કોવિડ-19 : વાઇરસને કાબૂમાં લેવા સરકારના પ્રયાસો છતાં ગુજરાતમાં નવા કેસ 2400ને પાર

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યાં છે. ગુરુવારે ગુજરાત સરકાર દ્વારા જારી કરાયેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં વધુ, 2,410 નવા દર્દીઓ ઉમેરાયા હતા. મહામારી શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીનો આ સૌથી મોટો ઉછાળો છે.

નોંધનીય છે કે પાછલા એક મહિના કરતાં વધુ સમયથી ગુજરાતમાં સતત કોરોનાના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

એક સમયે 300થી પણ ઓછા થઈ ગયેલા નવા કેસોની સંખ્યા રાજ્યમાં કૂદકે ને ભૂસકે વધી રહી છે. તેમાં પણ રાજ્યનાં ચાર મોટાં મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાના નવા કેસોની પરિસ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ શહેરોમાં અમુક સમય પહેલાં ખાલી પડેલી હૉસ્પિટલની પથારીઓ હવે ઝડપથી ભરાવા લાગી છે.

ગુરુવારે કોરોના વાઇરસના કારણે રાજ્યમાં નવ લોકોનાં મૃત્યુ નોંધાયાં હતાં. ગુરુવારના વધારા બાદ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો ત્રણ લાખ નવ હજારને પાર કરી ગયો હતો. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં 4,528 લોકોનાં મૃત્યુ થઈ ચુક્યાં છે.

રાજ્યમાં સૌથી વધુ કેસોની વાત કરીએ તો ગુરુવારે અમદાવાદમાં સૌથી વધુ 626 નવા કેસો નોંધાયા હતા. જ્યારે સૌથી વધુ કેસોની બાબતમાં 615 નવા કેસો સાથે સુરત બીજા ક્રમે હતું. આ સિવાય વડોદરા અને રાજકોટમાં અનુક્રમે 363 અને 223 નવા કેસો નોધાયા હતા.

રાજ્ય સરકારે જારી કરાયેલા આંકડા અનુસાર હાલ રાજ્યમાં કુલ 12,996 ઍક્ટિવ કેસો છે. જે પૈકી 155 દર્દીઓ વૅન્ટિલેટર પર છે.

રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાઇરસ સામે રક્ષણ આપતી રસીના 53,68,002 પ્રથમ ડોઝ અપાઈ ચુક્યા છે. જ્યારે 6,97,680 લોકોને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે.

રાજ્યમાં પ્રતિબંધો વધારાયા

30 માર્ચના રોજ રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ લંબાવી દેવાનો નિર્ણય કર્યો હતો. નોંધનિય છે કે અગાઉ રાજ્ય સરકારે આ મહાનગરોમાં 31 માર્ચ સુધી રાત્રિના નવ વાગ્યાથી માંડીને સવારે છ વાગ્યા સુધીનો કર્ફ્યુ અમલમાં રહેશે તેવી જાહેરાત કરી હતી.

જેમાં હવે વધારો કરીને તેની સમયમર્યાદા 15 એપ્રિલ કરી દેવાઈ હતી.

રાજ્યમાં કોરોનાના કેસો થઈ રહેલા વધારાને જોતાં રાજ્ય સરકાર દ્વારા અન્ય રાજ્યો કે દેશોમાંથી આવતાં લોકો માટે રાજ્યમાં પ્રવેશવા માટે 72 કલાક પહેલા મેળવેલું આરટીપીસીઆર ટેસ્ટનો નૅગેટિવ રિપોર્ટ સાથે રાખવાનું ફરજિયાત બનાવાયું હતું.

આ સિવાય સ્થાનિક તંત્ર દ્વારા કોરોનાના દર્દીઓના વધારાને પહોંચી વળવા માટે વધુ હૉસ્પિટલો સાથે કરાર કરાયા છે. જેથી હૉસ્પિટલોમાં પથારીઓની બિનજરૂરી અછત ન સર્જાય.

સમગ્ર દેશની વાત કરીએ તો ભારતમાં મહિનાઓ પછી ફરી એક વાર 72 હજાર કરતાં વધુ નવા મામલા સામે આવ્યા હતા. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પાછલા 24 કલાકમાં નવા 2,790 કોરોનાના મામલા સામે આવ્યા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.