કોરોના વાઇરસ : અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં શું છે મહામારીની સ્થિતિ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાત સરકારે ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂને બે અઠવાડિયા માટે વધારી લંબાવ્યો છે.

બીજી તરફ રાજ્યમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગુરુવારની સરખામણીએ શુક્રવારે 64 વધારે કેસ નોંધાયા હતા. ગુરુવારે રાજ્યમાં 424 કેસ નોંધાયા હતા, જ્યારે શુક્રવારે 460 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં 20 ફેબ્રુઆરીને શનિવારે નવા 258 કેસ નોંધાયા હતા. જેની સંખ્યા આ શુક્રવાર સુધીમાં 460એ પહોંચી છે.

ગુજરાતના પડોશી રાજ્યોમાં પણ ફરી કોરોના કેસની સંખ્યા વધી રહી છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં અનેક ડૉક્ટરોએ કોરોના વાઇરસના કેસ વધશે એવી ચેતવણી આપી હતી.

15 ફેબ્રુઆરીએ જ ઇન્ડિયન મેડિકલ અસૉસિયેશન, ગુજરાત પાંખના પૂર્વ પ્રમુખ ડૉ. બિપિન પટેલે કહ્યું કે, કોઈ પણ પક્ષની સભા થાય અને વિશ્વ આરોગ્ય સંગઠનની ગાઇડલાઇનનું પાલન ન થાય તો કોરોનાનો ફેલાવો થવાની સંભાવના ચોક્કસ રહેલી છે.

તેમણે વધુમાં કહ્યું કે આ જગ્યાઓએ લોકો માસ્ક પહેરતા નથી અને તેમના મેળાવડા પણ થાય છે તો આવી સ્થિતિમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી શકે છે.

અમદાવાદના જાણીતા ફિઝિશિયન ડૉ. પ્રવીણ ગર્ગે પણ બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે કોરોનાની સ્થિતિ કેટલી વકરશે તેનો ખ્યાલ હાલ આવે તેમ લાગી રહ્યું નથી. તે તો પંદર દિવસ કે મહિના પછી જ ખ્યાલ આવશે પરંતુ સ્થિતિ બગડવાની સંભાવના ચોક્કસ રહેલી છે તેમાં તમે ના ન કહી શકો.

તેમણે કહ્યું, જે પ્રકારે રાજકીય પક્ષોની રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન થતું નથી તે એક કારણ હોઈ શકે છે.

અમદાવાદના નવા બનેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ક્રિકેટ મૅચ શરૂ થઈ છે જેમાં દર્શકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. ડૉક્ટરોએ આને લઈને ચિંતા પણ વ્યક્ત કરી હતી. હાલ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં શું સ્થિતિ છે?

અમદાવાદમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ કૉર્પોરેશનની હદના વિસ્તારમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા સદી મારવાની નજીકમાં છે.

અમદાવાદમાં ગત 20 ફેબ્રુઆરીએ કોરોના વાઇરસના 45 કેસ નોંધાયા હતા. આ કેસની સંખ્યા 26 ફેબ્રુઆરીએ 99એ પહોંચી છે.

અમદાવાદમાં ઠેર ઠેર કોરોના વાઇરસના ડૉમને ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત સરકારની વેબસાઇટ અનુસાર અમદાવાદમાં ગઈ કાલે કોરોનાના 5619 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં છેલ્લાં પાંચ દિવસમાં કોરોના વાઇરસના કુલ 390 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં છેલ્લાં સાત દિવસમાં ત્રણ લોકોના મૃત્યુ પણ થયા છે. અમદાવાદમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 58423એ પહોંચી છે. જ્યારે હાલસુધીમાં 2255 લોકોના મૃત્યુ થયા છે.

અમદાવાદના ક્યાં ઝોનમાં કોરોના વાઇરસના કેટલાં કેસ નોંધાતા હતા તેની માહિતી પહેલાં આપવામાં આવતી હતી જે હવે બંધ કરી દેવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની પ્રેસનોટ અનુસાર અમદાવાદમાં હાલ 21 માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન આવેલા છે.

વડોદરામાં કોરોના વાઇરસની શું સ્થિતિ છે?

વડોદરા પણ અમદાવાદની જેમ કોરોના વાઇરસના કેસની સંખ્યા સદી મારવાની નજીક છે. વડોદરામાં નવા 99 કેસ ગઈ કાલે નોંધાયા છે.

વડોદરામાં 20 ફેબ્રુઆરીએ નવા કેસ 41 નોંધાયા હતા તેની સંખ્યા 26 ફેબ્રુઆરીએ 99એ પહોંચી છે.

વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનની વેબસાઇટ અનુસાર શહેરમાં હાલ ઍક્ટિવ કેસની સંખ્યા 579 છે. પરંતુ આ વેબસાઇટ અપડેટ કરવામાં ન આવી હોય તેવું લાગી રહ્યું છે. વડોદરામાં 22 ફેબ્રુઆરીથી લઈને 26 ફેબ્રુઆરી સુધીમાં કોરોના વાઇરસના કુલ 374 કેસ નોંધાયા છે.

સુરતમાં શું છે સ્થિતિ?

સુરતમાં 20 ફેબ્રુઆરીએ કોરોના વાઇરસના નવા 36 કેસ નોંધાયા હતા, જેની સંખ્યા 26 ફેબ્રુઆરીએ 68એ પહોંચી છે.

આમ સુરતમાં એક જ અઠવાડિયામાં 32 નવા કેસ નોંધાયા છે. સુરતમાં ઍક્ટિવ કેસની સંખ્યા 412એ પહોંચી છે.

સુરતમાં છેલ્લાં પાંચ દિવસમાં 313 કેસ નોંધાયા છે.

રાજકોટ શહેરમાં સ્થિતિ

રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હદ વિસ્તારમાં ગત 20 ફેબ્રુઆરીએ માત્ર જ 20 નવા કેસ નોંધાયા હતા. જેમાં વધારો જોવા મળ્યો છે.

26 ફેબ્રુઆરીએ નવા 55 કેસ નોંધાયા હતા. આમ રાજકોટમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા ઝડપથી વધવા લાગી છે.

રાજકોટ કૉર્પોરેશનની વેબસાઇટ અનુસાર 25 ફેબ્રુઆરી સુધીમાં રાજકોટમાં 141 ઍક્ટિવ કેસ છે. રાજકોટમાં 147 લોકના મૃત્યુ થયા છે.

ગામડાંઓમાં કેવી છે સ્થિતિ?

રાજકોટ ગ્રામ્યની વાત કરીએ તો ત્યાં 20 ફેબ્રુઆરીએ 5 કેસ નોંધાયા હતા જે 26 ફેબ્રુઆરીએ વધીને 12એ પહોંચ્યા છે.

ભાવનગર કૉર્પોરેશનના હદ વિસ્તારમાં 20 ફેબ્રુઆરીએ 3 કેસ નોંધાયા હતા. જે હવે 26 ફેબ્રુઆરી 12 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 20 ફેબ્રુઆરી જે કેસ નોંધાયા હતા તેની સંખ્યા 258 હતી. તે સમયે 142 કેસ રાજ્યના મોટા શહેરોમાં નોંધાયા હતા અને 116 કેસ બીજા જિલ્લાઓમાં નોંધાયા હતા.

રાજ્યમાં 26મી ફેબ્રુઆરીએ કુલ 460 કેસ નોંધાયા છે. તેમાંથી 321 કેસ તો રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નોંધાયા છે. જ્યારે બાકીના 139 કેસ રાજ્યના બીજા જિલ્લાઓ અને ત્રણ મ્યુનિસપલ કૉર્પોરેશનમાં નોંધાયા છે.

આમ રાજ્યોના ચાર મોટા શહેરોમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો