કોરોના વાઇરસ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 હજારથી વધુ કેસ, 81નાં મૃત્યુ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના વધુ 8,152 કેસ નોંધાયા છે.

તેમજ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 81 દર્દીઓનાં કોરોનાને કારણે મૃત્યુ થયાં છે.

આ સાથે જ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ થનારા દર્દીઓની સંખ્યા 5076 થઈ ગઈ છે.

રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ (કૉર્પોરેશન)માં 27, સુરત (કૉર્પોરેશન)માં 25 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણની અખબારીયાદી મુજબ છેલ્લા 24 કલાકમાં 3,023 દર્દીઓ કોરોના વાઇરસથી સાજા થયા છે.

તેમજ અત્યાર સુધીમાં રાજ્યમાં 3,26,394 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોના વાઇરસથી સાજા થવાનો દર હાલમાં 86.86 ટકા છે.ગુજરાતમાં દિવસેદિવસે કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે.

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ મોકૂફ

મુખ્ય મંત્રીના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા કોવિડની વર્તમાન સ્થિતિને પગલે મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ મોકૂફ, નવી તારીખો જાહેર કરાશે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 15 મેના રોજ સમીક્ષા બાદ નવી તારીખો અંગે નિર્ણય જાહેર કરાશે.

સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે કે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસ મળી રહે, એ પ્રમાણે આયોજન કરવામાં આવશે.

આ સાથે જ ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે.

દિલ્હીમાં શનિ-રવિવારે કર્ફ્યુ

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે દિલ્હીમાં વીકૅન્ડ કર્ફ્યુ લાદવામાં આવશે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વીકૅન્ડ કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી છે.

તેમણે ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે દિલ્હીમાં કોરોનાની ચોથી લહેર ખૂબ જ ગંભીર છે અને કેસ સતત વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખતા અમારે કડક નિર્ણયો લેવા પડ્યા છે.

તેમણે દિલ્હીવાસીઓને સંબોધતાં કહ્યું કે દિલ્હીમાં કોવિડ બેડ્સની કોઈ કમી નથી.

તેમણે કહ્યું કે દિલ્હીમાં આજે પણ પાંચ હજારથી વધારે બેડ ઉપલબ્ધ છે અને એને વધારવાના પ્રયાસો સરકાર કરી રહી છે.

શું ખૂલું રહેશે? શું બંધ?

મૉલ, જિમ, સ્પા, ઑડિટોરિયમ બંધ રાખવાના નિર્દેશ કરવામાં આવ્યા છે.

સિનેમાગૃહો 30 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

રેસ્ટોરાંમાં બેઠીને ખાવાની પરવાનગી નહીં મળે.

જે લગ્નો નક્કી થઈ ગયાં છે, એ બંધ રાખવામાં નહીં આવે. તેમને પાસ આપવામાં આવશે.

જે લોકો હજી પણ માસ્ક વગર ફરે છે, તેમની સામે કડકાઈ દેખાડવામાં આવશે.

ભારતમાં કોરોના સંક્રમણ : દર કલાકે 8364 લોકો કોરોના સંક્રમિત, 24 કલાકમાં બે લાખ કેસ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 2,00,739 કેસ નોંધાયા છે અને 1,038 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ સાથે કુલ કેસની સંખ્યા 1,40,74,564 થઈ ગઈ છે અને કુલ મૃતકાંક એક લાખ 73 હજારને પાર છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રસીકરણની સ્થિતિ જોઈએ તો ભારતમાં 11 કરોડ 44 લાખ લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

બુધવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના 1,84,372 નવા કેસ નોંધાયા હતા.

આ સાથે મૃતકાંક એક લાખ 72 હજારને પાર હતો, જ્યારે દેશના કુલ ઍક્ટિવ કેસની સંખ્યા 13 લાખ 65 હજારને પાર હતી.

અમદાવાદ સિવિલ હૉસ્પિટલ બહાર ઍમ્બ્યુલન્સની લાંબી કતારો

અમદાવાદના સિવિલ હૉસ્પિટલ બહાર ઍમ્બ્યુલન્સની લાંબી લાઇનો હજી પણ લાગી રહી છે.

સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં 108 ઇમર્જન્સી સેવાના વડા જણાવે છે કે ઍમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી રહી છી કારણકે વેઇટિંગ ટાઇમ વધતો જઈ રહ્યો છે.

તેઓ કહે છે કે છેલ્લા દસ દિવસથી ઇમર્જન્સી કેસનો ફ્લો વધ્યો છે, દરરોજ 4500 કેસ નોંધાઈ રહ્યા છે.

જે પૈકી મોટાભાગના કોવિડ દરદીઓ હોવાનું તેઓ જણાવે છે.

તેમનું કહેવું છે કે 60 વધારાની ઍમ્બ્યુલન્સ કાર્યરત્ કરવામાં આવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો