T-20 World Cup : 'જો ખેલાડી દેશ માટે રમવાના બદલે IPLને વધુ મહત્ત્વ આપે તો શું કહીએ' - સોશિયલ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

BCCIએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાના મૅન્ટર બનાવ્યા હતા, પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો.

ટીમ ઇન્ડિયા માત્ર 4 મૅચ રમીને ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ છે. 2012ના ટી-20 વર્લ્ડકપ બાદ આવું પહેલી વખત થયું છે કે ભારતીય ટીમ કોઈ ICC ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં સ્થાન મેળવી શકી ન હોય.

ટી-20 વર્લ્ડકપમાં ન્યૂઝીલૅન્ડની ટીમે અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવી દીધું હતું. આ જીતની સાથે ન્યૂઝીલૅન્ડની ટીમ સેમિફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે.

જોકે ટીમ ઇન્ડિયાએ હજુ પોતાની છેલ્લી મૅચ નામિબિયા સામે રમવાની છે, જેમાં જીતવાથી પણ તેને કોઈ ફાયદો થવાનો નથી.

ટી-20માં ભારતના પ્રદર્શન મુદ્દે પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન કપિલ દેવે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

અહેવાલો પ્રમાણે કપિલ દેવે કહ્યું છે, "મને લાગે છે કે IPL અને વર્લ્ડકપ વચ્ચે અંતર હોવાની જરૂર હતી. પણ જો ખેલાડી દેશ માટે રમવાના બદલે IPLને વધારે મહત્ત્વ આપે તો શું કહી શકીએ? ખેલાડીએ દેશ માટે રમવા અંગે ગર્વ લેવું જોઈએ."

ભારતનું સેમિફાઇનલનું સપનું તૂટ્યું તો લોકોએ શું કહ્યું?

ભારતના ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થવા પર ટ્વિટર પર લોકોએ અલગઅલગ પ્રતિક્રિયાઓ આપી છે.

આ લોકોમાં પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ પણ સામેલ છે જેમણે ટ્વીટ કરીને ટી-20 વર્લ્ડકપ વિશે પ્રતિક્રિયા આપી.

બીજી તરફ પૂર્વ ઓપનર વસીમ ઝાફરે ટ્વિટર પર એક બોલીવૂડ ફિલ્મનું મીમ શૅર કર્યું, જેમાં ભારત અને અફઘાનિસ્તાન એક સાઇકલ પર જોવા મળી રહ્યા છે અને પાછળથી સાઇકલ ન્યૂઝીલૅન્ડ લઈને નીકળી જાય છે. તેનો મતલબ કે બંને ટીમ ખાલી હાથે રહી જાય છે, જેવું વિશ્વકપમાં થયું.

આઈપીએલની દિલ્હી કૅપિટલ્સ ટીમે પણ મીમ શૅર કર્યું અને આ રીતે મજાક કરી.

મહવિશ નામના ટ્વિટર યૂઝરે લખ્યું છે, "પોતાનું ભવિષ્ય બીજાના હાથમાં આપવાથી સારું પરિણામ મળતું નથી."

સંજય નામના યૂઝરે કંઈક આવી મજાક કરી.

હક્સેવેલ્લા નામના ટ્વિટર યૂઝરે લખ્યું, "ત્રણ રવિવાર સુધી મૅચ જોયા બાદ હું બહુ દુખી થઈ ગયો."

સોની નામના ટ્વિટર યૂઝરે લખ્યું, "ભારત બહાર થઈ ગયું? ઠીક છે. પણ મારું બ્લડપ્રેશર ચોક્કસ વધી જશે જો ઇંગ્લૅન્ડ આ વર્લ્ડકપ જીતશે. ન્યૂઝીલૅન્ડ મને તેનાથી બચાવે."

બલરામ નામના ટ્વિટર યૂઝરે આ રીતે મજાક ઉડાવી.

કોઈએ તો વિરાટ કોહલીને પનૌતી પણ કહી દીધા.

કેટલાક લોકો એવા પણ છે જેમણે ભારતની હાર પર તેમનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કર્યો છે.

આકાશ સ્પાર્ક્સ નામના ટ્વિટર યૂઝર લખે છે, "જીત કે હાર, હું હંમેશાં મારી ટીમ અને મારા દેશને સમર્થન કરીશ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો