વિકાસ દુબે ઍન્કાઉન્ટર : સુપ્રીમ કોર્ટે પૂછ્યું, 'જામીન ઉપર બહાર કેમ હતા?'

    • લેેખક, સુચિત્ર મોહંતી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 2 મિનિટ

ઉત્તર પ્રદેશના ગૅંગસ્ટર તથા તેના સાગરીતોના કથિત ઍન્કાઉન્ટર ઉપર સવાલ ઉઠાવતી અરજી ઉપર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.

આ કેસની સુનાવણી કરતી વખતે મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેએ કેસમાં ઉત્તર પ્રદેશની સરકારની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા તથા તેને 'સિસ્ટમની નિષ્ફળતા' ઠેરવી.

પીપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટી વતી પ્રશાંત ભૂષણે આ ઍન્કાઉન્ટર ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

મુખ્ય ન્યાયાધીશે અવલોક્યું હતું, "હૈદરાબાદ ઍન્કાઉન્ટર તથા વિકાસ દુબે ઍન્કાઉન્ટર કેસમાં એક મોટો તફાવત છે. તેઓ એક મહિલાના બળાત્કારી તથા હત્યારા હતા, જેમની પાસે હથિયાર ન હતા."

"જ્યારે આમની (વિકાસ દુબે તથા તેના સાથીઓ) પોલીસકર્મીઓના હત્યારા હતા."

'પોલીસવાળાને પણ માનવાધિકાર'

દરમિયાન ઉત્તર પ્રદેશની સરકાર વતી સર્વોચ્ચ અદાલતમાં હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું, 'ઍન્કાઉન્ટર બનાવટી ન હતું.'

આ વિશે ચીફજસ્ટિસ બોબડેએ કહ્યું, "કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનું કામ રાજ્ય સરકારનું છે. આ માટે જરૂરી છે કે ગુનેગારોની ધરપકડ કરવામાં આવે, તેમની ઉપર ખટલો ચલાવવામાં આવે અને તેમને કાયદેસર રીતે સજા મળે."

ઉત્તર પ્રદેશ પોલીસના ડાયરેક્ટર જનરલ વતી પક્ષ રાખવા માટે વકીલ હરીશ સાલ્વે હાજર રહ્યા હતા. તેમણે કહ્યું, "પોલીસકર્મીઓના પણ અધિકાર છે. દુબેએ પોલીસવાળાઓની હત્યા કરી હતી. આ કેસ હૈદરાબાદના કેસથી બિલકુલ અલગ છે."

"કોઈ ખૂંખાર ગુનેગાર સામે પોલીસના બળપ્રયોગ માટે શું પોલીસને ગુનેગાર ઠેરવી શકાય? આપણે પોલીસનું મનોબળ તોડી ન શકીએ."

આના વિશે મુખ્ય ન્યાયાધીશે કહ્યું, "જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત કરવામાં આવે તો પોલીસવાળાનું મનોબળ તૂટે એવી સ્થિતિ ઊભી જ નહીં થાય."

"અદાલતે વિકાસ દુબે ઉપર ગંભીર ગુના નોંધાયેલા હોવા છતાં તેમને જામીન આપવા ઉપર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું."

સિસ્ટમ ઉપર સવાલ

ચીફજસ્ટિસ બોબડેએ કહ્યું, "આટલા બધા કેસ નોંધાયેલા હોવા છતાં આ વ્યક્તિ જામીન ઉપર બહાર હતી. એવું કેમ બન્યું. અમને તમામ આદેશોનો ચોક્કસ રિપોર્ટ આપો. આ સિસ્ટમની નિષ્ફળતા દર્શાવે છે."

તેમણે ઉમેર્યું, "આ એક ઘટનામાત્ર નથી, પરંતુ સમગ્ર સિસ્ટમ દાવ ઉપર છે."

આ કેસમાં અલ્લાહબાદ હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશના નેતૃત્વમાં તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા તપાસ કરાવવાના નિર્દેશ આપ્યા, જેની ઉપર ઉત્તર પ્રદેશ સરકાર સહમત થઈ ગઈ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો