ગુજરાતમાં દિવાળીટાણે કોરોનાનો પ્રકોપ વધ્યો - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

દિવાળીના સમયમાં ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

છેલ્લા એક દિવસમાં ગુજરાતમાં કોવિડ-19ના 1100થી વધુ પૉઝિટિવ કેસ જોવા મળ્યા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, અમદાવાદ જિલ્લામાં 200થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 190 કેસ નોંધાયા છે.

એટલે ગ્રામીણ હદ વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થયો છે.

શુક્રવારે રાજ્યમાં કોરોનાને કારણે છ દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 1078 દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે દિવાળી આવતી હોવાથી ડૉક્ટરો પણ કોરોનાને લઈને લોકોને ચેતવણી આપી રહ્યા છે.

તસલીમા નસરીને મુનવ્વર રાણાને આતંકવાદી ગણાવ્યા

લેખક તસલીમા નસરીને મુનવ્વર રાણાને પ્રગતિશીલ શાયર નહીં પણ આતંકવાદી ગણાવ્યા છે.

જનસત્તાના અહેવાલ અનુસાર તસલીમા નસરીને આ ટિપ્પણી મુનવ્વર રાણાના એ નિવેદન બાદ કરી છે, જેમાં તેઓએ કહ્યું હતું કે જો તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ હોત તો એ કાર્ટૂનિસ્ટને ફાંસીની સજા આપી દેત જેણે પેગંબર મોહમ્મદનું કાર્ટૂન બનાવ્યું હતું.

તસલીમા નસરીને કહ્યું કે મુનવ્વર રાણા હત્યારાનું સમર્થન કરે છે અને તેઓ શાયર નથી, આતંકવાદી છે.

ઉલ્લેખનીય છે કે ફ્રાંસમાં પેગંબર મોહમ્મદનાં કાર્ટૂન બતાવ્યાં બાદ એક શિક્ષકની હત્યા કરી દેવાઈ હતી. જે બાદ મુનવ્વર રાણાએ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ તેમના પિતા કે તેમનાં માતાનું ગંદું કાર્ટૂન બનાવશે તો તેમને મારી નાખશે.

શાયર મુનવ્વર રાણાના આ નિવેદન બાદ ઉત્તર પ્રદેશમાં તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશમાં એક પત્રકારનો મૃતદેહ મળી આવ્યો

ઉત્તર પ્રદેશમાં એક પત્રકાર રેલવે ટ્રેક પરથી મૃત હાલતમાં મળી આવ્યા છે. પત્રકારના પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, 25 વર્ષીય પત્રકારનો મૃતદેહ ઉન્નાવ જિલ્લાના કોટવાલી શહેર વિસ્તારમાં ગુરુવારે સાંજે મળી આવ્યો હતો.

ઉન્નાવ પોલીસ અધીક્ષક સુરેશરાવ એ. કુલકર્ણીના હવાલાથી લખવામાં આવ્યું કે તમામ પુરાવાઓ આત્મહત્યા કરી હોય એ તરફ નિર્દેશ કરે છે. ઑટોપ્સી રિપોર્ટ પ્રમાણે તેમના શરીર પરની ઈજા ટ્રેનને કારણે થઈ હોય એવું લાગે છે.

પીડિત પરિવારે સબ ઇન્સ્પેક્ટર સુનીતા ચૌરસિયા અને કૉન્સ્ટેબલ અમર સિંહ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.

જોકે પોલીસે દાવો કર્યો હતો કે આ આત્મહત્યાનો મામલો છે. આ મામલે કોઈ સ્યૂસાઇડ નોટ મળી આવી નથી.

જ્યૉર્જિયાની જીતથી બાઇડન મજબૂત

બીબીસીના પ્રોજેક્શન પ્રમાણે રાષ્ટ્રપતિપદે ચૂંટાયેલા જો બાઇડને જ્યૉર્જિયા રાજ્ય જીતી લીધું છે.

તેઓ પહેલા ડેમૉક્રેટિક ઉમેદવાર છે જે 1992થી આવું કરી શક્યા છે.

આ જીતથી તેમની જીત મજબૂત બની છે. તેમને ઇલેક્ટોરલ મતમાંથી કુલ 306 મળી શકે છે, જે અમેરિકા પોતાના રાષ્ટ્રપતિને ચૂંટવા માટે ઉપયોગમાં લે છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કૈરોલીના જીતે તેવું અનુમાન છે, તેઓ 232 મત સુધી પહોંચી શકે છે.

ઉલ્લેખનીય છે કે ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડને અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી લીધી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો