સ હતાં અને ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. એક મૃતદેહ મળી આવ્યો છે. એક ડ્રાઈવર સહિત બેની સારવાર ચાલી રહી છે. વધુ ત્રણ જેટલા મૃતદેહ મળી આવે એવી આશંકા છે. જે આગ અંકુશમાં આવ્યા બાદ જાણી શકાશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો