You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલનનું ફેસબુક પેજ 'કિસાન એકતા મોરચા' સસ્પેન્ડ કરાયા બાદ ફરી શરૂ - BBC Top News
ખેડૂત આંદોલનને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે બનાવાયેલા 'કિસાન એકતા મોરચા'ના પેજને ફેસબુકે સસ્પેન્ડ કરી દેવાયું હતું, જોકે હવે આ પેજ ફરી શરૂ થઈ ગયું છે.
ફેસબુકનું કહેવું હતું કે 'કિસાન એકતા મોરચા'નું ઍકાઉન્ટ તેમના કૉમ્યુનિટી સ્ટાન્ડર્ડ્સનું પાલન નહોતું કરતું.
આ પછી @Kisanektamorcha ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરીને ફેસબુક વિરુદ્ધ રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ખેડૂત આંદોલનના સમર્થકોએ પણ ફેસબુકને ટેગ કરીને ટ્વિટર પર પોતાનો રોષ ઠાલવ્યો હતો.
'લહેરથી ચૂંટણી નથી જીતી શકાતી', અમિત શાહની પશ્ચિમ બંગાળમાં સલાહ
અમિત શાહે કોલકાતાની એક હોટલમાં શનિવારે રાત્રે મોડે સુધી ચાલેલી એક બેઠકમાં વિધાનસભાની ચૂંટણી વિશે વાત કરતાં કહ્યું પશ્ચિમ બંગાળમાં ભાજપની તરફેણમાં લહેર છે એવો ભરોસા હોવા છતાં હાથ પર હાથ ધરીને બેસી ન રહેવાય. બૂથના સ્તરે સંગઠનને મજબૂત કરવાની જરૂર છે.
કોલકાતાથી પ્રભાકર મણી તિવારી જણાવે છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. શાહે નેતાઓને ઘરે-ઘરે પહોંચીને જનસંપર્ક વધારવાનો નિર્દેશ આપ્યો છે.
બેઠકમાં હાજર એક વરિષ્ઠ નેતા જણાવે છે, "રાજનીતિમાં કોઈના પક્ષે ચાલતી લહેર હંમેશાં સાચી તસવીર રજૂ નથી કરતી. અમિત શાહ આ વાત સારી રીતે સમજે છે. એટલે એણના નિર્દેશ પર બૂથ સ્તરે સમિતિઓ બનાવવામાં આવી રહી છે."
શાહ હવે ચૂંટણી સુધી દર મહિને બંગાળની મુલાકાત લેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપના પ્રદેશાધ્યક્ષ દીલિપ ઘોષ કહે છે, "અમિક શાહ જાન્યુઆરીથી દર મહિને રાજ્યની મુલાકાત લેશે એટલું જ નહીં, તેઓ ઓછામાં ઓછા સાત દિવસ અહીં રહેશે."
જામનગરમાં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય
ગુજરાત સરકારના એક અધિકારીએ માહિતી આપતાં કહ્યું હતું કે ગુજરાતના જામનગર જિલ્લામાં પ્રાણી સંગ્રહાલય બનાવાશે. જે વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયો પૈકી એક હશે.
NDTV ડોટ કૉમના એક અહેવાલ અનુસાર શુક્રવારે મુખ્ય મંત્રી કાર્યાલયના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ પ્રાણી સંગ્રહાલય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિકસાવવામાં આવશે.
ASSOCHAM ફાઉન્ડેશન વીક અંતર્ગતે એક વર્ચ્યુઅલ કૉન્ફરન્સમાં તેમણે આ જાહેરાત કરી હતી.
તેમણે આ વિશે કહ્યું હતું કે, “જેમ આપણે બધા જાણીએ છીએ કે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી ગુજરાતમાં છે. તેમ પ્રાણીઓની સંખ્યા અને વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ટૂંક સમયમાં જામનગરમાં બનવા જઈ રહ્યું છે.”
સેન્ટ્રલ પ્રાણી સંગ્રહાલય ઑથૉરિટી દ્વારા અપલોડ કરાયેલ વિગતો અનુસાર આ નવા પ્રાણી સંગ્રહાલયનું નામ ‘ગ્રીન્સ ઝૂલોજિકલ રેસ્ક્યૂ ઍન્ડ રિહેબિલિટેશન કિંગડમ’ હશે, જે 250.1 એકરમાં ફેલાયેલું હશે.
ગુજરાત : 20 શહેરો અને 612 ગામડાંને પાણી પૂરું પાડતી પાઇપલાઇનના કામનું ઉદ્ઘાટન કરાયું
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ શનિવારે બુધેલથી બોરડા સુધીના પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર આ પ્રોજેક્ટ થકી ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથનાં 20 શહેરો અને 612 ગામડાંના 43 લાખ લોકો પાણી પહોંચાડવામાં આવશે.
આ પાઇપલાઇનનું કામ પૂરું થયા બાદ જૂન 2022 સુધીમાં ભાવનગરના તળાજા અને મહુવા, અમરેલીના જાફરાબાદ અને રાજુલા અને ગીર-સોમનાથ જિલ્લાના ઉના અને કોડિનાર તાલુકા વૉટર ગ્રીડ સાથે જોડાઈ જશે.
ભવિષ્યમાં આ વૉટર ગ્રીડ મારફતે સોમનાથ મંદિરમાં શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.
‘કોરોનાની રસી માટે 12 દેશોએ ભારતનો સંપર્ક સાધ્યો’
શનિવારે કોવિડ-19 અંગેની હાઇ-લેવલ ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ મિટિંગ દરમિયાન નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પૉલે કહ્યું કે ભારતને કોરોના વાઇરસની રસી માટે 12 દેશો પાસેથી વિનંતી મળી છે.
હિંદુસ્તાન ટાઇમ્સ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે આ બેઠક દરમિયાન ડૉ. પોલે ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સને ભારતમાં ટ્રાયલ હેઠળ રહેલી રસીઓ, તેમના ઉત્પાદકો, ડોઝની ઉપલબ્ધતા અને સ્ટૉરેજ કંડિશન વિશે માહિતી આપી. આ સિવાય તેમણે રસી ઉપલબ્ધ થઈ જશે ત્યારે કોને પ્રાથમિકતા અપાશે તે અંગે પણ માહિતી આપી.
અહીં નોંધનીય છે કે ડૉ. પૉલના અધ્યક્ષસ્થાને રચાયેલ નૅશનલ એક્સપર્ટ ગ્રૂપ ઓન વૅક્સિન ઍડમિનિસ્ટ્રેશ ફોર કોવિડ-19 (NEGVAC)એ રસી ઉપલબ્ધ થાય ત્યારે એક કરોડ હેલ્થકૅર સ્ટાફ, બે કરોડ ફન્ટ લાઇન વર્કરો અને અન્ય માંદગીઓ ધરાવતી 50 વર્ષ કરતાં વધુ વય ધરાવતી વ્યક્તિઓને પ્રથમ અપાશે તેવી ભલામણ કરી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો