આંબેડકરના ઘરમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડોફોડ કરાઈ - TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

મુંબઈમાં કેટલાક અજાણ્યા શખ્સોએ ભારતીય બંધારણના નિર્માતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નિવાસસ્થાન 'રાજગૃહ'માં મંગળવારે રાત્રે તોડફોડ કરી હતી.

પોલીસનું કહેવું છે કે હુમલાખોરોએ સીસીટીવી કૅમરાને પણ નુકસાન કર્યું છે.

સમાચાર એજન્સી એએનઆઈએ તોડફોડ પછીની કેટલીક તસવીરો ટ્વીટ કરી છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ઘટનાની નિંદા કરી છે અને કહ્યું છે કે દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે ટ્વીટ કર્યું, "ડૉક્ટર આંબેડકરના નિવાસ 'રાજગૃહ' પર કેટલાક અજ્ઞાત લોકોના હુમલો નિંદનીય છે."

"પોલીસ આ અંગે તપાસ કરી રહી છે અને દોષીઓ સામે કડક કાર્યવાહી થશે."

ચીનની ઍપ્સ અમેરિકા પણ બંધ કરી શકે

અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પોમ્પિયોએ કહ્યું છે કે અમેરિકા પણ ટિકટૉક સહિતની ચાઇનીઝ ઍપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારણા કરી રહ્યું છે.

NDTVના અહેવાલ પ્રમાણે તેમણે ફોક્સ ન્યૂઝને કહ્યું હતું કે "હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરાત કરે તે પહેલાં કશું નથી કહેવા માગતો પણ એટલું ચોક્કસ કહીશ કે આ મુદ્દે અમે વિચારણા કરી રહ્યા છીએ."

ઉપભોક્તાના ડેટા મામલે, ટિકટૉકના સંચાલનને લઈને અમેરિકાના ધારાશાસ્ત્રીઓએ રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું છે કે ચીની કાયદાઓ પ્રમાણે સ્થાનિક કંપનીઓએ 'ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા નિયંત્રિત ગુપ્તચર કામગિરીને ટેકો અને સહકાર આપવા જરૂરી છે.'

નોંધનીય છે કે અમેરિકા-ચીન વચ્ચે કોરોના વાઇરસના સંક્રમણને લઈને તણાવનો માહોલ છે, આ સિવાય બંને વચ્ચે બે વર્ષ જેટલા સમયથી ટ્રેડવૉરની સ્થિતિ હતી.

કોરાના વાઇરસની રસીનું માનવપરીક્ષણ હૈદરાબાદમાં શરૂ

ભારત માટે કોરોના વાઇરસની પહેલી રસી સાબિત થઈ શકે તેવી COVAXINનું માનવપરીક્ષણ મંગળવારે શરૂ થઈ ગયું છે.

ઉચ્ચ અધિકારીએ 'લાઇવ મિન્ટ'ને આપેલી માહિતી મુજબ ભારત બાયોટૅકની આ દવાનું પરીક્ષણ હૈદરાબાદની નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (NIMS)માં કરવામાં આવી રહ્યું છે.

1100 લોકો પર બે તબક્કામાં આ દવાનું માનવપરીક્ષણ કરાશે. કંપનીની યોજના મુજબ પહેલાં તબક્કામાં આ મહિને 375 લોકો પર પરીક્ષણ કરાશે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચે દિલ્હી અને પટનાના AIIMS સહિત 12 ઇન્સ્ટિટ્યૂટને પરીક્ષણની પરવાનગી આપી છે, NIMS પણ તેમાંથી જ એક છે.

NIMSના ડિરેકટર ડૉકટર કે. મનોહરે પીટીઆઈને જણાવ્યું હતું કે "પરીક્ષણ માટે સ્વસ્થ સ્વંયસેવકોની પસંદગી બાદ તેમના બ્લડસૅમ્પલ લઈને નક્કી કરાયેલી લૅબમાં તેમને દિલ્હી મોકલાશે. ત્યાંથી લીલી ઝંડી મળતાં યોગ્ય દેખરેખ હેઠળ દવા આપીને નિરીક્ષણ કરવામાં આવશે."

CBSEએ અભ્યાસક્રમમાંથી ધર્મનિરપેક્ષતા, નાગરિકત્વનાં પ્રકરણો હઠાવ્યાં

કોરોના વાઇરસને લીધે શાળાઓ બંધ રહેતાં તેમજ વર્તમાન પરિસ્થિતિને જોતાં સીબીએસઈના અભ્યાસક્રમમાં પરિવર્તન કરવામાં આવ્યું છે.

મંગળવારે સેન્ટ્રલ બૉર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન(CBSE)એ 11માં ધોરણના વર્ષ 2020-21ના અભ્યાસક્રમમાંથી સંઘવાદ, નાગરિકત્વ, રાષ્ટ્રવાદ અને ધર્મનિરપેક્ષતાનાં પ્રકરણોને સંપૂર્ણપણે કાઢી નાખ્યાં છે.

તે સહિત 'આપણને સ્થાનિક સરકારની કેમ જરૂર છે', 'ભારતમાં સ્થાનિક સરકારનો વિકાસ' જેવા કેટલાક પેટાભાગને પણ દૂર કરવામાં આવ્યા છે.

આ વિષયો શિક્ષકો વિદ્યાર્થીઓને સુસંગતતા માટે સમજાવશે પણ તેનો અભ્યાસક્રમનો ભાગ નહીં હોય.

મહામારીને લઈને ઊદ્ભવેલી પરિસ્થિતિને જોતાં માનવસંસાધન મંત્રાલયે ત્રીસ ટકા અભ્યાસક્રમ ઘટાડવાના નિર્દેશ આપ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો