વિરાટ કોહલીએ હાર બાદ કહ્યું, 'મોટેરાની પીચ પર શું કરવું એ અમને ખબર નહોતી'

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

શુક્રવારે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટી20 મૅચમાં ભારતનો કારમો પરાજય થયો હતો.

ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં પ્રશંસાજનક પ્રદર્શન બાદ શરૂ થયેલી ટી20 મૅચની સિરીઝની પ્રથમ મૅચમાં શરૂઆતથી જ ભારતનું પ્રદર્શન નબળું રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ટેસ્ટ સિરીઝની શરૂઆત પણ ભારતીય ટીમની હાર સાથે થઈ હતી.

ધ હિંદુસ્તાના ટાઇમ્સના અહેવાલ પ્રમાણે કપ્તાન વિરાટ કોહલીએ પરાજય બાદ સ્વીકાર્યું હતું કે 'ભારત માટે સારો દિવસ નહોતો.'

વિરાટ કોહલીએ કહ્યું કે 'અમને પૂરતી ખબર નહોતી કે અમદાવાદની પીચ પર અમારે શું કરવાનું છે.'

તેમણે કહ્યું કે બૅટ્સમૅનોએ તેમની ભૂલો સ્વીકારવો જોઈએ અને આગામી મૅચમાં તાકાત સાથે પરત ફરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે આ મૅચની શરૂઆતથી જ ભારતીય ટીમનું પ્રદર્શન નબળું રહ્યું હતું અને વિરાટ કોહલી શૂન્ય પર જ આઉટ થઈ ગયા હતા.

જેના પગલે સોશિયલ મીડિયા પર તેઓ ટ્રોલ પણ થયા હતા.

ઉત્તરાખંડ પોલીસના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું, "હેલમેટ પહેરવો પૂરતો નથી! પૂરા હોશોહવાસમાં ગાડી ચલાવવી જરૂરી છે, નહીં તો કોહલીની જેમ તમે પણ ઝીરો પર આઉટ થઈ શકો છો."

'વિરાટ કોહલીએ નિરાશ કર્યા'

વરિષ્ઠ ખેલ પત્રકાર મનોજ ચતુર્વેદી બીબીસી હિંદી માટેના અહેવાલમાં લખે છે:

ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી છેલ્લા ઘણા વખતથી તેમની ક્ષમતાને અનુરૂપ પ્રદર્શન નથી કરી શકી રહ્યા, આ મૅચમાં પણ સ્થિતિ અલગ નહોતી.

તેમણે ટૉસ પછી કહ્યું કે આક્રમક પ્રદર્શન કરીશું પણ ના તો ટીમ એવું કરી શક્યા ના તો વિરાટ કોહલીના પ્રદર્શનમાં એવું વર્તાયું.

ઇંગ્લૅન્ડના ફાસ્ટ બૉલર્સ જોફરા આર્ચર અને માર્ક વુડને વિકેટની મદદ પણ મળી રહી હતી, જેના પગલે વિરાટ કોહલી એક પણ રન કરી ન શક્યા.

રાહુલની વિકેટ બાદ કોહલી દબાવમાં રશીદના બૉલ પર ખોટો શૉટ રમ્યા અને વિકેટ ગુમાવી દીધી, જેના પગલે ટીમ વધારે દબાણમાં આવી ગઈ.

ભારતે પહેલી પાંચ ઓવરમાં 20 રન કર્યા અને ત્યાર સુધીમાં ભારતના ત્રણ શરૂઆતી બૅટ્સમૅન વિકેટ ગુમાવી ચૂક્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો