જમ્મુ-કાશ્મીરમાંથી ભારત સુરક્ષાદળોની 100 કંપનીઓ હઠાવશે

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી સુરક્ષાદળોની 100 કંપનીઓ પાછી હઠાવી લેવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્રિય ગૃહ મંત્રાલયે સુરક્ષાની સ્થિતિનું આકલન કર્યા પછી આ નિર્ણય કર્યો છે.

ગૃહ મંત્રાલયે કહ્યું કે આમાં સીઆરપીએફની 40 અને બીએસએફ તથા સીઆઈએસએફની 20-20 કંપનીઓ છે.

આ 100 કંપનીઓને અઠવાડિયાના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીરમાંથી પાછી ખસેડી લેવામાં આવશે.

ગત વર્ષે ઑગસ્ટમાં કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કર્યા પછી આ કંપનીઓને ત્યાં તહેનાત કરવામાં આવી હતી.

સામાન્યપણે સીઆરપીએફની એક કંપનીમાં 100 સુરક્ષાકર્મીઓ હોય છે. આ જ વર્ષે મે મહિનામાં ગૃહ મંત્રાલયે 10 કંપનીઓ પાછી હઠાવી લેવાનો નિર્ણય કર્યો હતો.

સુશાંતસિંહ કેસની તપાસ સીબીઆઈને હવાલે

સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સુશાંતસિંહ રાજપૂતના કેસમાં તપાસ કરવાના આદેશ આપ્યા છે.

સર્વોચ્ચ અદાલતે બુધવારે રિયા ચક્રવર્તીની અરજી પર સુનાવણી કરતાં કહ્યું હતું કે સીબીઆઈ પાસે તપાસ કરાવવાની બિહાર સરકારની વિનંતી યોગ્ય હતી.

જસ્ટિસ ઋષિકેષ રૉયે કહ્યું કે પટણામાં એફઆઈઆર દાખલ થઈ એ પણ કાયદાકીય દૃષ્ટિએ યોગ્ય હતું.

રિયા ચક્રવર્તીએ પટણામાં દાખલ થયેલા મામલાને મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી.

રિયાએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની તપાસ મુંબઈ પોલીસ પહેલાંથી જ કરી રહી છે અને તેમણે તેમનું નિવેદન પણ પોલીસ સમક્ષ નોંધાવ્યું છે.

રિયા પોતાને સુશાંતનાં ગર્લફ્રૅન્ડ ગણાવે છે પણ સુશાંતના પિતાએ આરોપ લગાવ્યો છે કે તેમના દીકરાનું મૃત્યુ રિયાને કારણે થયું છે.

સુશાંતના પિતાએ 25 જુલાઈએ પટણામાં રિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સાયક્લૉનિક સર્ક્યુલેશનને લીધે હજી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભારે વરસાદને લીધે બે દિવસમાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે.

આ સ્થિતિને જોતા એનડીઆરએફની 13 ટુકડીઓને કાર્યરત કરવામાં આવી છે એવું 'NDTV'ના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે.

રાહતકમિશનર હર્ષદ પટેલના હવાલાથી અહેવાલમાં નોંધ્યું છે, "ગુજરાતમાં 15-16 ઑગસ્ટના રોજ અલગ-અલગ જગ્યાએ સાત લોકોનાં મૃત્યુ થયાં છે. અમે રાહત કામગીરી માટે એનડીઆરએફની 13 ટુકડીઓને પ્રભાવિત વિસ્તારોમાં તહેનાત કરી દીધી છે."

ભારતીય હવામાનવિભાગ અનુસાર ગુજરાતમાં આગામી 3થી 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાનવિભાગ અનુસાર દક્ષિણ ગુજરાત પર સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાવાને લીધે ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં વરસાદનું જોર ખૂબ જ વધુ છે.

હવામાનવિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

ભારતમાં એક મહિનામાં 50 લાખ લોકોની નોકરી ગઈ : CMI

સેન્ટર ફોર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનોમીના જણાવ્યા અનુસાર ભારતમાં જુલાઈ મહિનામાં 50 લાખ પગારદારોએ નોકરી ગુમાવી છે. મોટા ભાગે નોકરી ગુમાવનારાઓ અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા હતા.

'ઇકૉનોમિક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર સીએમઆઈના ના ડેટામાં પ્રતીત થાય છે કે એપ્રિલ 2020ના મહિનામાં 1 કરોડથી વધુ લોકોએ નોકરી ગુમાવી.

જોકે, જૂન મહિનામાં 40 લાખની આસપાસ નોકરી ઉદ્ભવી હતી પરંતુ જુલાઈ માસમાં 50 લાખ લોકોને નોકરી ગુમાવવાની નોબત આવી હતી.

સીએમઆઈ જણાવ્યું, "જુલાઈના લૉકડાઉનમાં કાયમી પગારદારોની સ્થિતિ ખૂબ જ કથળી હતી. કુલ 1.80 લાખ પગારદારોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો."

'ઑસ્ટ્રેલિયા નાગરિકોને મફમાં કોરોનાની દવા આપશે'

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસે કહ્યું કે તેઓ કોરોનાની રસી બનાવશે અને દેશની જનતાને મફ્તમાં તેનો ડૉઝ આપશે.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર વડા પ્રધાન મોરિસે કહ્યું કે ઑસ્ટ્રેલિયાએ એક સ્વિડિશ-બ્રિટિશ દવા કંપની એસ્ટ્રાઝનેકા સાથે સંધિ બાંધી છે જેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને કોરોનાની રસી પર કામ કરી રહ્યા છે.

મોરિસે કહ્યું, "જો આ રસી સફળ સાબિત થશે તો આપણે અહીં આ રસી બનાવીશું અને લોકોને મફ્તમાં આપીશું."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો