You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટી-20 ટુર્નામેન્ટ : વિરાટ કોહલીએ કૅપ્ટનપદ છોડીને લખ્યો 'ભાવુક સંદેશ'
ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડકપના સેમિફાઇનલ સુધી પણ નથી પહોંચી શકી અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
પોતાના છેલ્લા ગ્રૂપ મૅચમાં ભારતે નામિબિયાને નવ વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ ટી-20 કૅપ્ટન તરીકે વિરાટ કોહલીની ઇનિંગ પણ સમાપ્ત થઈ ગઈ.
વર્લ્ડકપ પહેલાં જ કોહલીએ જાહેરાત કરી દીધી હતી કે તેઓ ટી-20નું કૅપ્ટનપદ છોડી દેશે.
મૅચ પછી યોજાયેલી પત્રકારપરિષદમાં કોહલીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય ટી-20નું કૅપ્ટનપદ છોડવા માટેનો આ સૌથી સારો સમય હતો.
કોહલીએ કહ્યું, "સૌ પહેલાં તો હું રાહત અનુભવી રહ્યો છું. ચીજોને તેના યોગ્ય પરિપેક્ષ્યમાં ગોઠવવી રહી."
વર્લ્ડકપમાં ભારતીય ટીમ સેમિફાઇનલ સુધી પણ ન પહોંચી શકી, તે માટે કોહલીની ટીકા થઈ રહી છે.
આમ તો કોહલીએ કૅપ્ટન તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન અનેક યાદગાર વિજય અપાવ્યા છે, પરંતુ કૅપ્ટન તરીકે તેઓ કોઈ આઈસીસી ખિતાબ અપાવી નથી શક્યા.
કોહલીએ કહ્યું હતું કે કામના દબાણને મૅનેજ કરવાનો આ યોગ્ય સમય છે. તેમણે કહ્યું છે છ-સાત વર્ષ દરમિયાન અનેક ક્રિકેટ મૅચ રમાયા છે અને જ્યારે તમે મેદાન ઉપર ઊતરો, ત્યારે તે તમારી પાસેથી ઘણું બધું લઈ લે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિરાટ કોહલીએ કહ્યું કે ટીમના ખેલાડીઓ સાથે તેમનો સમય સારી રીતે પસાર થયો છે.
કોહલીએ કહ્યું, "ટીમ તરીકે અમે સારું પ્રદર્શન કર્યું છે. મને ખ્યાલ છે કે ટીમ તરીકે વર્લ્ડકપમાં અમે આગળ સુધી જઈ નથી શક્યા, પરંતુ ટી-20માં સારાં પરિણામ મળ્યાં અને સાથે મળીને રમવામાં આનંદ આવ્યો."
કોહલીએ કહ્યું, "ટી-20 ક્રિકેટ એ માર્જિન ગૅમ છે. તમે પહેલી બે મૅચમાં બે ઓવરની વાત કરો છો અને પરિસ્થિતિ પલટાઈ શકે છે. પરંતુ મેં અગાઉ પણ કહ્યું તેમ અમે એટલા નિડર ન હતા. અમે એવી ટીમ નથી કે જે ટોસનું બહાનું આપે."
કોહલીએ હેડ કૉચ રવિ શાસ્ત્રી તથા સપૉર્ટ સ્ટાફનો પણ આભાર માન્યો હતો. કૉચ તરીકે રવિ શાસ્ત્રીની પણ છેલ્લી મૅચ હતી. હવે રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના કૉચ તરીકે જવાબદારી સંભાળશે.
જ્યારે કોહલીના પૂછવામાં આવ્યું કે ખેલાડી તરીકે મેદાન ઉપર તેઓ એવો જ જોશ દેખાડશે, ત્યારે કોહલીએ કહ્યું, "એ ક્યારેય બદલાશે નહીં. જો હું એમ ન કરી શકું, તો હું ભવિષ્યમાં ક્યારેય રમી નહીં શકું. પહેલાં હું કૅપ્ટન ન હતો. હું હંમેશાં એ જોઈને ઉત્સાહિત રહેતો હતો કે ગૅમમાં શું થઈ રહ્યું છે."
કોહલીએ કહ્યું, 'હું માત્ર મેદાન ઉપર ઊભો રહું અને કશું ન કરું, એવું બની ન શકે.'
બધાનો આભાર માન્યો
કૅપ્ટન તરીકે પોતાની છેલ્લી મૅચ બાદ કોહલીએ ટ્વિટર પર એક મૅસેજ લખીને લોકોનો આભાર માન્યો હતો.
તેમણે ટ્વિટર ઉપર લખ્યું, "અમે બધા સાથે મળીને લક્ષ્યને હાંસલ કરીએ છીએ. દુર્ભાગ્યથી આ વખતે અમે ચૂકી ગયા. એક ટીમ તરીકે અમારાથી વધુ કોઈ નિરાશ ન હોય શકે. તમે બધાએ ખૂબ સારું સમર્થન આપ્યું, તે બદલ અમે તમારા આભારી છીએ. અમે દ્રઢતાપૂર્વક પુનરાગમન કરીશું અને શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું. જય હિંદ."
વિરાટ કોહલીએ 50 આંતરરાષ્ટ્રીય ટી-20 મૅચમાં ભારતની કપ્તાની કરી, જેમાંથી 32માં ભારત વિજયી રહ્યું અને 16માં પરાજય થયો. બે મૅચમાં કોઈ નિર્ણય આવ્યો ન હતો.
વિરાટ કોહલીએ એ વાતના અણસાર આપ્યા હતા કે રોહિત શર્મા ટી-20માં ભારતના આગામી કૅપ્ટન બની શકે છે.
તેમણે કહ્યું, "મને લાગે છ કે ટીમને આગળ ધપાવવા માટે અન્ય ખેલાડીઓનો સમય આવી ગયો છે. સ્વાભાવિક છે કે રોહિત શર્મા અહીં છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ ચીજોને જોઈ રહ્યા છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો