યતિ નરસિંહાનંદની મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મામલે ધરપકડ, હેટ સ્પીચનો પણ કેસ નોંધાયો

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

હરિદ્વારની એક કોર્ટે રવિવારે વિવાદાસ્પદ ધાર્મિક નેતા યતિ નરસિંહાનંદને હેટ સ્પીચના કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. નરસિંહાનંદે ધરપકડ પહેલાં હરિદ્વારમાં બીબીસી સાથે શનિવારે વાતચીત કરી હતી, પરંતુ ઇન્ટરવ્યૂમાં હેટ સ્પીચ અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા.

એ બાદ બીબીસીની ટીમ સાથે ગેરવર્તન કરવા બાબતે તેમના વિરુદ્ધ વધુ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

હરિદ્વારમાં આયોજિત 'ધર્મસંસદ'માં યતિ નરસિંહાનંદના ઉશ્કેરણીજનક ભાષણનો વીડિયો વાઇરલ થયા બાદ તેમની ધરપકડ કરવાની માગ ઊઠી હતી.

હરિદ્વારની નગર-કોટવાલી પોલીસે જૂના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદની સર્વાનંદઘાટથી ધરપકડ કરી હતી.

યતિ નરસિંહાનંદ તે સમયે વસીમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર નારાયણ ત્યાગીને છોડી મૂકવાની માગ સાથે ઉપવાસ કરી રહ્યા હતા.

ઉત્તર પ્રદેશ સૅન્ટ્રલ શિયા વકફ બોર્ડના પૂર્વ ચૅરમૅન વસીમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર નારાયણ ત્યાગીની આ જ હેટ સ્પીચના કેસમાં ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી.

થોડા દિવસો પહેલાં સુપ્રીમ કોર્ટે હરિદ્વારમાં ધર્મસંસદમાં હેટ સ્પીચની ઘટનાની સ્વતંત્ર તપાસની માગને લઈને પટના હાઈકોર્ટનાં પૂર્વ જજ અંજના પ્રકાશ અને વરિષ્ઠ પત્રકાર કુરબાન અલી દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર ઉત્તરાખંડ અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી જવાબ માગ્યો હતો.

ભારતના ચીફ જસ્ટિસ એન.વી. રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠ સમક્ષ 22 જાન્યુઆરીએ આ કેસમાં ફરી સુનાવણી હાથ ધરાશે.

બીબીસી ટીમની ફરિયાદ પર ગુનો દાખલ

બીબીસીની ટીમ યતિ નરસિંહાનંદની સહમતિથી તેમના દ્વારા સમય નક્કી કરાયા બાદ હરિદ્વારના સર્વાનદઘાટ પર તેમનો ઇન્ટરવ્યૂ કરવા પહોંચી હતી.

જ્યારે તેમને હરિદ્વારમાં આયોજિત ધર્મસંસદમાં મુસલમાનો વિરુદ્ધ નફરતથી ભરેલી ટિપ્પણી (હેટ સ્પીચ) સાથે જોડાયેલા કેસ વિશે પૂછવામાં આવ્યું તો તેઓ ઉશ્કેરાઈ ગયા ગયા હતા.

બીબીસીના સંવાદદાતા તેમને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તેમણે પોતાના કોટમા લગાવેલું માઇક ઉતારીને ફેંકી દીધું હતું અને ઊંચા અવાજમાં બોલવા લાગ્યા હતા.

યતિ નરસિંહાનંદે માઇક હઠાવતાં જ ત્યાં હાજર કાર્યકર્તાઓએ બીબીસીની ટીમ સાથે ગાળાગાળી અને ધક્કા-મુક્કી શરૂ કરી દીધી હતી.

તેમણે ધમકીઓ આપી અને ટીમને ઘણા સમય સુધી જબરદસ્તી રોકીને રાખી. બીબીસીના રિપોર્ટરોની તલાશી લેવામાં આવી અને તેમને ધમકાવવામાં આવ્યા કે વીડિયો પ્રસારિત ન થવો જોઈએ.

એ બાદ પોલીસ આવી અને બીબીસીની લેખિત ફરિયાદના આધારે યતિ નરસિંહાનંદ અને તેમના સાથીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી.

આ ફરિયાદ ચાર કલમો - 341 (ગેરકાયદેસર રીતે બળજબરીપૂર્વક રોકવા), 352 (ઉશ્કેરણી વગર હુમલો), 504 (અપમાન, ગાળાગાળી, શાંતિભંગ) અને 506 (ધમકી આપવી) અંતર્ગત દાખલ કરવામાં આવી છે.

કોણ છે યતિ નરસિંહાનંદ?

હરિદ્વારમાં યોજાયેલી ધર્મસંસદ દરમિયાન અલ્પસંખ્યક મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ અપાયાં હતાં. યતિ નરસિંહાનંદ પહેલાં પણ પોતાનાં નિવેદનો અને કામગીરીઓને લઈને વિવાદોમાં રહી ચૂક્યા છે.

તેમના પર પયગંબર મહંમદ વિરુદ્ધ અપમાનજનક ભાષા અને મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણીને દુભાવવાના પણ આરોપ લાગેલા છે.

મહંત યતિ નરસિંહાનંદ ગાઝિયાબાદના ડાસનાના એ દેવીમંદિરના મહંત છે, જ્યાં ગયા વર્ષે 11 માર્ચે નળથી પાણી પીવાના કારણે એક મુસ્લિમ બાળક આસિફને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો અને એ ઘટનાનો વીડિયો બનાવીને વાઇરલ કરવામાં આવ્યો હતો.

બાદમાં મહંત યતિ નરસિંહાનંદે કહ્યું હતું કે તેમને આ ઘટના પર કોઈ અફસોસ નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો