બંગાળની ખાડીમાં સર્જાયું વાવાઝોડું, ગુજરાતને કેટલું જોખમ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન 'નિવાર' સર્જાયું છે. આ વાવાઝોડું આગામી 24 કલાકમાં ચેન્નાઈ અને પુડ્ડુચેરી સમેત તામિલનાડુ અને આંધ્ર પ્રદેશના તટો પર ટકરાઈ શકે છે.

'સ્કાયમેટ વેધર'ના અહેવાલ અનુસાર, હિન્દ મહાસાગરમાં ભૂમધ્ય રેખા અને તેની પાસે દક્ષિણ-મધ્ય બંગાળની ખાડી પાસે વાવાઝોડું ડિપ્રેશનની ક્ષમતામાં આવી ગયું છે.

આ ડિપ્રેશન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાં ભારતના પૂર્વ તટ તરફ આગળ વધી રહ્યું છે. ડિપ્રેશનની અસરથી સાગરકિનારે હલચલ વધી ગઈ છે.

તટીય વિસ્તારોમાં તેજ ગતિથી પવન ફુંકાવા લાગ્યો છે અને ઘનઘોર વાદળો દેખાવાં લાગ્યાં છે.

'સ્કાયમેટ વેધર'ના અહેવાલ પ્રમાણે બંગાળની ખાડીમાં એક હળવું દબાણ સર્જાયું છે.

વર્ષ 2020ના મૉન્સૂન બાદ બંગાળની ખાડીમાં સર્જાયેલા આ પહેલા તોફાનને 'નિવાર' નામ અપાયું છે.

વર્તમાન સ્થિતિને જોતાં અનુમાન છે કે આ 25 નવેમ્બર આસપાસ પુડ્ડુચેરી અને કરાઈકલ વચ્ચે લૅન્ડફૉલ કરશે.

આજે અને કાલે તામિલનાડના દક્ષિણ તટીય વિસ્તારોમાં ભારે વરસાદ થશે અને 25 નવેમ્બરે વરસાદનાં કેન્દ્રો બદલાઈ જશે.

ગુજરાતને અસર?

વર્તમાન સ્થિતિને જોતાં આ સિસ્ટમ પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. જોકે, ગુજરાતને એનું કોઈ જોખમ નથી.

એવું અનુમાન છે કે આ તોફાન પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધતાં 25 નવેમ્બરે તામિલનાડુનાં ચેન્નાઈ અને કરાઈકલ વચ્ચેથી લૅન્ડફૉલ કરશે.

આ પોતાની સાથે તટીય જિલ્લાઓમાં તબાહી લઈને આવી રહ્યું છે. તામિલનાડુના તટીય ભાગો અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટીય જિલ્લાઓમાં 23થી 26 નવેમ્બર વચ્ચે ભારે વરસાદ થવાની શક્યતા છે.

આ બધા વિસ્તારોમાં વાદળો દેખાવાં લાગ્યાં છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિઓ પણ શરૂ થઈ ગઈ છે.

શ્રીલંકામાં પણ મધ્યમથી ભારે વરસાદ થઈ રહ્યો છે.

ચેન્નાઈ સમેત ઉત્તર તટીય તામિલનાડુનાં શહેરો અને દક્ષિણ તટીય આંધ પ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદ થશે.

આ દરમિયાન ચેન્નાઈ પુડ્ડુચેરી તિરુપતિ નેલ્લોરમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ 25 અને 26 નવેમ્બરે અહીં મુશળધાર વરસાદની શક્યતા છે.

પંબન રામનાથપુરમ કરાઈકલ પુડુક્કોત્તઈ નાગાપટનમ તંજાવુર અને કુડ્ડાલોરમાં પણ તોફાન ભારે વરસાદ સાથે પૂર લઈને આવી રહ્યું છે.

'સ્કાયમેટ વેધર' અનુસાર, આ સિસ્ટમની અસર ભારતના પૂર્વીય તટ પર જોવા મળી રહી છે. સૌથી વધુ ફેરફાર તામિલનાડુમાં જોવા મળશે.

રાજ્યનાં તટીય શહેરો ચેન્નાઈથી લઈને કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ, કુડ્ડાલોર, પુડ્ડુચેરી પર સૌથી વધુ અસર જોવા મળશે.

તામિલનાડુનાં તટીય શહેરોમાં પંબનથી લઈને ચેન્નાઈ વચ્ચે 24 અને 25 નવેમ્બરે ભારે વરસાદ સાથે તોફાની પવનની શક્યતા છે.

આ દરમિયાન તટીય શહેરોમાં ઘણી જગ્યાએ પૂરની પણ આશંકા છે અને ભારે વરસાદ પણ પડી શકે છે.

બંગાળની ખાડીના દક્ષિણ મધ્ય ભાગોથી લઈને દક્ષિણ-પશ્ચિમ ભાગ સુધી સાગરમાં હલચલ વધુ હશે, જેનાથી માછીમારો સમેત દરિયાઈ ગતિવિધિઓને ચાર-પાંચ દિવસ સુધી સ્થગિત રાખવા માટેની ચેતવણી પણ આપવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો