રિયા ચક્રવર્તીની સતત ત્રીજા દિવસે એનસીબી દ્વારા પૂછપરછ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

સુશાંતસિંહ રાજપૂતના મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો મંગળવારે અભિનેત્રી રિયા ચક્રવર્તીની આગળ પૂછપરછ શરૂ કરી છે.

અભિનેત્રી રિયા ચક્રવર્તી મામલે મંગળવારે એનસીબીની મુંબઈ સ્થિતિ ઑફિસે પહોંચી હતી. સમાચાર એજન્સી એનએનઆઈ પ્રમાણે એનસીબીની આ પૂછપરછ છેલ્લા ત્રણ દિવસથી સતત ચાલી રહી છે.

સોમવારે રિયાની પૂછપરછ બાદ એનસીબીના ઉપમહાનિદેશકે જણાવ્યું હતું, "રિયાને તેના ઘરે પરત જવા મોકલી દેવામાં આવ્યાં છે. તેમને કાલે પરત બોલાવવામાં આવ્યાં છે. પૂછપરછ ચાલુ રહેશે."

રિયા ચક્રવર્તીના ભાઈ અને સુશાંતસિંહના પૂર્વ મૅનેજરની આ મામલે પહેલાં ધરપકડ કરવામાં આવી છે.

આ પહેલાં મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આઈપીસી અને એનડીપીએસ ઍક્ટ અંતર્ગત સુશાંતસિંહ રાજપૂતનાં બહેન પ્રિયંકાસિંહ અને દિલ્હીના એક ડૉક્ટર તરુણ કુમાર વિરુદ્ધ એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

મુંબઈ પોલીસના પીઆરઓ ડીસીપી એન અંબિકાએ આ મામલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ એફઆઈઆર સીબીઆઈને આગળની તપાસ માટે મોકલી દેવામાં આવી છે.

સુશાંતસિંહ રાજપૂતનાં બહેન સામે મુંબઈમાં ફરિયાદ દાખલ

ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસમાં સોમવાર મોડી રાત્રે એક નવો મોડ આવ્યો જ્યારે મુંબઈ પોલીસે સુશાંતસિંહ રાજપૂતનાં બહેન વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી લીધી.

સમાચાર એજન્સી એેએનઆઈ અનુસાર, "રિયા ચક્રવતીની ફરિયાદ પર સુશાંતસિંહ રાજપૂતનાં બહેન પ્રિયંકાસિંહ, દિલ્હી સ્થિતિ રામ મનોહર લોહિયા હૉસ્પિટલના ડૉક્ટર તરુણ કુમાર અને અન્ય એક વિરુદ્ધ આઈપીસી અને એનડીપીએસ ઍક્ટ અંતર્ગત મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે."

બાંદ્રા પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવા, છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્ર રચવાનો કેસ દાખલ કર્યો છે.

સોમવારે જ રિયા ચક્રવર્તીએ બાંદ્રા પોલીસ સ્ટેશન જઈને લેખિતમાં ફરિયાદ કરી હતી. જેમાં તેમણે સુશાંતનાં બહેન પ્રિયંકાસિંહ અને ડૉક્ટર તરુણ કુમાર પર બોગસ પ્રિસ્ક્રિપ્શન અને ટેલી મેડિસીન પ્રેક્ટિસ ગાઇડલાઇનના ઉલ્લંઘનનો આરોપ લગાવતા કેસ દાખલ કરવાની અપીલ કરી હતી.

રિયાની ફરિયાદ

પોતાની ફરિયાદમાં રિયાએ લખ્યું હતું કે આઠ જૂનના રોજ સુશાંતે તેમને પોતાનાં બહેનની સાથે મોબાઇલ પર મૅસેજથી થયેલી વાતચીત દેખાડી હતી. તેમાં તેમનાં બહેને સુશાંતને કેટલીક દવાઓ લેવાનું કહ્યું હતું.

રિયાના જણાવ્યા પ્રમાણે તેણે સુશાંતને સમજાવવાની કોશિશ કરી હતી કે એ જ દવાઓ લેવી જોઈએ જે તેમના ડૉક્ટરે તેને લેવાની કહી હોય. તેણે પોતાનાં બહેને બતાવેલી દવાઓ તો બિલકુલ ના લેવી જોઈએ કેમ કે તેમનાં(સુશાંતનાં બહેન) પાસે કોઈ મેડિકલ ડિગ્રી નથી.

રિયાએ પોતાની ફરિયાદમાં લખ્યું હતું કે સુશાંતસિંહનાં બહેને ડૉક્ટર તરુણ કુમાર પાસેથી બોગસ પ્રિસ્ક્રિપ્શન બનાવડાવ્યું હતું.

રિયા અનુસાર આ વાતને લઈને તેમના અને સુશાંત વચ્ચે મતભેદ થઈ ગયા હતા અને પછી સુશાંતે તેમને ઘરેથી જતા રહેવા માટે કહ્યું હતું, કારણ કે તેમનાં એક બીજાં બહેન મિતુસિંહ ત્યાં આવીને રહેવાનાં હતાં.

રિયા ચક્રવર્તીની ખુદની સામે આ મામલામાં તપાસ ચાલી રહી છે અને સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે.

સીબીઆઈ સિવાય નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) પણ આ મામલામાં ડ્રગ્સની ખરીદી, તેની લેવડ-દેવડ અને સેવન અંગે જોડાયેલા મામલાની તપાસ કરી રહી છે.

એનસીબીએ રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તી અને સુશાંતસિંહના મૅનેજર રહેલા સૈમુઅલ મિરાંડા સહિત અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરી છે.

એનસીબી રિયા ચક્રવર્તીની પણ પૂછપરછ કરી ચૂકી છે અને મંગળવારે ફરી તેની પૂછપરછ કરવામાં આવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો