કોર્ટ મૅરેજમાં 30 દિવસની નોટિસ સ્વતંત્રતા વિરુદ્ધ, ફરજિયાત નથી : અલાહાબાદ હાઈકોર્ટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

અલાહાબાદ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં નોંધ્યું છે કે સ્પેશિયલ મૅરજ ઍક્ટ હેઠળ કોર્ટ મૅરેજ કરતાં યુગલો માટે સેક્શન છ અંતર્ગત નોટિસ પ્રકાશિત કરવી અને સેક્શન સાત અંતર્ગત વાંધા આમંત્રિત કરવા ફરજિયાત નથી.

દેશમાં અલગ અલગ ધર્મના યુગલો વચ્ચે થઈ રહેલા લગ્નમાં કથિત લવજેહાદની વાત ચાલે છે અને અનેક રાજયો તેને લગતો કાયદો ઘડી રહ્યા છે ત્યારે અલાહાબાદ હાઈકોર્ટનો આ ચુકાદો મહત્ત્વપૂર્ણ બની રહે છે.

અલગ અલગ ધર્મ અને જ્ઞાતિના યુગલો સ્પેશિયલ મૅરેજ ઍક્ટ હેઠળ લગ્ન કરતાં હોય છે અને અનેક કેસમાં 30 દિવસનો નોટિસનો સમય મહત્ત્વનો સાબિત થતો હોય છે. આંતરધર્મીય અને આંતરજ્ઞાતિય લગ્નોમાં ફરજિયાત નોટિસના સમયગાળાનો લાભ લઈ યુગલો પર સામાજિક, રાજકીય દબાણ કરાતું હોવાનું પણ અનેક વાર સામે આવ્યું છે.

લાઇવ લૉના અહેવાલ મુજબ જસ્ટિસ વિવેક ચૌધરીએ આ ચુકાદામાં નોંધ્યું કે આવી રીતે ફરજિયાત નોટિસ પ્રકાશિત કરવી તે વ્યક્તિની સ્વતંત્રતા અને પ્રાઇવેસીના મૂળભૂત હકને અવરોધે છે. આ સ્વતંત્રતામાં રાજ્ય કે અન્ય વ્યક્તિઓના અવરોધ વગરે લગ્ન કરવાની સ્વતંત્રતા પણ સમાવિષ્ટ છે.

સ્પેશિયલ મૅરેજ ઍક્ટ, 1954ના સેક્શન પાંચ અંતર્ગત વિવાહ કરવા ઇચ્છુક યુગલ માટે નોટિસ આપવાની જોગવાઈ છે.

અલાહાબાદ હાઈકોર્ટના નવા આદેશાનુસાર હવે વિવાહ કરવા માટે ઇચ્છતા યુગલે લેખિતમાં મૅરેજ રજિસ્ટ્રારને જાણ કરવાની રહેશે કે તેઓ સેક્શન છ અંતર્ગત આ નોટિસ પ્રકાશિત કરવા માગે છે કે કેમ?

આવી જ રીતે લગ્ન અંગે વાંધા આમંત્રિત કરવાની કાર્યવાહી પણ યુગલની મરજીથી થવી જોઈએ એમ અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું છે.

જસ્ટિસ ચૌધરીએ આ ચુકાદામાં નોંધ્યું કે, “જો વિવાહ કરવા ઇચ્છુક યુગલ લેખિતમાં આ નોટિસ પ્રકાશિત કરવા માટે કે વાંધા આમંત્રિત કરવા માટે મંજૂરી ન આપે તો રજિસ્ટ્રારે તેવું કરવું ન જોઈએ અને વિવાહને માન્યતા આપવાની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. જોકે, વિવાહ કરવા ઇચ્છુક યુગલ દ્વારા અપાયેલ કોઈ માહિતી અંગે પુરાવા રજૂ કરવા માટે રજિસ્ટ્રાર કહી શકે છે.”

કોર્ટ સમક્ષ કેવી રીતે આવ્યો આ મામલો?

હાઈકોર્ટે એક હેબિયસ કોર્પસ રીટ પિટિશનની સુનાવણી વખતે આ નિર્દેશ આપ્યા છે.

અલાહાબાદ હાઈકોર્ટમાં એક યુવતીને તેમની મરજી વિરુદ્ધ ગોંધી રાખવા અંગેની અરજીની સુનાવણી ચાલી રહી હતી. આ મામલામાં પ્રેમી યુવક-યુવતી અલગ અલગ ધર્મનાં છે.

આ યુગલે અદાલત સમક્ષ કહ્યું કે તેઓએ કોર્ટ મૅરેજ કરી લીધા હોત પરંતુ સ્પેશિયલ મૅરેજ ઍક્ટ, 1954ની જોગવાઈઓ પ્રમાણે તેમણે 30 દિવસ પૂર્વે નોટિસ પ્રકાશિત કરવાની હોય છે. અને જોગવાઈઓ પ્રમાણે નોટિસ પ્રકાશિત કર્યા બાદ સામાન્ય જનતા પાસેથી આ લગ્ન અંગે વાંધા આમંત્રિત કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે આ પ્રકારની જોગવાઈને કારણે તેમના પર બિનજરૂરી સામાજિક દબાણ પેદા થાય તેવો ભય હતો. તેમજ આ જોગવાઈઓ તેમના પ્રાઇવેસીના અધિકારનું હનન કરે છે.

કોર્ટે નોંધ્યું કે પર્સનલ લૉ અંતર્ગત થતાં લગ્નોમાં યુગલોએ આવી રીતે કોઈ નોટિસ આપવાની રહેતી નથી કે વાંધા આમંત્રિત કરવાની જરૂર નથી.

તેથી સ્પેશિયલ મૅરેજ ઍક્ટ અંતર્ગત થતાં લગ્નોમાં પણ આ પ્રકારની જોગવાઈઓથી કોઈ હેતુ સિદ્ધ થતો નથી.

યુગલ પોતાની મરજીથી પ્રકાશિત કરાવી શકે છે નોટિસ

કોર્ટે આ મામલાની સુનાવણીમાં આગળ નોંધ્યું કે, “વિવાહ કરવા ઇચ્છુક યુગલ પોતાની મરજીથી પોતાના પાર્ટનર અંગે વધુ માહિતી મેળવવા માટે નોટિસ પ્રકાશિત કરાવી શકે છે અને આગળની કાર્યવાહી અનુસરીને વાંધા પણ આમંત્રિત કરાવી શકે છે. પરંતુ તે માટે મૅરેજ ઑફિસરને લેખિતમાં પરવાનગી આપવાની જરૂર રહેશે.”

”આવી પરવાનગી આપ્યા બાદ નોટિસ પ્રકાશિત કરવાથી અને વાંધા આમંત્રિત કરવાથી પક્ષકારોના મૂળભૂત અધિકારોનું હનન નહીં થાય. તેથી સ્પેશિયલ મૅરેજ ઍક્ટના સેક્શન છ અને સાત અંતર્ગત કાર્યવાહીની પ્રકૃતિ મરજિયાત રહેશે ના કે ફરજિયાત.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો