You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ શ્રેય હૉસ્પિટલ આગ : ઘટનાના બે દિવસ બાદ પણ FIR કેમ નથી નોંધાઈ?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
બુધવાર અને ગુરુવાર વચ્ચેની મધરાત્રે અમદાવાદ શહેર ઊંઘતું હતું ત્યારે નવરંગપુરામાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં આગ લાગી હતી.
આ આગ આઈસીયુ વૉર્ડમાં લાગી હતી અને એમાં સારવાર લઈ રહેલા આઠ લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યા હતા.
આ હૉસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર થઈ રહી હતી અને આઈસીયુમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પણ કોરોના વાઇરસથી સંક્રમિત હતા.
આ ઘટના બાદ મૃતકોના પરિવારજનોમાં રોષ હતો. મૃતકોના પરિવારજનો, રાજકીય નેતાઓ સૌએ આ મામલે હૉસ્પિટલ તથા કૉર્પોરેશનના તંત્રની નિષ્કાળજીને જવાબદાર ઠેરવી હતી અને દોષિતો સામે કડક પગલાંની માગ કરી હતી.
બીજી તરફ ઘટના બાદ પોલીસે હૉસ્પિટલના એક ડિરેક્ટર ભરત મહંતની અટકાયત કરી અને તપાસ આદરી હતી.
જોકે આ મામલે હવે પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરાઈ રહી છે.
'બે દિવસ પછી પણ એફઆઈઆર કેમ નહીં?'
આગની ઘટના ઘટી એ પછી કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કૉર્પોરેશન તથા રાજ્ય સરકારના અધિકારીઓ પર આક્ષેપો કર્યા હતા અને સત્તારૂઢ પક્ષ ભાજપને પણ ઘેરવાના પ્રયાસ કર્યા હતા.
જોકે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ઘટનાની તપાસના આદેશ ઘટનાની તુરંત બાદ આપી દીધા હતા અને ઘટનાની નોંધ દેશના વડા પ્રધાન કાર્યાલયે પણ લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે નિષ્કાળજી બદલ અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા અને કાર્યવાહી કરવાની માગ કરી હતી.
તો બીજી તરફ શનિવારે સવારે દલિતનેતા અને વડગામ બેઠક પરથી ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરીને '48 કલાક છતાં એફઆઈઆર દાખલ કેમ નથી કરાઈ' એ અંગે સવાલ ઉઠાવ્યા હતા.
જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરતાં લખ્યું, "એવી તો શી મજબૂરી છે કે હજી સુધી FIR દાખલ નથી થઈ?"
"વિજય રૂપાણીજી, શું નિર્દોષ દર્દીઓનાં મૃત્યુ એ તમારી માટે ગંભીર મુદ્દો નથી?"
અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો કે "સુરતની ઘટના બાદ બીજી વખત ગંભીર નિષ્કાળજી સામે આવી છે. આવી ઘટનાઓ બાદ જરૂર મુજબ કાર્યવાહી થતી જ નથી."
આ મામલે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, "આ મામલામાં કોઈ પણ કસૂરવારને છોડવામાં નહીં આવે. સરકાર કસૂરવારોને સંપૂર્ણ સજા કરશે એટલે જ સમગ્ર પાસાંને આવરી લેતાં નિષ્ણાતોની તમામ મદદ લીધી છે."
એફઆઈઆરમાં વિલંબ કેમ?
આ મામલે એફઆઈઆર કેમ નોંધવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે? એ અંગે બીબીસી ગુજરાતીએ તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ એલ. બી. જાડેજાએ જણાવ્યું હતું કે "અમે આ અંગે ફૉરેન્સિક રિપોર્ટની રાહ જોઈએ છીએ, એફએસલ રિપોર્ટ મળશે એ પછી જવાબદારો નક્કી કરીને ગુનો નોંધવામાં આવશે."
"અત્યારના તબક્કે ફૉરેન્સિક રિપોર્ટ આવે એ પહેલાં જો ગુનો નોંધી લઈએ તો અકસ્માતથી મોતનો ગુનો નોંધવાનો થાય અને એથી કાનૂની કાર્યવાહી નબળી પડે, અને અમે કાર્યવાહીને નબળી કરવા માગતા નથી."
આ અંગે ગુજરાત ફૉરેન્સિક વિભાગના જૉઇન્ટ ડિરેક્ટર એસ. જી. ખંડેલવાલનો બીબીસી ગુજરાતીએ સંપર્ક સાધ્યો.
ખંડેલવાલે કહ્યું, "અમે છઠ્ઠી તારીખે જ તપાસ આદરી દીધી હતી. આ મામલામાં ઇલેક્ટ્રિકલ, કૅમિસ્ટ્રી અને ઇલેક્ટ્રોસિવિક્સ અમે ત્રણ વિભાગના વડાઓએ નિરીક્ષણ કર્યું હતું."
"અમે તપાસ માટે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું."
ખંડેલવાલે કહ્યું, "પ્રાથમિક તપાસનાં તારણો સૂચવી રહ્યા છે કે આગ શૉટસર્કિટના કારણે લાગી છે અને ઑક્સિજન અને સેનિટાઇઝરનો જથ્થો હોવાછી આગ ઝડપથી પ્રસરી હોવાનું શક્ય છે."
આ અંગે વધુ માહિતી આપવાનો તેમણે ઇન્કાર કર્યો હતો, તેમણે કહ્યું કે આજે રાત સુધીમાં તેમનો રિપોર્ટ ગૃહવિભાગને સોંપવામાં આવશે.
ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું, "આ માલામાં ઉચ્ચ કક્ષાના સચિવોની એક સમિતિ તૈયાર કરાઈ છે. અમારાં સૂચનો પ્રમાણે તપાસ કરાઈ રહી છે અને રિપોર્ટ અમને આજે સોંપી દેવામાં આવશે."
શું છે સમગ્ર ઘટના?
અમદાવાદના નવરંગપુરાની શ્રેય હૉસ્પિટલના આઈસીયુ વૉર્ડમાં મધરાત્રે આગ લાગી હતી, જેમાં આઠ કોરોનાથી સંક્રમિત દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં.
ઘટના બાદ હૉસ્પિટલ બિલ્ડિંગને સીલ કરી દેવાઈ હતી અને ફૉરેન્સિક વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને મુખ્ય મંત્રી રાહતનીધિમાંથી ચાર-ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય તથા ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરાઈ છે.
શ્રેય હૉસ્પિટલમાં આગની ઘટના પછી ત્યાં સારવાર લઈ રહેલા 40 દર્દીઓને એસપીવી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આગની દુર્ઘટનામાં તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.
આ બનાવની તપાસ રાજ્યના વરિષ્ઠ આઈ.એ.એસ અધિકારી અને ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીને સોંપવામાં આવી હતી.
આ ઘટનામાં કોણ જવાબદાર છે તે નિયત કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો