મુસ્લિમ-હિંદુ કપલને બજરંગદળે રોક્યું, યુવકને મોકલાયો જેલ - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં શનિવારે આંતરધાર્મિક લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા જઈ રહેલા એક યુગલને બજરંગદળના કાર્યકર્તાઓએ રોકી લીધું અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા.

અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઇમ્સ અનુસાર ઉત્તર પ્રદેશ વિધિ વિરુદ્ધ ધર્મ સંપરિવર્તન નિષેધ વટહુકમ-2020ના ભાગ-3 અંતર્ગત રાશિદ અને તેમના ભાઈ સલીમ પર મામલો દાખલ કરી તેમને જેલ મોકલી દેવામાં આવ્યા છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં ભગવો ગમછો બાંધેલા બજરંગદળના કાર્યકર્તા મહિલાને પોલીસ સ્ટેશનમાં સવાલો કરી રહ્યા છે.

એક કાર્યકર્તા મહિલાને પૂછી રહ્યો છે, "અમને ડીએમની મંજૂરી બતાવો કે તું તારો ધર્મ બદલી શકે છે."

બીજી વ્યક્તિએ પૂછ્યું, "શું તે નવો કાયદો વાંચ્યો છે કે નહીં"

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે કાંઠ પોલીસ સ્ટેશન પર રેકૉર્ડ કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવતી નિકાહનામાની એક કૉપી બતાવી રહી છે, જેમાં તેનું મુસ્લિમ નામ છે અને એ રીતરિવાજથી જ તેમણે લગ્ન કર્યાં છે.

યુવતી પુરાવા તરીકે અખબારમાં છપાયેલી જાહેરાત પણ બતાવી રહી છે જેમાં તેમણે પોતાનું નામ બદલ્યું છે. ઉત્તર પ્રદેશનો જે નવો કાયદો પસાર થયો છે તેમાં લગ્ન માટે ધર્મપરિવર્તનને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે પરંતુ આ યુવતીનાં લગ્ન નવા કાયદા પહેલાં થયાં હતાં.

કાંઠ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અજય ગૌતમે કહ્યું કે યુવતીનાં માતાની ફરિયાદ બાદ રાશિદ અને તેમના ભાઈ સલીમ વિરુદ્ધ મામલો દાખલ કરવામાં આવ્યો છે. યુવતીનાં માતાનો આરોપ છે કે રાશિદે તેમની પુત્રી સામે પોતાની સાચી ઓળખ છુપાવી હતી અને તે હવે પોતાની પુત્રી પર ધર્માતરણનું દબાણ કરી રહ્યો હતો.

જોકે, વાઇરલ વીડિયોમાં 22 વર્ષની યુવતીનું કહેવું છે કે પાંચ મહિના પહેલાં તેણે લગ્ન કર્યાં હતાં અને તેનું રજીસ્ટ્રેશન કરાવવા માટે કોર્ટમાં આવી હતી.

જોકે, હજી સુધી એ સાફ નથી થયું કે યુવતીએ પોતાનો ધર્મ બદલ્યો છે કે નહીં.

ભારત બંધ એલાનને રાજકીય પાર્ટીઓનું સમર્થન

દેશની રાજધાની દિલ્હીની બહાર સરહદે ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમગ્ર દેશમાંથી સમર્થન મળી રહ્યું છે.

હાલમાં ખાસ કરીને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના ખેડૂતો નવા કૃષિકાયદાના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે.

કેન્દ્ર સરકાર સાથે ખેડૂતોની વાતચીત થયા બાદ પણ આ મામલો કોઈ નીવડો આવ્યો નથી.

ખેડૂતો દ્વારા આઠ ડિસેમ્બરે ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર આ બંધ એલાનને કૉંગ્રેસ સહિત અનેક પાર્ટીઓએ સમર્થન આપ્યું છે.

ખેડૂતોને કૉંગ્રેસ સહિત તૃણમૂલ કૉંગ્રેસ, રાષ્ટ્રીય લોક દળ, રાજદ, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (રાલોસપા) અને સપાએ પણ સમર્થન આપ્યું છે.

ઑલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કો-ઑર્ડિનેટર કમિટી હેઠળ આપેલા બંધમાં ભારતભરના 400થી વધુ ખેડૂત સંગઠનો સામેલ છે.

કોરોનાને કારણે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં રાત્રી કર્ફ્યુ લંબાઈ શકે

ગુજરાતમાં હાલમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે અને સંક્રમણને કાબૂમાં લેવા તંત્ર પણ કામ લાગેલું જણાય છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં લાગુ કરાયેલો રાત્રી કર્ફ્યુ લંબાઈ શકે છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના હવાલાથી ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ લખ્યું કે રવિવારે પોલીસ અને સરકારી અધિકારીઓ વચ્ચે ઔપચારિક બેઠક થઈ હતી અને તેમાં આ મહિનાના અંત સુધી અથવા કોવિડ-19ની સ્થિતિ ન સુધરે ત્યાં સુધી રાત્રી કર્ફ્યુ લંબાવવાની સંભાવના પર ચર્ચા કરી હતી.

સૈફ અલી ખાને નિવેદન પર માફી માગી

ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાને પૌરાણિક ચરિત્ર રાવણ પર કરેલી એક ટિપ્પણીને લઈને માફી માગી છે.

તેઓએ કહ્યું કે તેમનો ઇરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.

સૈફ અલી ખાન ફિલ્મ 'આદિપુરુષ'માં રાવણનો રોલ નિભાવી રહ્યા છે અને અભિનેતા પ્રભાષ ભગવાન રામનો.

તેઓએ પોતાના રોલ પર બોલતા એક અખબારને કહ્યું હતું, "એક રાક્ષસ રાજાનો રોલ નિભાવવો રસપ્રદ છે, પણ તેમાં આ ઓછો કઠોર છે. અમે તેને દયાળું બતાવીશું, જેમાં મનોરંજન પણ હશે અને એ પાત્ર સીતાના અપહરણનું યોગ્ય કારણ જણાવશે કે યુદ્ધ રામની સાથે બદલો લેવાને કારણે થયું, કેમ કે લક્ષ્મણે તેમની બહેન શૂર્પણખાનું નાક કાપ્યું હતું."

આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયામાં સૈફ અંગે ઘણું બધું લખવામાં આવ્યું હતું. કેટલાકે તેને હિન્દુત્વનું અપમાન પણ ગણાવ્યું હતું.

બાદમાં સૈફ અલી ખાને કહ્યું, "મને ખબર છે કે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આપેલું મારું નિવેદન વિવાદનો વિષય બન્યું છે અને તેનાથી લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. મારો એવો કોઈ ઇરાદો નહોતો કે આવું કહેવાનો કોઈ મતલબ હતો. હું ઈમાનદારીથી બધાની માફી માગવા ઇચ્છું છે અને પોતાનું નિવેદન પરત લેવા માગું છું."

અમદાવાદમાં લાગેલી આગમાં 28 દુકાનો ઝપેટમાં

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામશિખર કૉમ્પલેક્સમાં આગ લાગી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ફાયરના અધિકારીએ જણાવ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે આવેલી ઝવેરાત, ખાણીપીણી, ઇલેક્ટ્રિક ઉપકરણો સહિતની કુલ 28 દુકાનોને નુકસાન થયું હતું.

ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, વહેલી સવારે અંદાજે છ વાગ્યા આસપાસ ચાની દુકાન પર રાખેલા ગેસ સિલિન્ડરને કારણે આગ લાગી હોવાની શક્યતા છે અને પછી આ આગ ગ્રાઉન્ડ ફ્લોર અને અન્ય દુકાનોમાં ફેલાઈ હતી.

જોકે આ આગ લાગી એ સમયે મોટા ભાગની દુકાનો બંધ કરાઈ દેવાઈ હતી.

આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું નોંધાયું નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો